''સ્વીકૃતિથી કોઈને આશ્ચર્ય નહીં થાય'' : યુએનમાં યોજના પટેલના પાકિસ્તાન પર તમતમતા પ્રહારો
- પહેલગામ ઘટના પછી સંયુક્ત રાષ્ટ્રોમાં ચાલતી ઉગ્ર ચર્ચા
- પાકિસ્તાન એક દુષ્ટ રાષ્ટ્ર છે તે વૈશ્વિક ત્રાસવાદને આશ્રય આપે છે તે સાથે તે પ્રાદેશિક અસ્થિરતા પણ ઉભી કરી રહ્યું છે
સંયુક્ત રાષ્ટ્રો : સંયુક્ત રાષ્ટ્રોમાં પાકિસ્તાન પર તમતમતા પ્રહારો કરતાં ભારતના નાયબ કાયમી પ્રતિનિધિ યોજના પટેલે યુએનની ભરી મહાસભામાં પાકિસ્તાન ઉપર તમતમતા પ્રહારો કરતાં ખુલ્લેઆમ કહી દીધું હતું કે પાકિસ્તાન એક દુષ્ટ રાષ્ટ્ર છે તે વૈશ્વિક ત્રાસવાદને આશ્રય આપી રહ્યું છે સાથે તે પ્રાદેશિક અસ્થિરતા પણ ઊભી કરી રહ્યું છે.
૨૨ એપ્રિલના દિવસે જમ્મુ અને કાશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકી આક્રમણ પછી દુનિયાભરમાંથી પાકિસ્તાન ઉપર ફીટકાર વરસી રહ્યો છે અને યુ.એન.માં તે ઉપર જોરદાર ચર્ચા ચાલી રહી છે ત્યારે પાકિસ્તાનના પ્રતિનિધિએ ભારત ઉપર પ્રહારો કર્યા પછી પ્રત્યુત્તર આપવાના અધિકારનો ઉપયોગ કરતાં ભારતના ડેપ્યુટી પરમેનન્ટ રેપ્રિઝેન્ટે યોજના પટેલે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે કરેલી સ્વીકૃતિ કે, 'પાકિસ્તાન ત્રાસવાદી જૂથોનો ભારત સામે ઉપયોગ કરી રહ્યું છે' તે ઉપર ઘા મારતાં યોજના પટેલે કહ્યું હતું કે, તે સ્વીકૃતિથી કોઈને આશ્ચર્ય નહીં થાય, આખી દુનિયા જાણે છે કે, પાકિસ્તાન વૈશ્વિક ત્રાસવાદને આશ્રય આપે છે, તે સાથે તે પ્રાદેશિક અસ્થિરતા ઉભી કરી રહ્યું છે.
સંયુક્ત રાષ્ટ્રોના નેજા નીચે રચાઈ રહેલા 'વિક્ટિમ્સ ઓફ ટેરરીઝમ એસોસિએશન નેટવર્ક' (વોતાન)ના લોન્ચ સમયે પાકિસ્તાને ભારત પર કરેલા પ્રહારોનો જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરતાં ભારતનાં નાયબ રાજદૂત યોજના પટેલે સખત શબ્દોમાં કહ્યું હતું કે, 'હવે દુનિયા પાકિસ્તાન દ્વારા ત્રાસવાદને અપાતાં સમર્થન પ્રત્યે આંખ બંધ કરી શકે નહીં.'
પોતાનાં તે કથનને પુષ્ટિ આપતાં તેઓએ પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસીફે જ કરેલી કબુલાત કે 'પાકિસ્તાન ઘણા સમયથી ભારત સામે ત્રાસવાદ ફેલાવી રહ્યું છે' તેનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, 'તે સ્વીકૃતિથી કોઈને આશ્ચર્ય નહીં થાય.' વાસ્તવમાં પાકિસ્તાન એક દુષ્ટ રાષ્ટ્ર છે અને તે વૈશ્વિક ત્રાસવાદને આશ્રય આપે છે. ઉપરાંત તે પ્રાદેશિક અસ્થિરતા ઊભી કરી રહ્યું છે, તે સમગ્ર વિશ્વ જાણે જ છે.
યોજના પટેલના આ તમતમતા પ્રહારો સમયે પાકિસ્તાનના પ્રતિનિધિમંડળના સભ્યો મુક બની સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં બેસી રહ્યા હતા.
આ સાથે યોજના પટેલે પાકિસ્તાનનાં પ્રતિનિધિમંડળ ઉપર જ સીધા પ્રહારો કરતાં કહ્યું હતું કે, 'કમનસીબ વાત તો તે છે કે પટેલ તો એક ચોક્કસ પ્રતિનિધિમંડળે આ સભાનો ગેર ઉપયોગ કરી ભારત ઉપર પાયા વિહોણા આક્ષેપો કર્યા હતા. પરંતુ હવે દુનિયા આખી સત્ય હકીકત જાણી શક્યું છે.'
૨૬-૧૧-૨૦૦૮ના દિવસે મુંબઈ ઉપર થયેલા ત્રાસવાદી હુમલા પછીનો પહેલગામ હુમલો સૌથી મોટો હુમલો હતો જેણે ૨૬ નિર્દોષોના જાન લીધા તે સામે દુનિયાભરમાંથી પાકિસ્તાન ઉપર ફીટકાર વરસે છે. તેમ પણ ભારતનાં યોજના પટેલે ભરી સભામાં પાકિસ્તાનની પ્રતિષ્ઠાનાં ચીથરાં ઉડાડતાં કહ્યું હતું.