પેશાવરમાં જુમા મસ્જિદ તોડી પાડવા પર વિરોધ, અનેક નેતાઓ વિરોધમાં જોડાયા
Updated: Nov 24th, 2022
- જર્જરિત જુમા મસ્જિદ તોડીને માર્કેટ બનાવવાની યોજના
- મસ્જિદનો ઉપયોગ માર્કેટ બનાવવા માટે નહીં થવા દઈએઃ હક્કાની
નવી દિલ્હી,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર
પાકિસ્તાનના પેશાવરમાં જર્જરિત જુમા મસ્જિદને તોડી પાડવાનો વિરોધ શરૂ થયો છે. શહેરના મેયર અને અનેક તાલુકાઓના વડાઓ જિલ્લા વહીવટીતંત્રની યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેમણે મસ્જિદ સંરક્ષણ સમિતિના સમર્થનની જાહેરાત કરી છે. જિલ્લા વહીવટીતંત્ર મસ્જિદની જમીન પર માર્કેટ કે કોમર્શિયલ બિલ્ડીંગ બનાવવા માંગે છે.
સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, મસ્જિદ તોડવાની યોજનાને લઈને વિવાદ ઉભો થયો છે. પેશાવરના મેયર હાજી ઝુબૈર અલીએ કહ્યું છે કે, જિલ્લા પ્રશાસને જુમા મસ્જિદ વિવાદમાં ન પડવું જોઈએ. તે જનતા અને વહીવટીતંત્ર વચ્ચે મુકાબલો કરવાના પક્ષમાં નથી. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પેશાવર જિલ્લા વહીવટીતંત્ર જુમાત મસ્જિદને તેની જર્જરિત હાલતને કારણે તોડી પાડવાની યોજના બનાવી રહ્યું છે. હાજી ઝુબેર અલીને ટાંકીને ડોને કહ્યું કે, જિલ્લા વહીવટીતંત્રે જુમાત મસ્જિદ મામલે કોઈપણ પ્રકારની દખલગીરીથી દૂર રહેવું જોઈએ. તેમણે કહ્યું કે, તેના પતનને રોકવા માટે તમામ સંભવિત પગલાં લેવામાં આવશે. પેશાવર મેટ્રોપોલિટન સરકારી જમીનનો અન્ય કોઈ હેતુ માટે ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બીજી બાજુ, JUI-Fના નેતા અમાનુલ્લાહ હક્કાનીએ કહ્યું છે કે, મસ્જિદ તોડી પાડ્યા પછી, જમીનનો ઉપયોગ બજાર બનાવવા અથવા વ્યવસાયિક હેતુઓ માટે કરવા દેવામાં આવશે નહીં. હક્કાનીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટીતંત્રે અગાઉ જાહેરાત કરી હતી કે, મસ્જિદની જગ્યા પર પ્લાઝા બનાવવામાં આવશે નહીં, પરંતુ બાદમાં કહ્યું કે, જમીનનો ઉપયોગ વ્યવસાયિક હેતુઓ માટે કરવામાં આવશે. હક્કાનીએ જિલ્લા વહીવટીતંત્રને ચેતવણી આપી હતી કે, જો મસ્જિદ તોડી પાડવામાં આવશે તો પરિણામ માટે જિલ્લા વહીવટીતંત્ર જવાબદાર રહેશે.