પાક-અફઘાનિસ્તાન યુદ્ધમાં સાઉદીની એન્ટ્રી, 55 સૈનિકોના મોત બાદ રિયાધની શરણમાં શાહબાઝ સરકાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Pakistan Afghanistan War 2026: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યા બાદ હવે પાકિસ્તાને પોતાના રક્ષા સહયોગી સાઉદી અરબનો સંપર્ક સાધ્યો છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડારે સાઉદીના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન રહમાન સાથે ફોન પર વાતચીત કરી છે. જેડ્ડામાં આયોજિત ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશનની બેઠક દરમિયાન થયેલી આ વાતચીતમાં પાકિસ્તાને વિસ્તારમાં વધી રહેલા તણાવને ઓછો કરવા માટે સાઉદીની મદદ માંગી છે. પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે થયેલા સંરક્ષણ કરાર મુજબ, એક દેશ પર હુમલો એ બીજા પર હુમલો માનવામાં આવે છે, જે પાકિસ્તાન માટે આ યુદ્ધમાં મહત્ત્વનું સાબિત થઈ શકે છે.
તાલિબાને પાકિસ્તાની સૈન્યની 19 ચોકીઓ પર કર્યો કબજો
બીજી તરફ, સરહદ પર સ્થિતિ ગંભીર બની રહી છે. અફઘાનિસ્તાન સરકારના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે દાવો કર્યો છે કે તાલિબાનના ઓપરેશનમાં પાકિસ્તાનની 19 ચોકીઓ પર કબજો કરી લેવામાં આવ્યો છે અને અંદાજે 55 પાકિસ્તાની સૈનિકોને ઠાર માર્યા છે. આટલું જ નહીં, કેટલાક સૈનિકોને પકડવામાં આવ્યા હોવાનો પણ દાવો છે. સાઉદી અરબ અને તાલિબાન વચ્ચે મોટો વ્યાપારી અને માનવીય સહાયનો સંબંધ હોવાથી પાકિસ્તાનને આશા છે કે સાઉદી મધ્યસ્થી કરીને આ યુદ્ધ અટકાવવામાં ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો: પાકિસ્તાન અને અફઘાનિસ્તાન એકબીજાના જાની દુશ્મન કેમ બની ગયા? જાણો યુદ્ધનું કારણ
પાકિસ્તાની હુમલામાં કાબુલ-કંધારમાં 133ના મોત
સામે પક્ષે પાકિસ્તાને પણ વળતો પ્રહાર કરતા કાબુલ અને કંધારમાં એરસ્ટ્રાઈક કરી છે, જેમાં 133 લોકોના મોત થયા હોવાનું કહેવાય છે. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ આ સ્થિતિને સત્તાવાર રીતે 'યુદ્ધ' ગણાવી દીધું છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સાઉદી અરબ કેવું વલણ અપનાવે છે તે જોવું રસપ્રદ રહેશે, કારણ કે સાઉદી પહેલેથી જ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે સમજૂતી કરાવવા માટે પ્રયત્નશીલ રહ્યું છે.








