વાસ્તવમાં પાકિસ્તાને જ કઠોર પગલાં લીધા હોવાથી તાલિબાનોએ પાકિસ્તાનને ખુલ્લા યુદ્ધની ધમકી આપી છે : શાંતિ મંત્રણા પડી ભાંગી છે
ઇસ્લામાબાદ: તુર્કી અને કતારના મધ્યસ્થીના પ્રયાસો છતાં, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સતત તંગદિલી પ્રવર્તે છે. બંને એકબીજા પર શાંતિ મંત્રણા તોડી પાડવાના આક્ષેપો મૂકે છે. પાકિસ્તાને અફઘાનો ઉપર બૉમ્બ અને મિસાઇલ વર્ષા કર્યા પછી અફઘાનિસ્તાને તેને ખુલ્લા યુદ્ધની ધમકી આપી છે.
તાલિબાનોની આ ધમકી પછી પાકિસ્તાન થોડું ઢીલું પડયું છે. તેણે રવિવારે કહ્યું હતું કે, હજી પણ અમે મંત્રણા માટે તૈયાર છીએ વાસ્તવમાં પાકિસ્તાનના દુરાગ્રહને લીધે શનિવારે બંને વચ્ચેની મંત્રણાનો ત્રીજો દોર પડી ભાંગ્યો હતો, જે માટે બંને એકબીજા ઉપર આક્ષેપો કરે છે.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે, હજી પણ અમે મતભેદો રાજદ્વારી રીતે ઉકેલવા તૈયાર છીએ. આમ છતાં શાંતિ મંત્રણાનો ચોથો દોર થવાની કોઈ સંભાવના ન દેખાતા તે શાંતિ મંત્રણા યોજનાર દેશો કતાર અને તુર્કી પૈકી તુર્કીએ તેના વરિષ્ઠ અધિકારીઓને પાકિસ્તાન મોકલી ભૂમિગત પરિસ્થિતિ તપાસવા નિર્ણય કર્યો હતો તેઓ અફઘાનિસ્તાન પણ જવાના છે પછી પાકિસ્તાન પહોચશે. આ અધિકારીઓ અત્યારે ચાલી રહેલ યુદ્ધ વિરામ કાયમી કઈ રીતે બની શકે તે માટે રસ્તો શોધશે.
તુર્કીએ અધિકારીઓને મોકલવાની કરેલી જાહેરાતને પાકિસ્તાને આવકારી છે અને તેઓનું સ્વાગત કરવા તૈયાર બન્યું છે.


