World

નેપાળના મઘેશમાં તોફાનો : જનકપુર ધામ સ્થિત સી.એમ.ની ઑફિસમાં તોડફોડ

By GS TEAM
10 Nov 20252 mins read
નેપાળના મઘેશમાં તોફાનો : જનકપુર ધામ સ્થિત સી.એમ.ની ઑફિસમાં તોડફોડ

સીપીએમ- યુએમએલના સંસદીય દળના નેતા સરોજકુમાર યાદવને મુખ્યમંત્રી બનાવાયા પછી તુર્ત જ તોફાનો ભડકી ઉઠયાં : તેમના કાર્યાલયમાં તોડફોડ થઈ

કાઠમંડુ: નેપાળના મઘેશ પ્રાંતમાં સોમવારે સવારે ભારે રાજકીય- વિવાદ ભડકી ઉઠયો હતો. સીપીએમ- યુએનએલના ગઠબંધનના સંસદીય દળના નેતા સરોજકુમાર યાદવને મુખ્યમંત્રી બનાવ્યા પછી તુર્ત જ જનકપુરધામ સ્થિત મુખ્યમંત્રીના કાર્યાલયમાં ટોળાઓએ ઘૂસી જઈ તોડફોડ કરી હતી. મઘેશ પ્રાંતમાં રાજકારણમાં ધરતીકંપ તેટલા માટે થયો છે કે, પ્રાંત પ્રમુખ (રાજ્યપાલ) સુમિત્રા દેવી ભંડારીએ સોમવારે બદીવાસ વિસ્તારમાં આવેલી એક હોટેલમાં સરોજકુમારને મુખ્યમંત્રીપદના શપથ લેવડાવ્યા.

આ ટીમમાં પૂર્વ મુખ્યમંત્રી કે. પી. શર્મા ઓલીના શાસનકાળમાં ભંડારીએ પ્રાંત- પ્રમુખ (ગવર્નર) પદે નિયુક્ત કરાયા હતા. તેઓએ નેપાળી કોંગ્રેસના નેતૃત્વ નીચેના ગઠબંધનની ઉપેક્ષા કરી આ પગલું ભરતા તોફાનો ફાટી નીકળ્યાં હતા.

યાદવની મુખ્યમંત્રી પદની નિયુક્તિ સામે ડાબેરીઓ સિવાયના તમામ રાજકીય પક્ષોએ વિરોધ ઉઠાવ્યો હતો તેઓએ ભારતની સરહદને સ્પર્શીને રહેલા આ સંવેદનશીલ ક્ષેત્રમાં મઘેશી સમુદાયની માંગણીઓ વર્ષો વીત્યા છતાં સંતોષાઈ નથી તેથી ત્યાં તંગદિલી પ્રવર્તે છે.

પ્રાપ્ય માહિતી મુજબ પ્રાંતીય વિધાનસભાના કેટલાક સદસ્યોએ અન્ય લોકોની સાથે મળી મુખ્યમંત્રીની ઓફિસમાં ઘૂસપેઠ કરી ફર્નિચર તથા સંપત્તિને નુકસાન પહોંચાડયું તેમના કાર્યાલયમાં રહેલો રાષ્ટ્રધ્વજ પણ તોફાનોમાં ફેંકાઈ ગયો.

નિરીક્ષકો માને છે કે, દેશમાંથી રાજાશાહી દૂર કરી ડાબેરીઓના નેતૃત્વ નીચેની સરકાર રચાઈ ત્યારથી જ લોકોમાં અફસોસ વ્યાપેલો છે તેમાં ય ઓલીના સમયથી ચીનની કરાતી કદમબોસી અને ભારત પ્રત્યેની ઉદાસીનતા પછીથી ભારતનો ડાબેરી જૂથો દ્વારા ચઢામણીથી થતો વિરોધ અને તેમાં દેશના અર્થતંત્રની થયેલી બેહાલી, બેકારી અને મોંઘવારીએ જનાક્રોશ વધારી દીધો છે. ઓલીને તો દેશ છોડી નાસી જવું પડયું હતું તે યાદ રહે. ઓલી ચીન તરફી છે તે જાણીતું છે ચીને નેપાળનો કેટલોક પ્રદેશ દબાવ્યો છે તે જનતા જાણે છે તેથી જ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ (સીપીએમ) માટે કટ્ટર વિરોધ કરે છે તેના ટેકાથી સરોજ મુખ્યમંત્રી બન્યા છે.