23 વર્ષની ભારતીય યુવતી અંતરિક્ષ માટે ભરશે ઉડાન, EarthLoop Orbital Cruise મિશન માટે પસંદગી
EarthLoop Orbital Cruise Mission: ભારતીય અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લા 25મી જૂને નાસા (NASA)ના એક્સિઓમ-4 (Axiom-4) મિશન હેઠળ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે ઉડાન ભરી હતી. આ દરમિયાન આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લાની રહેવાસી 23 વર્ષીય જાહ્નવી ડાંગેતી વર્ષ 2029માં અંતરિક્ષની યાત્રા કરવા જઈ રહી છે. અમેરિકાના ટાઇટન્સ સ્પેસ દ્વારા અર્થલૂપ ઓર્બિટલ ક્રૂઝ (EarthLoop Orbital Cruise) મિશન માટે તેમની પસંદી કરવામાં આવી છે. આ મિશન હેઠળ તે પૃથ્વીની બે વાર પરિક્રમા કરશે અને લગભગ 3 કલાક સુધી ઝીરો ગ્રેવિટીમાં રહેશે.
ભારત માટે ગર્વની વાત
અમેરિકાના ટાઇટન્સ સ્પેસ દ્વારા અર્થલૂપ ઓર્બિટલ ક્રૂઝ મિશન અન્ય અવકાશ મિશન કરતા તદ્દન અલગ છે. કારણ કે તેનું અવકાશયાન રોકેટની જેમ નહીં પણ ફ્લાઈટની જેમ અવકાશમાં ઉડાન ભરશે. આ અવકાશયાન ન તો કોઈ સ્ટેજથી અલગ થશે અને ન તો તેમાં કોઈ અવાજ આવશે. આ બધું બિલકુલ હોલીવુડની સાયન્સ ફિક્શન ફિલ્મ સ્ક્રિપ્ટ જેવું લાગે છે. ભારત માટે ગર્વની વાત છે કે જાહ્નવી ડાંગેતીને આ માટે પસંદ કરવામાં આવી છે.
જાહ્નવીને ISRO દ્વારા યંગ અચીવર્સ એવોર્ડ એનાયત કર્યો
ભારતીય અંતરિક્ષયાત્રી જાહ્નવી ડાંગેતીએ પંજાબની લવલી પ્રોફેશનલ યુનિવર્સિટીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન તેમણે ઘણાં પ્રોજેક્ટ્સમાં ભાગ લીધો હતો. તે નાસાના ઇન્ટરનેશનલ એર એન્ડ સ્પેસ પ્રોગ્રામનો પણ ભાગ રહી ચૂકી છે. જાહ્નવી ડાંગેતીને ISRO દ્વારા યંગ અચીવર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
અર્થલૂપ ઓર્બિટલ ક્રૂઝ મિશનની ખાસિયત
ટાઇટન્સ સ્પેસના અર્થલૂપ ઓર્બિટલ ક્રૂઝ મિશનની ચર્ચા સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. આ મિશનનો ઉદ્દેશ્ય લોકોને ફ્લાઇટ જેવી સામાન્ય ફ્લાઇટ સાથે અવકાશમાં મુસાફરી કરવા સક્ષમ બનાવવાનો છે. આ માટે કંપનીએ ટાઇટન્સ જિનેસિસ નામનું એક ખાસ પ્રકારનું સ્પેસપ્લેન ડિઝાઇન કર્યું છે. આ સ્પેસપ્લેન સામાન્ય ફ્લાઇટની જેમ રનવે પરથી ઉડાન ભરશે અને અવકાશમાં પહોંચશે. જ્યાં અંતરિક્ષયાત્રી પૃથ્વીને ગોળ ફરતી જોઈ શકશે. આ ઉપરાંત, મુસાફરો ઝીરો ગ્રેવિટીનો પણ અનુભવ કરશે.