- ભારતને જવાબ આપવાના ચક્કરમાં પાકે. પોતાના જ પગ પર કુહાડો માર્યો
- પાક.ની એરસ્પેસ બંધ રહેવાને કારણે દરરોજ ભારતના 100થી વધુ વિમાનોની અવર-જવરને અસર
બે જ મહિનામાં મોટું નુકસાન છતાં પાક. સુધરવા નથી માગતું, ભારતીય વિમાનો માટે હજુસુધી એરસ્પેસ ખોલી નથી
૨૨મી એપ્રીલે પહલગામ હુમલો થયો હતો જેના બીજા જ દિવસે ભારતે પાકિસ્તાન સાથેનો સિંધુ જળ કરાર અટકાવી દીધો હતો, જે બાદ પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી. જોકે પાકિસ્તાને આ નિર્ણય લઇને પોતાના જ પગ પર કુવાડો માર્યો છે. કેમ કે તેનાથી ભારતને નહીં પણ ખુદ પાકિસ્તાનને જ મોટું આર્થિક નુકસાન થયું છે. જોકે એવા રિપોર્ટ છે કે આ સમયગાળા દરમિયાન દરરોજ આશરે ૧૦૦થી ૧૫૦ જેટલા ભારતીય વિમાનોની અવર જવર પર પણ થોડીઘણી અસર પડી હતી.
એવુ નથી કે પ્રથમ વખત પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી હોય, આ પહેલા વર્ષ ૨૦૧૯માં પણ ભારત-પાકિસ્તાન સરહદે તંગદીલી દરમિયાન પાકિસ્તાને ભારતીય વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી હતી, જેને પગલે પાકિસ્તાનને ૫૪ મિલિયન ડોલરનું નુકસાન થયું હતું. એટલે કે જ્યારે પણ પાકિસ્તાને પોતાની એરસ્પેસ બંધ કરી છે ત્યારે નુકસાનનો સામનો કરવો પડયો છે. જોકે તેમ છતા પાકિસ્તાન સુધરવા માટે તૈયાર નથી, એપ્રીલ મહિનામાં ભારતીય વિમાનો માટે એરસ્પેસ બંધ કરવાનો જે નિર્ણય લેવાયો હતો તેમાં હજુસુધી કોઇ જ ફેરફાર નથી કર્યા જ્યારે અન્ય દેશોની ફ્લાઇટો માટે પોતાની એરસ્પેસ પાકિસ્તાને ખોલી આપી છે.


