પહલગામ આતંકવાદી હુમલા અંગે આંતરરાષ્ટ્રીય તપાસ થવી જોઈએ, ભારત પર ભરોસો નથી: પાકિસ્તાન
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામમાં મંગળવારે (22 એપ્રિલ) આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કરી 26 નિર્દોષોને મોતને ઘાટ ઉતાર્યા બાદ ભારતે આક્રમક કાર્યવાહી કરતાં પાકિસ્તાન ફફડી ગયું છે. પાકિસ્તાને સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરવાના સહિતના નિર્ણયો લેતા પાકિસ્તાનના અનેક નેતાઓ ગભરાઈ ગયા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નક્વીએ ભારતની કાર્યવાહી અંગે મોટું નિવેદન આપ્યું છે.
પાકિસ્તાને નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી
પાકિસ્તાન ટેલિવિઝન કૉર્પોરેશન(PTV)એ મોહસીન નક્વી(Mohsin Naqvi)ને ટાંકીને કહ્યું છે કે, ‘પહલગામ હુમલાની પાકિસ્તાન કડક શબ્દોમાં નિંદા કરે છે અને નિષ્પક્ષ આંતરરાષ્ટ્રીય તપાસની માંગ કરી રહ્યા છે. પાકિસ્તાનને ભારતની તપાસ પર ભરોસો નથી. પાકિસ્તાન નિષ્પક્ષ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપશે. બોલ હવે ભારતના પક્ષમાં છે.’
આ પણ વાંચો : 'જો ભારત પાણી રોકશે તો અમે...', ગભરાયેલા પાકિસ્તાની PM શાહબાઝની પોકળ ચીમકી
પાકિસ્તાની વડાપ્રધાને ભારતને આપી હતી ધમકી
વાસ્તવમાં પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન પર આતંકવાદને સમર્થન આપવાનો આક્ષેપ કરી સિંધુ જળ સંધિ (Indus Water Treaty) સસ્પેન્ડ કરી દીધી છે. ત્યારબાદ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે (Pakistan PM Shehbaz Sharif) ભારતને પોકળ ધમકી આપી છે અને કહ્યું છે કે, ‘ભારત પાકિસ્તાનનું પાણી રોકવાની હિંમત ન કરે. જો ભારત પાણી અટકાવશે તો પાકિસ્તાની સેના જડબાતોડ જવાબ આપશે. પાકિસ્તાનના પાણીને અટકાવવાનો અથવા વાળવાના કોઈપણ પ્રયાસ કરાશે તો સંપૂર્ણ જવાબ અપાશે.’
પાકિસ્તાની નેતા ભુટ્ટોએ પણ નફ્ટાઈની હદ વટાવી
પાકિસ્તાની નેતા બિલાવલ ભુટ્ટો(Bilawal Bhutto)એ ભારતને જાહેરમાં ધમકી આપી છે. તેણે કહ્યું કે, ‘હું આ સિંધુ નદી સાથે ઊભો છું અને ભારતને સંદેશ આપું છું કે સિંધુ નદી અમારી છે, કાં તો અમારું પાણી આ નદીમાં વહેશે અથવા તમારું લોહી વહેશે. ભારતે પહલગામ હુમલા માટે પાકિસ્તાનને દોષી ઠેરવ્યું છે. પોતાની નબળાઈઓ છુપાવવા અને પોતાના લોકોને મૂર્ખ બનાવવા માટે, (ભારતીય વડાપ્રધાન) મોદીએ ખોટા આરોપો લગાવ્યા છે અને સિંધુ જળ સંધિને એકપક્ષીય રીતે સ્થગિત કરી દીધી છે, જેના હેઠળ ભારતે સ્વીકાર્યું છે કે સિંધુ પાકિસ્તાનની છે. હું અહીં સુક્કુરમાં સિંધુ નદી પાસે ઊભો રહીને ભારતને કહેવા માંગુ છું કે સિંધુ અમારી છે અને અમારી જ રહેશે, પછી ભલે આ સિંધુમાં પાણી વહે કે તેમનું લોહી.’