પુતિનના નિર્ણયથી ઝેલેન્સ્કી નિરાશ, અમેરિકાની પણ ચિંતા વધી ! જાણો રશિયા-યુક્રેન યુદ્ધ પર શું કહ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Russia-Ukraine War : રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને વિરામ આપવા માટે અમેરિકા દ્વારા કરવામાં આવેલા ત્રિપક્ષીય વાટાઘાટોના પ્રસ્તાવને રશિયાએ ફગાવી દીધો છે, જેના કારણે યુક્રેનના રાષ્ટ્રપ્રમુખને નિરાશ હાથ લાગી છે.
સંયુક્ત બેઠકની કોઈ શક્યતા નથી : રશિયા
રવિવારે ક્રેમલિને સ્પષ્ટ કહ્યું કે, યુક્રેન, રશિયા અને અમેરિકા વચ્ચેની સંયુક્ત બેઠકની કોઈ શક્યતા નથી. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે સંઘર્ષને સમાપ્ત કરવા માટે મિયામીમાં રાજદ્વારીઓ એકઠા થયા છે. એક દિવસ પહેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી (Ukraine President Volodymyr Zelenskyy)એ વોશિંગ્ટન દ્વારા આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. જો પ્રસ્તાવ મુજબ બેઠક યોજાઈ હોત તો છેલ્લા છ મહિનામાં રશિયા-યુક્રેન વચ્ચેની પ્રથમ સામસામે મુલાકાત હોત. જોકે, રશિયાના ઈનકાર બાદ હવે ઝેલેન્સ્કીની નિરાશા વધી છે અને અમેરિકાના પ્રયાસો સામે પણ પડકારો ઉભા થયા છે.
પુતિનના નિર્ણયથી ઝેલેન્સ્કી નિરાશ અને અમેરિકાની ચિંતામાં વધારો
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન (Russia President Vladimir Putin)ના વિદેશ નીતિના સલાહકાર યુરી ઉષાકોવે પત્રકારોને જણાવ્યું હતું કે, હાલમાં આ ત્રિપક્ષીય બેઠકની પહેલ પર કોઈ ગંભીર ચર્ચા થઈ નથી અને આવી કોઈ તૈયારી ચાલી રહી નથી. ઝેલેન્સ્કીએ અગાઉ આશા વ્યક્ત કરી હતી કે, આ બેઠકમાં યુરોપિયન પ્રતિનિધિઓ પણ જોડાઈ શકે છે. જોકે આ સાથે ઝેલેન્સ્કીએ બેઠકની સફળતા પર શંકા પણ વ્યક્ત કરી હતી. રશિયાના આ કડક વલણને કારણે અમેરિકા દ્વારા યુદ્ધ અટકાવવા માટે લેવામાં આવેલી પહેલને મોટો ઝટકો લાગ્યો છે.
અમે અમેરિકાનો સુધારેલો પ્રસ્તાવ જોયો નથી : રશિયા
બીજી તરફ, રશિયન પ્રતિનિધિ કિરીલ દિમિત્રીવ શનિવારે મિયામી પહોંચ્યા હતા, જ્યાં યુક્રેનિયન અને યુરોપિયન ટીમો પણ અમેરિકાના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરની મધ્યસ્થીમાં ચાલી રહેલી વાટાઘાટો માટે હાજર છે. ઉષાકોવે ઉમેર્યું કે દિમિત્રીવ મોસ્કો પરત ફરીને પોતાનો રિપોર્ટ રજૂ કરશે, ત્યારબાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. જોકે, ક્રેમલિને એવો દાવો પણ કર્યો છે કે, તેમણે અમેરિકા દ્વારા સંઘર્ષ સમાપ્ત કરવા માટેનો સુધારેલો પ્રસ્તાવ હજુ સુધી જોયો નથી.









