Get The App

ભારત તરફી સુશિલા કાર્કી નેપાળમાં વચગાળાની સરકારનું સુકાન સોંપાયું

Updated: Sep 13th, 2025

GS TEAM

Google News
Google News
ભારત તરફી સુશિલા કાર્કી નેપાળમાં વચગાળાની સરકારનું સુકાન સોંપાયું 1 - image

- આંદોલનકારી યુવાનો, આર્મી, રાષ્ટ્રપતિ વચ્ચે ત્રણ દિવસની મડાગાંઠનો અંત

- રાષ્ટ્રપતિની સંસદ ભંગની જાહેરાત : સુશિલા કાર્કીના નેતૃત્વમાં બનનારા નાના મંત્રાલયમાં યુવાનોનો પણ સમાવેશ કરાશે

કાઠમંડુ : નેપાળમાં 'જેન ઝી'ના બેનર હેઠળ યુવાનોના આંદોલનના કારણે સર્જાયેલા રાજકીય સંકટનો આખરે શુક્રવારે અંત આવ્યો છે. આંદોલનકારી યુવાનો, આર્મી અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ વચ્ચે વચગાળાની સરકારના વડા અંગે ત્રણ દિવસ સુધી ચાલેલી ચર્ચાના અંતે શુક્રવારે ભારત તરફથી નેપાળનાં પહેલાં મહિલા ન્યાયાધીશ સુશિલા કાર્કીની પસંદગી કરાઈ હતી. આ સાથે રાષ્ટ્રપતિ પૌડેલે સંસદ ભંગ કરી દીધી છે. સુશિલા કાર્કીએ શુક્રવારે જ વચગાળાની સરકારનાં વડાં તરીકે શપથ લીધા હતા.

નેપાળમાં સોશિયલ મીડિયા એપ પર પ્રતિબંધ, ભ્રષ્ટાચાર, પરિવારવાદ જેવા મુદ્દાઓ પર યુવાનોના હિંસક આંદોલને માત્ર બે દિવસમાં જ સત્તા પલટો કર્યો હતો અને વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ સોમવારે આંદોલન શરૂ થયા પછી મંગળવારે રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર પછી નેપાળમાં આંદોલનકારી યુવાનો કોઈ સ્વચ્છ અને નિષ્પક્ષ છબી ધરાવતી વ્યક્તિને વચગાળાની સરકારનું સુકાન સોંપવા માગતા હતા. 

નેપાળનાં પહેલાં મુખ્ય ન્યાયાધીશ તરીકે સુશિલા કાર્કી ભ્રષ્ટાચાર વિરોધી વલણ અને વંચિતો માટે અલગ વિચારસરણી રાખતા ન્યાયાધીશ તરીકે પ્રખ્યાત છે. સુશિલા કાર્કીને નેપાળના બંધારણની કલમ ૬૧ મુજબ વચગાળાની સરકારનાં વડાં તરીકે નિયુક્ત કરાયા છે. સુશિલા કાર્કીના શપથગ્રહણ પછી રાષ્ટ્રપતિ ભવનમાં તેમની પહેલી કેબિનેટ બેઠક યોજાઈ હતી. સૂત્રો મુજબ આ બેઠકમાં નાનું મંત્રીમંડળ બનાવાનો નિર્ણય લેવાઈ શકે છે. આ મંત્રીમંડળમાં આંદોલનકારી યુવાનોના કેટલાક પ્રતિનિધિઓને પણ સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. આ સિવાય ન્યાયિક તપાસ પંચ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ શક્તિશાળી આયોગ બનાવવાની દરખાસ્ત પર પણ ચર્ચા થવાની શક્યતા છે.

આંદોલનકારી યુવાનો, આર્મી અને રાષ્ટ્રપતિ વચગાળાની સરકારનાં વડાં પદે સુશિલા કાર્કીનાં નામની ચર્ચા કરતા હતા તે સમયે તેમણે ભારતના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે વારાણસી સ્થિત બીએચયુમાંથી અભ્યાસ કર્યો છે. તેમણે એક ઈન્ટર્વ્યૂમાં વડાપ્રધાન મોદીને નમસ્કાર કર્યા હતા. તેઓ ભારતીય નેતાઓથી ખૂબ જ પ્રભાવિત હોવાથી તેમને ભારત તરફી મનાય છે.

વધુમાં નેપાળની વર્તમાન તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખતા વચગાળાની સરકારે 'સંકટકાલ' લાગુ કરવાની તૈયારી શરૂ કરી છે. દેશમાં સુરક્ષા વધારવા માટે સૈન્યની તૈનાતી વધારવામાં આવી છે. સુશિલા કાર્કીના નેતૃત્વમાં પહેલી કેબિનેટ બેઠકમાં સંકટકાલ લગાવવાની ભલામણ કરાઈ શકે છે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ તેને શુક્રવારે રાતે ૧૨.૦૦ કલાકથી જ લાગુ કરવાની પ્રક્રિયા શરૂ કરે તેવી અટકળો થઈ રહી છે.

આ પહેલા રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડલે શુક્રવારે નેપાળની સંસદ ભંગ કરવાની જાહેરાત કરી હતી. જોકે, રાજકીય પક્ષોએ સંસદ ભંગના નિર્ણયનો વિરોધ કર્યો હતો અને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના પક્ષના મહાસચિવ શંકર પોખરેલે કહ્યું કે, સંસદ ભંગ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે અને તેને રોકવાની જરૂર છે. તેમણે પક્ષના કાર્યકરો અને સમર્થકોને આ નિર્ણયનો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવા હાકલ કરી હતી.

દરમિયાન નેપાળમાં 'જેન ઝી' બેનર હેઠળ યુવાનોના હિંસક આંદોલનમાં આ સપ્તાહે એક ભારતીય મહિલા સહિત કુલ ૫૧ લોકોનાં મોત નીપજ્યાં હોવાનું શુક્રવારે પોલીસે જણાવ્યું હતું. નેપાળ પોલીસના પ્રવક્તા અને વરિષ્ઠ પોલીસ સુપરીન્ટેન્ડેન્ટ રમેશ થાપાએ જણાવ્યું કે, મૃતકોમાં ત્રણ પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. મહારાજગંજમાં ત્રિભુવન યુનિવર્સિટી ટીચિંગ હોસ્પિટલમાં ૩૬ મૃતદેહોના પોસ્ટમોર્ટમ હાથ ધરાયા હતા.