અમને એર ડિફેન્સ સિસ્ટમ આપો, ભારતે 400 મિસાઈલ છોડી: પાકિસ્તાનની અમેરિકાની વિનવણી
Pakistan Seeks US Weapons: ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને કડક પાઠ ભણાવ્યો છે. પહેલા ભારતે લશ્કરી કાર્યવાહી દરમિયાન પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકી ઠેકાણાઓનો ખાતમો કર્યો હતો. ત્યારબાદ પાકિસ્તાનના હુમલાઓનો જવાબ આપતા તેના 11 લશ્કરી ઠેકાણાઓને પણ નુકસાન પહોંચાડ્યું. ભારતના એર ડિફેન્સ અને લશ્કરી પરાક્રમ સામે પાકિસ્તાને સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી અને હારનો સામનો કરવો પડ્યો. આવી સ્થિતિમાં પાડોશી દેશે હવે અમેરિકાને હથિયારો ખરીદવા માટે અપીલ કરી છે.
'ભારત જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે તે અદ્યતન છે'
વોશિંગ્ટનમાં 13 સભ્યોના પાકિસ્તાની પ્રતિનિધિમંડળે અદ્યતન અમેરિકન હથિયારોની માંગ કરી છે. પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી મુસાદિક મલિકે અમેરિકાને એર ડિફેન્સ સિસ્ટમ અને ફાઈટર વિમાનો વેચવા વિનંતી કરી છે. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં પાકિસ્તાની મંત્રી મલિકે કહ્યું, 'ભારત 80 વિમાનો સાથે આવ્યું હતું, જેમાં 400 મિસાઈલો હતી, જેમાંથી કેટલાક પરમાણુ હથિયારો લઈ જવા સક્ષમ હતા. તમે જોયું જ હશે કે અમારી સાથે શું થયું. જો અમારી પાસે એર ડિફેન્સ સિસ્ટમ ન હોત, તો અમે કાટમાળમાં ફેરવાઈ ગયા હોત. ભારત જે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે તે ખૂબ જ અદ્યતન છે. તેથી, અમે કહીએ છીએ કે અમને તે ટેકનોલોજી આપો, અમે તે તમારી પાસેથી ખરીદીશું.'
પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી મુસાદિક મલિક પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના પ્રમુખ અને પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વ હેઠળની ટીમનો ભાગ છે, જે હાલમાં અમેરિકા અધિકારીઓ અને સાંસદો સાથે વાતચીત કરવા માટે વોશિંગ્ટનમાં છે. પાકિસ્તાને પણ ભારતનું અનુકરણ કરીને બિલાવલ ભુટ્ટોના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળને વિદેશ પ્રવાસ પર મોકલ્યું છે.
આ પણ વાંચો: 20% યુક્રેન હવે રશિયાના તાબા હેઠળ, પુતિનની આર્મીએ વધુ એક શહેર પર કબજો કર્યો
શાહબાઝ શરીફના દાવાઓનો પર્દાફાશ
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવમાં પોતાની જીત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે દાવો કર્યો હતો કે પાકિસ્તાને ભારતને યુદ્ધવિરામ માટે દબાણ કર્યું હતું અને તેમની સેનાનો વિજય થયો હતો. ઈસ્લામાબાદે આર્મી ચીફ અસીમ મુનીરને ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી આપીને તેમની પીઠ થપથપાવી હતી. પરંતુ પાકિસ્તાનના કેન્દ્રીય મંત્રી મુસાદિક મલિકનું નિવેદન શાહબાઝના દાવાની પોલ છતી કરે છે.
ભારતનો રાજદ્વારી વિજય
પહલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે તાત્કાલિક લશ્કરી કાર્યવાહી કરી અને પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓનો ખાતમો કર્યો હતો. આ સાથે ભારતે પોતાની સ્થિતિ મજબૂત કરવા માટે કોંગ્રેસના સાંસદ શશી થરૂરના નેતૃત્વમાં એક સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ અમેરિકા મોકલ્યા. બીજી તરફ પાકિસ્તાને વૈશ્વિક દબાણથી બચવા માટે બિલાવલ ભુટ્ટો ઝરદારીના નેતૃત્વમાં એક ટીમ વોશિંગ્ટન અને બીજી ટીમ મોસ્કો મોકલી. પરંતુ ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનને વિશ્વ સમક્ષ ઉજાગર કરીને તેની વિશ્વસનીયતાને ઊંડી ઠેસ પહોંચાડી છે.