વેનેઝુએલાની મહિલાને શાંતિનું નોબેલ, ટ્રમ્પના વાઇટ હાઉસે આપી આવી પ્રતિક્રિયા
નોબેલ કમિટી પર પુરસ્કારનું રાજનીતિકરણ કરવાનો આરોપ મુકયા
વાઇટ હાઉસના પ્રવકતાએ કહયું,ટ્રમ્પ શાંતિ સમજૂતી કરાવતા રહેશે.

કારકાસ,૧૦ ઓકટોબર,૨૦૨૫,શુક્રવાર
વેનેઝુએલાની મારિયા મચાડોને ૨૦૨૫નું શાંતિ નોબેલ પારિતોષિક મળ્યું છે. શાંતિના નોબેલ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પણ રેસમાં હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક વાર પોતાના માટે શાંતિ નોબેલ માંગ્યો હતો.તેઓ માનતા રહયા છે કે દુનિયાના અનેક ભાગોમાં સૈન્ય સંઘર્ષ શાંત કરાવ્યો છે.
પોતાને શાંતિ નોબેલના હકકદાર માનતા હતા પરંતુ તેઓ પુરસ્કારથી વંચિત રહેવાથી તેમના સમર્થકો નારાજ થયા છે એટલું જ નહી વાઇટ હાઉસના પ્રવકતાએ વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને શાંતિ પુરસ્કાર આપવાના નિર્ણયની આકરી ટીકા કરી છે. નોબેલ કમિટી પર પુરસ્કારનું રાજનીતિકરણ કરવાનો આરોપ મુકયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર વાઇટ હાઉસના પ્રવકતા સ્ટીવન ચેઉંગે સોશિયલ પ્લેટફોર્મ એકસ પર લખ્યું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ શાંતિ સમજૂતી કરાવતા રહેશે.
યુધ્ધ સમાપ્ત કરાવતા રહેશે અને લોકોનો જીવ બચાવવાનો પ્રયાસ પણ ચાલું રાખશે. તેમની દ્વઢ ઇચ્છાશકિતના પર્વતને હલાવી શકે એવું કોઇ હશે નહી. નોબેલ કમિટીએ સ્પષ્ટતા કરી છે કે અમેરિકી રાષ્ટ્રપતિનું નોબેલ માટે નામ હતું પરંતુ છેવટનો નિર્ણય તેમની ટીમે લીધો છે. ટ્રમ્પના દબાણ અભિયાન અંગે પુછવામાં આવતા નોબેલ અધ્યક્ષ જોર્ગેન ફ્રાઇડનેસે એટલું જ કહયું છે કે સમિતિમાં નિર્ણય લેવાનું સાહસ અને ઇમાનદારી ધરાવે છે. સમિતિને દર વર્ષે ભલામણના હજારો પત્ર મળે છે પરંતુ જે પણ નિર્ણય લેવાય તે કોઇ જ દબાણ વિના જ લેવાય છે.
આ વર્ષે પણ સમિતિએ કોઇ પણ પ્રકારના બાહિય દબાણ કે અભિયાનથી પ્રેરિત થયા વિના નિર્ણય લીધો છે. નોબેલ કમિટીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૨૫નું શાંતિ નોબેલ એક એવી મહિલાને મળે છે જેને વેનેઝુએલામાં અંધકારની વચ્ચે લોકશાહીની જયોતને ઝળહળતી રાખી છે. શાંતિ નોબેલ મેળવનારી મરિયા કોરિના મચાડો હાલના સમયમાં લેટિન અમેરિકામાં સાહસના સૌથ અસાધારણ ઉદાહરણોમાંનું એક છે. એ રીતે આ એક મહત્વપૂર્ણ શખ્સિયત છે.