World

કેનેડાની સ્કૂલમાં બેફામ ગોળીબાર નવનાં મૃત્યુ, હુમલાખોર પણ ઠાર

By GS TEAM
12 Feb 20262 mins read
કેનેડાની સ્કૂલમાં બેફામ ગોળીબાર નવનાં મૃત્યુ, હુમલાખોર પણ ઠાર

- બ્રિટિશિ કોલંબિયાની ટંબલર રિજ સેકન્ડરી સ્કૂલની ઘટના

- શાળામાં આઠ જ્યારે પાસે આવેલા મકાનમાં બેનાં મોત : ૨૫ લોકો ઘાયલ જેમાં બેની સ્થિતિ ગંભીર

- શાળામાં કુલ 175 વિદ્યાર્થીઓ ભણે છે : હુમલાખોરની ઓળખ જારી કરાઇ નથી અને હુમલાનું કારણ જાણી શકાયું નથી

વેનકૂવર : કેનેડાનાં બ્રિટિશ કોલંબિયાની એક શાળામાં ગોળીબારની ઘટનામાં હુમલાખોર સહિત આઠ લોકોનાં મોત થયા હતાં તથા પાસેનાં એક મકાનમાં વધુ બે લોકો મૃત અવસ્થામાં મળી આવ્યા હતાં જેનો સંબધ આ ઘટના સાથે માનવામાં આવી રહ્યો છે તેમ કેનેડિયન સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું.

રોયલ કેનેડિયન  માઉન્ટેડ પોલીસ (આરસીએમપી)એ જણાવ્યું હતું કે ટંબલર રિજ સેકન્ડરી સ્કૂલમાં થયેલ ગોળીબારમાં ૨૫થી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં બે લોકોની સ્થિતિ ગંભીર બતાવવવામાં આવી રહી છે. કેનેડાની શાળાઓમાં ગોળીબારની ઘટનાઓ ખૂબ જ ઓછી જોવા મળે છે. 

ટંબલર રિજ શહેર વેનકૂવરથી ૧૦૦૦ કિલોમીટર ઉત્તરમાં અલ્બર્ટાની સરહદ પાસે આવેલુ છે. પ્રાંતીય સરકારની વેબસાઇટ અનુસાર ટંબલર રિજ સેકન્ડરી સ્કૂલમાં ધો.૭ થી ધો. ૧૨ સુધીનાં ૧૭૫ વિદ્યાર્થીઓ ભણે છે.

બ્રિટિશ કોલંબિયાનાં પ્રધાન ડેવિડ એબેએ પત્રકારોને જણાવ્યું હતું કે ઘટનાની બે મિનિટમાં જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. સ્થાનિક પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેમને ઘટનાસ્થળેથી શંકાસ્પદ હુમલાખોર સહિત સાત મૃતદેહો મળી આવ્યા હતાં.

હોસ્પિટલ લઇ જતી વખતે એક વ્યકિતનું મોત થયું હતું. જ્યારે બે મૃતદેહો શાળાની પાસે આવેલા મકાનમાંથી મળી આવ્યા હતાં જેનો સંબધ આ ઘટના સાથે માનવામાં આવી રહ્યો છે. 

આરસીએમપી સુપ્રિટેન્ડેન્ટ કેન ફલોડે પત્રકારોને જણાવ્યું હતું કે તપાસકર્તાઓએ  હુમલાખોરની ઓળખ કરી લીધી છે પણ તેનું નામ જાહેર કર્યુ નથી. આરોપીએ આ હુમલો કેમ કર્યો તે પણ હજુ સુધી જાણી શકાયું નથી.

પોલીસ તપાસ કરી રહી છે કે હુમલાખોર અને પીડિતો વચ્ચે શું સંબધ હતો.  ટંબલર રિજના મેયર ડેરીલ ક્રાકોવકાએ જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે સમગ્ર સમુદાય દુ:ખી છે. 

આ અગાઉ કેનેડામાં વર્ષ ૨૦૨૦માં ગોળીબારની ઘટના બની હતી. જેમાં ૨૨ લોકોનાં મોત થયા હતાં. ગોળીબારની આ ઘટના નોવા સ્કોટિયામાં બની હતી.