Maria Corina Machado: વેનેઝુએલાના વિરોધ પક્ષના નેતા અને લોકશાહી કાર્યકર્તા મારિયા કોરિના મચાડો 2025ના નોબેલ શાંતિ પુરસ્કારના વિજેતા બન્યા છે. આ પુરસ્કાર તેમને વેનેઝુએલાના લોકોના લોકશાહી અધિકારો અને માનવ અધિકારો માટેના અથાક સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે. નોર્વેજિયન નોબેલ સમિતિએ તેમના કાર્યને અસાધારણ ગણાવીને તેમને સત્તાવાદી શાસન વિરુદ્ધ અહિંસક પ્રતિકારના પ્રતીક માન્યા છે. આ વિજય અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા અન્ય ઉમેદવારોને પાછળ છોડીને મળ્યો છે, જે વેનેઝુએલાના લોકશાહી આંદોલનને વૈશ્વિક સ્તરે મજબૂતી આપે છે. મારિયાને ‘વેનેઝુએલાના આયર્ન લેડી’ તરીકે ઓળખવામાં આવે છે, તેમનું જીવન સ્વતંત્રતા અને ન્યાયની લડતનું જીવંત પ્રતિબિંબ છે.
આ વચ્ચે હવે મારિયા કોરિના મચાડોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું કે, 'વેનેઝુએલાના તમામ લોકોના સંઘર્ષની આ સ્વીકૃતિ આપણા કાર્યને પૂર્ણ કરવા માટે એક પ્રોત્સાહન છે. સ્વતંત્રતા મેળવવા માટે.
આપણે વિજયના ઉંબરે છીએ અને આજે, પહેલા કરતાં વધુ, આપણે રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ, યુનાઇટેડ સ્ટેટ્સના લોકો, લેટિન અમેરિકાના લોકો અને વિશ્વના લોકશાહી રાષ્ટ્રો પર સ્વતંત્રતા અને લોકશાહી પ્રાપ્ત કરવા માટે આપણા મુખ્ય સાથીઓ તરીકે વિશ્વાસ કરીએ છીએ.
હું આ પુરસ્કાર વેનેઝુએલાના પીડિત લોકોને અને રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને અમારા હેતુને નિર્ણાયક સમર્થન આપવા બદલ સમર્પિત કરું છું!'
આ પણ વાંચો: ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતા પુતિન અને નેતન્યાહૂ પણ નિરાશ, જાણો કોણે શું કહ્યું
વ્હાઇટ હાઉસે પોસ્ટ કરી બળાપો ઠાલવ્યો
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર ન મળતાં તેઓ નારાજ થયા છે. તેઓ પોતે જ આ પુરસ્કાર માટે સૌથી મોટા દાવેદાર માની રહ્યા હતા. પરંતુ તેમના સ્થાને વેનેઝુએલાના વિપક્ષ નેતા મારિયા કોરિના મચાડોને નોબેલ શાંતિ પુરસ્કાર આપવાની જાહેરાત થતાં વ્હાઇટ હાઉસે નારાજગી વ્યક્ત કરી છે.
વ્હાઇટ હાઉસે X પર પોસ્ટ કરતાં કહ્યું કે, 'પ્રમુખ ટ્રમ્પ શાંતિ કરારો કરતાં રહેશે, તેઓ યુદ્ધ રોકી લોકોના જીવ બચાવતા રહેશે. તેમનું હૃદય માનવતા અને દયાભાવ દાખવે છે. તેમના જેવું કોઈ નથી, જે પોતાની ઇચ્છાશક્તિના બળથી પર્વતોને પણ ખસેડી શકે છે.'


