કિવ,૪ સપ્ટેમ્બર,૨૦૨૫,ગુરુવાર
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેંસ્કીએ ડેન્માર્કમાં નોર્ડિક- બાલ્ટિક એઇટના નેતાઓ સાથે એક બેઠકમાં ભાગ લીધો હતો. જયાં પ્રતિભાગીઓએ યુક્રેનને સૈન્ય સહાયત આપતા રહેવાનું આશ્વાસન આપ્યું હતું. સંઘર્ષવિરામની દિશામાં નક્કર કદમ નહી ઉઠાવવા બદલ રશિયાની ઝાટકણી પણ કાઢવામાં આવી હતી. ઝેલેંસ્કીએ ૫ નોર્ડિક અને ૩ બાલ્ટિક દેશોના ખુદના સમકક્ષો સાથે મુલાકાત કરીને રશિયાના અતિ ક્રમણ અંગે પોતાની ચિંતા વ્યકત કરી હતી.
ડેન્માર્કમાં નોર્ડિક- બાલ્ટિક એઇટના નેતાઓની બેઠક પુરી થયા પછી સંયુકત વકતવ્ય બહાર પાડવામાં આવ્યું જેમાં યુક્રેન કોઇ પણ શરત વગર પૂર્ણ સંઘર્ષવિરામ કરવા માટે તૈયાર છે પરંતુ રશિયા તરફથી સંઘર્ષવિરામ બાબતે કોઇ જ પ્રતિબદ્ધતા જોવા મળતી નથી. સંયુકત વકતવ્યમાં યુક્રેનને શસ્ત્રો, ગોળા બારુદ અને વાયુ રક્ષા પ્રણાલીઓ આપવા બાબતમાં ઝડપ લાવવામાં પર ભાર મુકવામાં આવ્યો હતો.એવું પણ કહેવામાં આવ્યું છે કે ન્યાયસંગત અને સ્થાયી શાંતિ માટે એક મજબૂત અને વિશ્વસનિય સુરક્ષા ગેરંટીની આવશ્યકતા છે.


