ઓપરેશન સર્ચલાઈટ: બંગાળી હિન્દુઓ પરના અત્યાચારોને નરસંહાર જાહેર કરો, અમેરિકામાં ઉગ્ર માંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| ફોટો સોર્સ: વિકિપીડિયા |
Operation Searchlight: અમેરિકન સાંસદ ગ્રેગ લેન્ડ્સમેને પ્રતિનિધિ સભામાં એક પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેમાં માંગ કરવામાં આવી છે કે પાકિસ્તાની સેના અને તેના સહયોગી સંગઠન જમાત-એ-ઇસ્લામી દ્વારા 25 માર્ચ 1971ના રોજ બંગાળી હિંદુઓ વિરુદ્ધ કરવામાં આવેલા અત્યાચારોને 'યુદ્ધ અપરાધ અને નરસંહાર' માનવામાં આવે. ઓહાયોના ડેમોક્રેટ સાંસદ લેન્ડ્સમેને શુક્રવારે આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને હવે વિદેશી બાબતોની સમિતિને મોકલી દેવામાં આવ્યો છે.
શું હતું ઓપરેશન સર્ચલાઈટ?
પ્રસ્તાવમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 25 માર્ચ 1971ની રાત્રે પાકિસ્તાન સરકારે શેખ મુજીબુર રહેમાનની ધરપકડ કરી લીધી અને તેની સેનાએ જમાત-એ-ઇસ્લામીની વિચારધારાથી પ્રેરિત ઉગ્ર ઇસ્લામી જૂથો સાથે મળીને પૂર્વ પાકિસ્તાનમાં 'ઓપરેશન સર્ચલાઈટ' નામે એક હિંસક દમન અભિયાન શરૂ કર્યું, જેમાં નાગરિકોનો મોટા પાયે નરસંહાર કરવામાં આવ્યો. તેમાં એ પણ ઉલ્લેખ છે કે 28 માર્ચ 1971ના રોજ ઢાકામાં અમેરિકાના મહાવાણિજ્ય દૂત આર્ચર બ્લડએ વોશિંગ્ટનને 'પસંદગીયુક્ત નરસંહાર' શીર્ષક સાથે એક ટેલિગ્રામ મોકલ્યો હતો, જેમાં તેમણે લખ્યું હતું કે, 'પાકિસ્તાની સેનાના સમર્થનથી બિન-બંગાળી મુસ્લિમો ગરીબ વસાહતો પર સંગઠિત હુમલા કરી રહ્યા છે અને બંગાળીઓ તથા હિંદુઓની હત્યા કરી રહ્યા છે.'
લોકોને શોધી-શોધીને મારવામાં આવ્યા
જ્યારે બાંગ્લાદેશ પાકિસ્તાનનો જ ભાગ હતું ત્યારે 1970માં પહેલીવાર પૂર્વ પાકિસ્તાનમાં ચૂંટણી થઈ હતી. જેમાં શેખ મુજીબુર રહેમાનનો વિજય થયો હતો, પરંતુ યાહ્યા ખાન અને ઝુલ્ફિકાર અલી ભુટ્ટો તેની વિરુદ્ધ હતા. 25 માર્ચ 1971ના રોજ પાકિસ્તાની સેના લોકો પર તૂટી પડી. અવામી લીગના લોકોને શોધી-શોધીને મારવામાં આવ્યા. ટૂંક સમયમાં જ આ હિંસા લઘુમતીઓ વિરુદ્ધ વધવા લાગી. આંકડા મુજબ, પાકિસ્તાની સેનાના આ ઓપરેશન સર્ચલાઈટમાં 30 લાખ લોકો માર્યા ગયા હતા અને 4 લાખ મહિલાઓ પર દુષ્કર્મ થયું હતું.
'બ્લડ ટેલિગ્રામ' તરીકે ઓળખ
લેન્ડ્સમેને જણાવ્યું કે 6 એપ્રિલ 1971ના રોજ આર્ચર બ્લડે અમેરિકન સરકારના મૌન સામે વાંધો ઉઠાવતા એક સંદેશ મોકલ્યો હતો, જેના પર ઢાકા વાણિજ્ય દૂતાવાસના 20 સભ્યોએ હસ્તાક્ષર કર્યા હતા. તેને બાદમાં 'બ્લડ ટેલિગ્રામ' તરીકે ઓળખવામાં આવ્યો. તે ટેલિગ્રામમાં કહેવામાં આવ્યું હતું કે, 'પરંતુ અમે એ આધારે હસ્તક્ષેપ ન કરવાનો નિર્ણય લીધો છે કે આવામી સંઘર્ષ, જેમાં દુર્ભાગ્યવશ નરસંહાર શબ્દ લાગુ પડે છે, તે એક સાર્વભૌમ દેશની આંતરિક બાબત છે.'
માનવતા વિરુદ્ધના અપરાધ તરીકે માન્યતા આપવા માંગ
લેન્ડ્સમેન દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવમાં અમેરિકન પ્રતિનિધિ સભાને આગ્રહ કરવામાં આવ્યો છે કે તે 25 માર્ચ 1971ના રોજ બાંગ્લાદેશના લોકો વિરુદ્ધ પાકિસ્તાની સશસ્ત્ર દળો દ્વારા કરવામાં આવેલા અત્યાચારોની નિંદા કરે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, 'પાકિસ્તાની સેના અને તેના ઇસ્લામી સહયોગીઓએ ધર્મ અને લિંગને ધ્યાનમાં લીધા વગર વંશીય બંગાળીઓની હત્યા કરી, તેમના નેતાઓ, બુદ્ધિજીવીઓ, ધંધાર્થીઓ અને વિદ્યાર્થીઓને મારી નાખ્યા અને હજારો મહિલાઓને જાતીય ગુલામી માટે મજબૂર કરી.'
તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, 'ખાસ કરીને ધાર્મિક લઘુમતી હિંદુઓને નિશાન બનાવ્યા, જેમની વિરુદ્ધ સામૂહિક હત્યાઓ, સામૂહિક દુષ્કર્મ, જબરદસ્તી ધર્માંતરણ અને જબરદસ્તી હાંકી કાઢવા જેવી ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો.' પ્રસ્તાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈપણ વંશીય કે ધાર્મિક સમુદાયને તેના સભ્યો દ્વારા કરવામાં આવેલા ગુનાઓ માટે જવાબદાર ઠેરવવો જોઈએ નહીં. આ પ્રસ્તાવમાં અમેરિકન રાષ્ટ્ર પ્રમુખને આગ્રહ કરવામાં આવ્યો છે કે તેઓ 1971માં પાકિસ્તાની સશસ્ત્ર દળો અને તેના સહયોગી જમાત-એ-ઇસ્લામી દ્વારા બંગાળી હિંદુઓ વિરુદ્ધ કરવામાં આવેલા અત્યાચારોને માનવતા વિરુદ્ધના અપરાધ, યુદ્ધ અપરાધ અને નરસંહાર તરીકે માન્યતા આપે.








