Get The App

હવે તો હદ થઈ ગઈ : ચીની બનાવટનાં JF17 વિમાનો દ્વારા પાક વાયુદળે તિરાહ ઘાટી પર બોમ્બ ફેંકાયા

Updated: Sep 22nd, 2025

GS TEAM

Google News
Google News
હવે તો હદ થઈ ગઈ : ચીની બનાવટનાં JF17 વિમાનો દ્વારા પાક વાયુદળે તિરાહ ઘાટી પર બોમ્બ ફેંકાયા 1 - image


- રવિવાર-સોમવારની રાત્રીના બે વાગે, પાક વાયુ સેનાએ કરેલી બોમ્બ વર્ષામાં L-S-6 પ્રકારના બોમ્બ વાપરવામાં આવ્યાં

પેશાવર : દુનિયાના તમામ મુખ્યત્વે લોકશાહી ધરાવતા દેશોમાં પણ લાખો નિયમ છે કે, દેશની સેના કદી પોતાના જ દેશના નાગરિકો ઉપર આક્રમણ ન કરે. ભારતની વાત લઈએ તો સેના નકસલવાદીઓ સામે લડવા જતા નથી, અન્ય સશસ્ત્રદળો તેમની સામે લડે છે. તલઈ મનારનાં ગાઢ જંગલ જ્યાં કેટલાક વિસ્તારમાં ધોળે દિવસે પણ સૂર્ય પ્રકાશ ભૂમિ સુધી પહોંચતો નથી તેવા ગાઢ જંગલમાં છુપાયેલા વીરપ્પનને શોધીને મારવા આર્મીને કહેવામાં આવ્યું ત્યારે તેના ટોચના અધિકારીઓ પૈકીના અધિકારીઓએ કહ્યું, 'સ્વીકાર્ય છે કે તે ખતરનાક ડાકુ છે. પરંતુ તે ભારતનો નાગરિક છે, તેની સામે અમે શસ્ત્રો ન ઉઠાવીએ.' જમ્મુ અને કાશ્મીરમાં તો પાકિસ્તાની નાગરિકો ઘૂસે છે, તેથી તેમની સામે ભૂમિદળ જાય છે. આમ પોતાના નાગરિકો પર સુશિક્ષિત દેશની સેના કાર્ય કરતી નથી. પરંતુ પાડોશના પાકિસ્તાનમાં તદ્દન વિપરિત ઘટના બની છે.

ઓપરેશન સિંદૂરમાં માર ખાધા પછી પાકિસ્તાને ખૈબર-પખ્તુનવામાં નરસંહાર કર્યો છે. પાકિસ્તાનનાં વાયુ દળે ખૈબર-પખ્તુનવાનાં 'મત્રેદારા' નામક ગામમાં રવિવાર અને સોમવાર વચ્ચેની રાત્રે ૨ વાગે હુમલો કરી પોતાના જ દેશના ૩૦ નાગરિકોને મારી નાખ્યા છે. જેમાં મોટા ભાગે મહિલાઓ અને બાળકો હતાં અને હજી મકાનોના ખંડેરો નીચે દબાયેલાઓ કેટલા હશે તે જાણી શકાયું નથી. સહજ છે કે મૃત્યુ આંક ૧૦૦થી ઉપર પહોંચશે.

પાકિસ્તાની વાયુદળે ચીની બનાવટનાં જે.એફ.-૧૭ વિમાનો દ્વારા કેટલાક ચીની બનાવટના જ એલ-એસ-૬ પ્રકારના બોમ્બ નાખ્યા હતા. વાયુદળે પહેલાં પાંચ ઘરોને નિશાન બનાવ્યાં હતાં. આ હુમલામાં હજી સુધી પ્રાપ્ય માહિતી પ્રમાણે ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે. આ આંક પણ વધવાની શક્યતા છે.

આ હુમલાની તસ્વીરો હૃદય-દ્રાવક છે. બાળકો સહિત કેટલાંયે શવ પડેલા છે. હુમલા પછી ગામ લોકોએ જ બચાવ કાર્ય શરૂ કર્યું છે. (આજ સવારથી) તેઓને ભીતિ છે કે ખંડેરોની નીચે ઘણા મૃતદેહો મળી આવશે.

તે સર્વવિદિત છે કે, ખૈબર પખ્તુનવામાં પહેલાં પણ 'આતંકવાદ' વિરોધી અભિયાન હાથ ધરાયું હતું. તેથી ત્યાં અનેક નાગરિકોનાં મૃત્યુ થયા હતાં. પહેલાં 'સરહદ-પ્રાંત' તરીકે ઓળખાતા આ ખૈબર-પખ્તુનવા પ્રાંતમાં આ વર્ષના જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં ૬૦૫ આતંકવાદી ઘટનાઓ બની છે. તેમાં ઓછામાં ઓછા ૧૩૮ જેટલા નાગરિકો અને ૭૯ પોલીસ કર્મીઓ માર્યા ગયા છે. એક માત્ર ઓગસ્ટ મહીનામાં જ ૧૨૯ આતંકવાદી ઘટનાઓ બની હતી.

પહેલગાંવમાં આતંકી હુમલા પછી ભારતે 'ઓપરેશન સિંદૂર' હાથ ધર્યું તેમાં પાકિસ્તાન કબ્જા નીચેના કાશ્મીરમાં પાંચ સ્થળોએ અને પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતમાં ૪ સ્થળોએ ભારતીય વાયુ સેનાએ હુમલા કર્યા હતા અને આતંકીઓના અડ્ડા નષ્ટ કરી દીધા. આ પછી તે આતંકીઓએ ખૈબર પખ્તુનવા પ્રાંતની કીરથાર ગિરિમાળામાં પોતાના અડ્ડા ફેરવ્યા છે. આ ગિરિમાળાઓના પર્વતો આતંકીઓને છુપાવા માટેના શ્રેષ્ઠ સ્થાનો છે.

અહીં ઘણી જગ્યાએ ૧૯૮૦ના દશક દરમિયાન તે સમયના સોવિયેત સંઘ વિરોધી અફઘાન સંઘર્ષનાં અને ૯/૧૧/૨૦૦૧ના ન્યૂયોર્ક સ્થિત 'વર્લ્ડ-ટ્રેડ-સેન્ટર'ના ટ્વિન ટાવર્સ ઉપરના હુમલા પછી આતંકીઓ સામે હાથ ધરાયેલી ઝુંબેશ વખતે તેમણે શોધી કાઢેલાં કેટલાએ ગુપ્ત સ્થળો પાકિસ્તાન-અફઘાનિસ્તાન વચ્ચેની આ કીરથાર ગીરીમાળામાં આવેલા છે.

Tags :