Pakistan Sends Top Officials to Meet Taliban: પાકિસ્તાની વાયુસેના દ્વારા અફઘાનિસ્તાનના પક્તિકા પ્રાંતમાં કરાયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 10 નાગરિકો (જેમાં ત્રણ ક્રિકેટરનો સમાવેશ થાય છે) માર્યા ગયા બાદ, બંને પક્ષોએ કતારની રાજધાની દોહામાં તાત્કાલિક શાંતિ વાટાઘાટો યોજવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફ અને ઈન્ટેલીજન્સના વડા જનરલ આસિમ મલિકના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળને દોહા મોકલ્યું છે, જ્યારે અફઘાન પક્ષના સંરક્ષણમંત્રી મૌલવી મોહમ્મદ યાકૂબ મુજાહિદના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળ શનિવારે ત્યાં પહોંચવાનું છે.
પાકિસ્તાન-અફઘાન વચ્ચે યુદ્ધવિરામનો ભંગ અને ટીટીપીના ઠેકાણાઓ પર હવાઈ હુમલા
નવા હુમલા બુધવારે સાંજે શરૂ થયેલા અને દોહા વાટાઘાટો સુધી લંબાવેલા 48 કલાકના કામચલાઉ યુદ્ધવિરામ પછી તરત જ થયા. તાલિબાને તેને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવી બદલો લેવાની ચેતવણી આપી છે. જોકે, પાકિસ્તાનનો દાવો છે કે આ સચોટ હવાઈ હુમલાઓ અફઘાનિસ્તાનથી કાર્યરત આતંકવાદી જૂથો, ખાસ કરીને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના ઠેકાણાઓ પર કરાયા હતા.
શું છે આખો મામલો?
સરહદ પરના સંઘર્ષનો તાજેતરનો તબક્કો 11 ઓક્ટોબરે શરૂ થયો, જ્યારે અફઘાન દળોએ કુર્રમમાં પાકિસ્તાની ચોકીઓ પર ગોળીબાર કર્યો. પાકિસ્તાને કંદહાર અને હેલમંદમાં ડ્રોન હુમલા કરી 19 તાલિબાન લડવૈયાઓને મારવાનો દાવો કર્યો. તાલિબાને તેને 'સરહદ ઉલ્લંઘન' ગણાવી હુમલો કર્યો અને 58 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયાનો દાવો કર્યો.
સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, સંઘર્ષમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 18 લોકો મૃત્યુ પામ્યા અને 360 ઘાયલ થયા. કંદહારના સ્પિન બોલ્દાકમાં પાકિસ્તાની હવાઈ હુમલાથી 15 નાગરિકો (મહિલાઓ અને બાળકો સહિત) માર્યા ગયા અને 80થી વધુ ઘાયલ થયા.
યુદ્ધવિરામ લંબાવ્યાના કલાકો પછી જ, 17 ઓક્ટોબરે પાકિસ્તાને પક્તિકાના અર્ગુન અને બર્મલ જિલ્લાઓમાં ફરી હુમલા કર્યા. તાલિબાને યુદ્ધવિરામ ભંગનો આરોપ લગાવી બદલો લેવાની ચેતવણી આપી. આ હુમલાઓમાં 10 નાગરિકો (2 બાળકો અને 3 સ્થાનિક ક્રિકેટરો સહિત) માર્યા ગયા અને 12 ઘાયલ થયાની પુષ્ટિ પ્રાંતીય હોસ્પિટલ અને અફઘાન ક્રિકેટ બોર્ડના પ્રવક્તાએ કરી.
દોહા વાટાઘાટો, પાકિસ્તાનની 'સુરક્ષા ચિંતા' અને તાલિબાનનો આરોપોનો ઈન્કાર
કતારની મધ્યસ્થીથી દોહામાં વાટાઘાટો ચાલી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કહ્યું કે તેઓ વાતચીત માટે તૈયાર છે, પરંતુ શરત એ છે કે કાબુલ તેમની સુરક્ષા ચિંતાઓને ગંભીરતાથી લે, કારણ કે ધીરજની સીમા પાર થઈ ગઈ છે. જોકે, તાલિબાન સરકારે આ આરોપોને ફગાવીને પાકિસ્તાન પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ લગાવ્યો છે અને અફઘાન ગૃહમંત્રી સિરાજુદ્દીન હક્કાનીએ સારા પડોશી સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી. સંયુક્ત રાષ્ટ્ર સહિત આંતરરાષ્ટ્રીય સંગઠનોએ બંને પક્ષોને સંયમ જાળવી રાજદ્વારી સમાધાન શોધવા અપીલ કરી છે.
આ પણ વાંચો: હમાસ હથિયાર છોડવા તૈયાર નથી, કહ્યું - અમે નિઃશસ્ત્રીકરણ નહીં કરીએ, હવે ઈઝરાયલ શું કરશે?
સરહદ પરની સ્થિતિ: તણાવ યથાવત
સરહદ પરના હાલત નાજુક રહેલા છે. ચમન જિલ્લાના રહેવાસી નજીબુલ્લાહ ખાને જણાવ્યું, 'લોકોની જાન જોખમમાં છે. ઘરમાં ગોળીઓ વરસી રહી છે.' સ્પિન બોલ્દાકમાં તાલિબાન લડવૈયાઓ ટેન્કો પર સવાર થઈને પેટ્રોલિંગ કરી રહ્યા છે, જ્યારે પાકિસ્તાની સેનાએ ડુરાન્ડ લાઇન પર તકેદારી વધારી દીધી છે. યુદ્ધવિરામ છતાં, બંને પક્ષો વચ્ચે અવિશ્વાસ યથાવત છે.


