Bangladesh News: પાડોશી દેશ બાંગ્લાદેશમાં રાજકિય અરાજકતા અને હિંસક દેખાવો પર દુનિયાની નજર મંડાયેલી છે. બેગ શેખ હસીનાના એક ચક્રી શાસનનો અંત આવ્યા પછી અંતરિમ સરકારના મુખિયા મહમદ યુનુસ માટે પરિસ્થિતિ સંભાળવી કપરી બની છે. 17 વર્ષ પછી લંડનમાં ગુમનામ જીવન વિતાવ્યા પછી પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના રાજકીય વિરોધી બેગમ ખાલીદા ઝીયાના પુત્ર તારિક રહેમાને બાંગ્લાદેશના રાજકારણમાં એન્ટ્રી મારી છે. 2008માં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)ના નેતા તારિક રહેમાને ઢાકા છોડવાની ફરજ પડી હતી. તેમના પર એ સમયે કરપ્શન અને મની લોન્ડ્રિગના ગંભીર આરોપો લગાવાયા હતા. 2001 થી 2006 દરમિયાન બીએનપીની સરકાર હતી ત્યારે માતા ખાલિદા ઝીયા વડાપ્રધાન હતા. ખાલિદા ઝીયા સરકારમાં તારિક રહેમાનની લોકપ્રિયતા સૌથી વધારે હતી. બીએનપી પક્ષના સૌથી મહત્ત્વના નેતા માનવામાં આવતા હતા.
બન્યું હતું એવું કે 2004માં બેગમ શેખ હસીનાની એક રેલીમાં ગ્રેનેડ એેટેક થયો હતો. આ વિપક્ષી નેતાની રેલ પર થયેલા હુમલામાં અનેક વીવીઆપીના મુત્યુ થયા હતા. આ હુમલામાં તારિક રહેમાનને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. ઢાકાની એક અદાલતે આજીવન કારાવાસની સજા સુણાવી હતી. ઓક્ટોબર 2006માં ખાલિદા ઝીયાનો શાસનકાળ પૂરો થતા ચુંટણી વિવાદના પગલે જાન્યુઆરી 2007માં કટોકટી જાહેર કરવામાં આવી હતી. ફકરુદ્દીન અહેમદના નેતૃત્વમાં સૈન્ય સમર્થિત અંતરિમ સરકાર બની હતી. ફકરુદ્દીન અહેમદની સરકારે ભ્રષ્ટાચાર વિરોધી અભિયાન ચલાવ્યું જેમાં સેંકડો રાજનેતાઓ,વેપારીઓ અને અધિકારીઓની ધરપકડ કરી હતી જેને 'માઇનસ ટુ 'ફોર્મ્યુલા કહેવામાં આવતી હતી.

આ ફોર્મ્યુલાનો ઇરાદો બાંગ્લાદેશની રાજનીતિમાંથી બે બેગમો નામે બેગમ શેખ હસીના અને બેગમ ખાલિદા ઝીયાનું મહત્ત્વ ઘટાડવાનો હતો. તારિક રહેમાન અને માતા ખાલિદા ઝીયાની ધરપકડ કરવામાં આવી. તારિક રહેમાન પર 20 મિલિયન ડોલરના મની લોન્ડ્રીગનો આરોપ હતો. જીયા ચેરિટેબલ ટ્રસ્ટમાં 2.1 કરોડ ટકા (બાગ્લાદેશની કરન્સી) દુરોપયોગનો પણ ખટલો ચાલ્યો હતો. 2008માં ખાલિદા ઝીયાને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા જયારે તારિક રહેમાનને ફરી બાંગ્લાદેશના રાજકારણમાં નહીં આવવાની શરત સાથે લંડન રહેવા જવાની પરવાનગી આપવામાં આવી હતી. થોડાક વર્ષોતો ગુમનામ જીવન જીવ્યા ત્યારબાદ લંડનથી સોશિયલ મીડિયાના માધ્યમથી સક્રિય રહેવાની શરુઆત કરી હતી. શેખ હસીના સરકારે રહેમાનને આતંકવાદી અને દેશ વિરોધી ગણાવતી પરંતુ હવે પાસા પલટાઇ ગયા છે.
ઓગસ્ટ 2024માં શેખ હસીનાની સરકાર પદભ્રષ્ટ થતા તારિક રહેમાન પરના આરોપો દૂર કરવામાં આવ્યા. મોહમ્મદ યુનુસની અંતરિમ સરકાર જુદા જુદા 84 જેટલા કેસોમાંથી રહેમાનનને મુક્ત કરવામાં આવ્યા. ગત જુન 2025માં મોહમ્મદ યુનુસ સાથે યુકેમાં મુલાકાત કરી ત્યાર પછી સ્વદેશ પાછા ફરવાનો માર્ગ મોકળો બન્યો હતો. હાલમાં માતા ખાલિદા ઝીયાની તબિયત ખૂબજ નાજૂક હોવાથી 17 વર્ષ પછી તારિક રહેમાનની બાંગ્લાદેશમાં એન્ટ્રી થઇ છે. બાંગ્લાદેશની રાજનીતિમાં પાછા નહી ફરવાની શરતે સાથે લંડન જવા દેવાયા હતા.

સરકારે એક લેખિત ગેરંટી લઇને પ્રતિજ્ઞા પત્ર પર સહી કરાવી હતી. આ શપથ તોડીને 17 વર્ષ પછી રહેમાન બાંગ્લાદેશ પાછા ફર્યા છે. ઢાકા પાછા ફરતા હતા ત્યારે લાખો સમર્થકોએ ઢાકાની સડકો પર ઉભા રહીને સ્વાગત કરતાની સાથે જ બાંગ્લાદેશની રાજનીતિ કરવટ બદલી રહી હોવાનું નિષ્ણાતો માનવા લાગ્યા છે. બાંગ્લાદેશમાં 12 ફેબુ્રઆરી 2026માં દેશ વ્યાપી ચુંટણી થવાની છે ત્યારે સત્તાની બાગડોર બીએનપી પાર્ટી સંભાળે તેવી શક્યતા છે જેમાં રહેમાનની મોટી ભૂમિકા જોવાઇ રહી છે.


