ન્યુયોર્કમાં અસાધ્ય રોગોથી પીડાતાં દર્દીઓ જાતે જ જીવન ટૂંકાવી શકશે, કાયદો મંજૂર
- ન્યુ યોર્કવાસીઓ તેમની શરતે કાયદેસર રીતે મોત વહાલું કરી શકશે
- વોશિંગ્ટન ડીસી સહિત અગિયાર અમેરિકન રાજ્યોમાં ડોક્ટરની સહાયથી મોત વહાલું કરવાના કાયદા અમલમાં
અમેરિકાના ન્યુ યોર્ક સ્ટેટની વિધાનસભામાં આ ખરડો એપ્રિલમાં પસાર થઇ ગયો હતો. એ પછી સેનેટમાં સોમવારે ચર્ચા કરી તેને મંજૂર કરી ગવર્નર કેથી હોચુલને પુનરવલોકન અને મંજૂરી માટે મોકલી આપવામાં આવ્યો હતો. મૂળ તો આ ખરડો પ્રથમ 2016માં રજૂ કરવામાં આવ્યો હતો પણ એક યા બીજા કારણસર તે અટવાઇ રહ્યો હતો. વોશિંગ્ટન ડીસી સહિત અગિયાર અમેરિકન રાજ્યોમાં ડોક્ટરની સહાયથી મોત વહાલું કરવાના કાયદા અમલમાં છે.
આ કાયદા અનુસાર જીવલેણ બિમારીથી પીડાતી વ્યક્તિ જે છમહિનામાં મૃત્યુ પામે તેમ હોય તે મોત લાવે તેવી દવાઓ માટે લેખિત વિનંતી કરી શકશે. બે વ્યક્તિઓએ આ વિનંતી પર સહી કરી જણાવવું પડશે કે દર્દીએ આ વિનંતી કોઇ દબાણ વિના આપમેળે કરી છે. એ પછી આ વિનંતીનેદર્દીની સારવાર કરતાં ડોક્ટર તથા કન્સલ્ટિંગ ફિઝિશ્યન મંજૂર કરે તે પછી તેનો અમલ થઇ શકશ.
આ દરખાસ્ત રજૂ કરનાર ડેમોક્રેટ બ્રાડ હોયલમેને જણાવ્યું હતું કે આ મોત વહેલું લાવવાની નહીં પણ પીડાનો અંત લાવવાની વાત છે. તેની સામે રિપબ્લિકન જ્યોર્જ બોરેલોએ જણાવ્યું હતું કે આપણે સરકાર પ્રમાણિત આત્મહત્યાના કામમાં ન પડવું જોઇએ.ન્યુ યોર્ક સ્ટેટ કેથોલિક કોન્ફરન્સના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડેનિસ પાઉસ્તે કાયદાના વિરોધમાં જણાવ્યું હતું કે ન્યુયોર્ક સ્ટેટ માટે આજે કાળો દિવસ છે. કોમ્પાશન એન્ડ ચોઇસીસ નામના આ નીતિને ટેકો આપતાં સંગઠનની આગેવાન કોરિન કારેએ જણાવ્યું હતું કે જેમનું મોત નિશ્ચિત છે તેવા ન્યુ યોર્કર્સને આ તેમનું પોતાનું મોત પસંદ કરવાની સ્વાયત્તતા આપી કાયદાના ઘડવૈયાઓએ તેના મહત્વનો સ્વીકાર કર્યો છે. આને કારણે લોકો જીવનના અંત સુધી શાંતિપૂર્ણ રીતે જીવી શકશે.