World

અફઘાનિસ્તાનના હુમલાથી અકળાયેલા પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક, 70થી વધુ તાલિબાનીના મોતનો દાવો

By GS TEAM
27 Feb 20262 mins read
TukuTouch Logo
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ હવે સીમા ઓળંગીને યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં પાકિસ્તાની વાયુસેનાએ (PAF) ગત રાત્રે કાબુલ સહિત અનેક શહેરો પર ભયાનક એરસ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનને પાકિસ્તાને 'ગઝબ લિલ હક' નામ આપ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અફઘાનિસ્તાનના હુમલાથી અકળાયેલા પાકિસ્તાનની ફરી એરસ્ટ્રાઇક, 70થી વધુ તાલિબાનીના મોતનો દાવો

Ai Image 


Afghanistan and Pakistan War Updates : પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ હવે સીમા ઓળંગીને યુદ્ધ જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયો છે. અફઘાનિસ્તાનના તાલિબાન શાસકો દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં પાકિસ્તાની વાયુસેનાએ (PAF) ગત રાત્રે કાબુલ સહિત અનેક શહેરો પર ભયાનક એરસ્ટ્રાઈક કરી છે. આ ઓપરેશનને પાકિસ્તાને 'ગઝબ લિલ હક' નામ આપ્યું છે. અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર દ્વારા પાકિસ્તાનની એરસ્ટ્રાઈકના જવાબરૂપે સરહદે હુમલો કરાયાની માહિતી સામે આવતા જ પાકિસ્તાનના ડિફેન્સ મિનિસ્ટર ખ્વાઝા આસિફે અફઘાનિસ્તાન તાલિબાન વિરુદ્ધ યુદ્ધનું એલાન કરી દીધું હતું. 

ઓપરેશન 'ગઝબ લિલ હક' થી કાબુલ અને કંદહારમાં તબાહી

પાકિસ્તાની વાયુસેનાએ 27 ફેબ્રુઆરી 2026ની વહેલી સવારે અફઘાનિસ્તાનના તાલિબાન સૈન્ય ઠેકાણાઓ પર વળતો હુમલો કર્યો છે. પાકિસ્તાની દાવા મુજબ, આ એરસ્ટ્રાઈકમાં કાબુલમાં બે બ્રિગેડ હેડક્વાર્ટર સંપૂર્ણપણે નષ્ટ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કંદહારમાં કોર હેડક્વાર્ટર, દારૂગોળો ડેપો અને લોજિસ્ટિક્સ બેઝ પર પણ ભારે બોમ્બમારો કરવામાં આવ્યો છે. પક્તિયા પ્રાંતમાં પણ એક કોર હેડક્વાર્ટરને નિશાન બનાવીને તોડી પડાયું છે.

ભારે જાનહાનિ અને નુકસાન

પાકિસ્તાની સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર્યવાહીમાં 72 થી 133 જેટલા તાલિબાની લડાકુઓ માર્યા ગયા છે અને 200 થી વધુ ઘાયલ થયા છે. 80 થી વધુ ટેન્ક, આર્ટિલરી અને સૈન્ય વાહનો (APC) તબાહ થયા છે. તાલિબાનની 27 ચેકપોસ્ટ નષ્ટ કરવામાં આવી છે, જેમાંથી 9 પર પાકિસ્તાની દળોએ કબજો કર્યો હોવાનો દાવો છે.

તાલિબાનનો વળતો દાવો

તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે આ હુમલાને 'કાયરતાપૂર્ણ' ગણાવ્યો છે અને કાબુલ-કંદહારમાં હુમલાની પુષ્ટિ કરી છે. જોકે, તેમણે કોઈ મોટું નુકસાન ન થયું હોવાનો દાવો કર્યો છે. આ અગાઉ તાલિબાને દાવો કર્યો હતો કે તેમણે સીમા પરના ઓપરેશન દરમિયાન 55 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે અને 19 સૈન્ય ચોકીઓ પર કબજો જમાવી લીધો છે.

પાકિસ્તાન સરકારનું આક્રમક વલણ

પાકિસ્તાનના માહિતી મંત્રી અતાઉલ્લા તરાર દ્વારા સોશિયલ મીડિયા પર આ હુમલાની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે આ કાર્યવાહીને "સચોટ અને અસરકારક" ગણાવી છે. પાકિસ્તાનનું કહેવું છે કે તાલિબાને કોઈપણ ઉશ્કેરણી વગર પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યો હતો, જેના જવાબમાં આ એરસ્ટ્રાઈક કરવી અનિવાર્ય હતી.