Get The App

ટ્રમ્પનાં ગાઝા પીસ પ્લાનને સમર્થન આપવા બદલ શરીફ સામે પાકિસ્તાનમાં વિદ્રોહ અગ્નિ

Updated: Oct 1st, 2025

GS TEAM

Google News
Google News
ટ્રમ્પનાં ગાઝા પીસ પ્લાનને સમર્થન આપવા બદલ શરીફ સામે પાકિસ્તાનમાં વિદ્રોહ અગ્નિ 1 - image

- નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઇશાકદાર શરીફનાં નિવેદનથી અળગા રહ્યા, વિપ્લવીઓએ કહ્યું શરીફનાં વિધાનો, પાક.નાં મૂળભૂત વલણથી તદ્દન વિરોધાભાસી છે

ઇસ્લામાબાદ : વ્હાઇટ હાઉસે પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પની ગાઝા પટ્ટી સંબંધી ૨૦ મુદ્દાની શાંતિ યોજના (પીસ પ્લાન) રજૂ કર્યા પછી તુર્ત જ શહબાઝ શરીફે ટ્રમ્પનાં નેતૃત્વની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ઇસ્લામાબાદ તેઓનાં ટુ-સ્ટેટ સોલ્યુશનને સમર્થન આપે છે. આ સાથે તેઓએ ટ્રમ્પના શાંતિ પ્રયાસોની પણ પ્રશંસા કરી હતી. આથી સમગ્ર પાકિસ્તાનમાં શરીફ સામે વિદ્રોહ અગ્નિ ભડકી ઉઠયો છે.

વિદ્રોહીઓનું કહેવું છે કે શરીફનાં આ વિધાનો પેલેસ્ટાઇન અંગેની પાકિસ્તાનની મૂળભૂત નીતિથી તદ્દન વિરોધાભાસી છે.

પાકિસ્તાનના જનસામાન્યની વાત છોડો પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઇશાકદાર પણ શરીફનાં તે નિવેદનથી અળગા રહ્યા છે. બીજી તરફ વિદ્રોહીઓએ તેને સીધે સીધ્ધું કહી દીધું છે કે તે (વિધાનો) અમારાં વિધાનો નથી.

શહબાઝ શરીફે ટ્રમ્પની કરેલી પ્રશંસા પછી માત્ર ગણતરીના સમયમાં જ વડાપ્રધાન શરીફ ઉપર સોશ્યલ મીડીયામાં પસ્તાળ પડવા લાગી હતી. તેઓએ સિંગલ ટ્વિટમાં કહ્યું હતું કે આ તો ઇઝરાયલને વિધિસરની માન્યતા આપવા બરોબર છે.

એક અન્ય ઠ યુઝરે કહ્યું પેલેસ્ટાઇનને દગો આપી જ ન શકાય. આપણો દેશ તે કહી જ ન શકે. આથી અમે ટ્રમ્પનાં કહેવાતા પીસ પ્લાનને વડાપ્રધાન શરીફે આપેલાં સમર્થનનો પૂર્ણત: અસ્વીકાર્ય ગણીએ છીએ. અન્યએ પૂછ્યું : ૭૦,૦૦૦ નાગરિકોને મારી નાખ્યા પછી પણ ઇઝરાયલ તો ત્યાં સૈન્ય રાખશે જ. તો ગાઝાને ડી મીલિટરાઇઝડ (સૈન્ય રહિત) કેમ કહી શકાય ? અમે વડાપ્રધાન શરીફે ટ્રમ્પના કહેવાતા ગાઝા પીસપ્લાનનો સ્પષ્ટ વિરોધ કરીએ છીએ.

ટ્રમ્પનાં પીસ પ્લાનથી પોતાને અલગ રાખતાં પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશમંત્રી ઇશાકદારે કહ્યું હતું કે તે શાંતિ યોજના અમે ઘડી નથી. તેમાં કેટલીયે બાબતો તેવી છે કે જેની ઉપર ધ્યાન અનિવાર્ય છે. વાસ્તવમાં અત્યારે ત્યાં યુદ્ધવિરામ સ્થપાય તેને જ સર્વપ્રથમ પ્રાથમિકતા અપાવી જોઇએ. માનવીય સહાય તત્કાળ મળે તે જોવું જોઇએ. અને જોર જુલ્મથી કરાતાં સ્થળાંતરો અટકાવવાં જોઇએ.

ઇશાકદારે કહ્યું હતું કે ટ્રમ્પની આ જાહેરાત તો (ઇઝરાયલ) કબ્જાને વિધિવત્ સ્વીકૃતિ આપવા સમાન છે. એક યુઝરે લખ્યું ન્યાય વિનાની શાંતિ તે ઠાલી બની રહે છે. આમ શરીફ ઉપર પસ્તાળ ઉપર પસ્તાળ પડી રહી છે.