અવામી એક્શન કમિટિની 38 માગો સાથે અનિશ્ચિત મુદતની હડતાળ
લોકો બંદુકો સાથે રસ્તા પર, ઈન્ટરનેટ સર્વિસ બંધ, આંદોલન ડામવા ઈસ્લામાબાદથી ૨૫,૦૦૦ સૈનિકો મોકલાયા
પીઓકેમાં હજી સુધી થયેલા નાગરિક વિદ્રોહમાં રવિવાર રાતથી શરૂ થયેલો વિદ્રોહ હાથ બહાર જાય તેટલી હદે વ્યાપક બની ગયો છે. પીઓકેની 'આવામી-એકશન-કમિટી'એ સોમવારથી સમગ્ર પીઓકેમાં દેખાવો યોજવા એલાન આપતા દુકાનો, માર્કેટસ બધાં સજ્જડ બંધ કરાવ્યાં છે તે ક્યારે ખુલશે તે નક્કી નથી. તેથી 'આવામી-લીગ' અને તેના સાથી પક્ષોએ સજ્જડ બંધનું એલાન આપતાં પૂર્વે નાગરિકોને રવિવારે જ જરૂરી ખાધા-ખોરાકી વગેરે ખરીદી લેવા જણાવ્યું હતું કારણ કે આ 'બંધ' કેટલો સમય ચાલે તે નિશ્ચિત નથી. બીજી તરફ શરીફ સરકારે ઇન્ટરનેટ સેવા પણ તે પ્રદેશમાં બંધ કરી દીધી છે. મુઝફરાબાદમાં એક વિશાળ મેદનીને સંબોધતાં આવામી એકશન કમિટીના અગ્રીમ નેતા શૌકત નવાઝ મીરે કહ્યું હતું કે, 'અમારૂં અભિયાન કોઈ સંસ્થા વિરૂદ્ધ નથી, પરંતુ સીત્તેર-સીત્તેર વર્ષોથી પણ વધુ સમયથી અમારા લોકોને તેમના મૌલિક અધિકારોથી દૂર રખાયા છે, તેની સામે છે... બહુત હો ગયા, યાતો અધિકાર દેં યા તો લોંગો કે ક્રોધ કા સામના કરે.' પોતાના કબ્જા નીચેના કાશ્મીરમાં પહેલાં શરૂ થયેલા શાંત દેખાવોએ એકાએક 'હિંસક' સ્વરૂપ લેતાં કહેવાતાં 'આઝાદ કાશ્મીર'ની સરકાર રીતસર હેબતાઈ ગઈ છે. તેની પોલીસ આ રમખાણો દબાવી શકે તેમ નથી તેની તેને ખાતરી થઈ ગઈ છે. એક ગુપ્ત માહિતી તો તે સરકારને એવી મળી છે કે, પોલીસ (જે કાશ્મીરીઓની જ છે) તે રમખાણકારો પર કડક થતી નથી તેથી મુઝફફરાબાદ સરકારને ઇસ્લામાબાદથી લશ્કર બોલાવવું પડયું છે. તેણે સોમવારે 'બખ્તરબંધ' ગાડીઓમાં મુઝફફરાબાદ સહિત વિવિધ શહેરોમાં સવારથી 'ફલેગ-માર્જ' યોજી હતી અને મહત્વનાં સ્થળોએ સખત ચોકી પહેરો ગોઠવી દીધો હતો.
અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં નાગરિકો હાથમાં બંદુક સાથે રસ્તા પર ઉતરતા જોવા મળ્યા હતા, જેમાંથી કેટલાકે હવામાં ગોળીબાર કર્યો હતો.


