- કાર્નીની એક રેલીમાં એક શખ્સે કહ્યું ગાઝાના નરસંહાર વિષે તમારે શું કહેવાનું છે ? કાર્નીએ કહ્યું ધન્યવાદ તેથી જ અમે ઇઝરાયલને શસ્ત્રો વેચતા નથી
ઑટાવા : ગાઝામાં ઇઝરાયલી સેના નરસંહાર કરી રહ્યા છે. તેવાં કેનેડાના વડાપ્રધાન કાર્નીનાં નિવેદનથી ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂ ધૂંધવાઈ ઊઠયા હતા, અને કાર્નીને ઘણું ઘણું સંભળાવવા લાગ્યા હતા. તેનો વિડીયો પણ વાયરલ થઇ ગયો છે.
કેનેડામાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે. તે સમયે કાર્ની એક ચૂંટણી સભાને સંબોધતા હતા. ત્યારે એક શખ્સે ઉભા થઇ મોટે અવાજે પૂછ્યું કે ગાઝામાં નરસંહાર થઇ રહ્યો છે તે વિષે તમારે શું કહેવાનું છે ? ત્યારે કાર્નીએ કહ્યું : 'ધન્યવાદ...હા, મને ખબર જ છે કે ત્યાં શુ થઇ રહ્યું છે. તેથી જ અમે ઇઝરાયલને શસ્ત્રો વેચવાનું બંધ કર્યું છે.'
કેનેડાના વડાપ્રધાનના આ જવાબ પછી મીડીયામાં અટકલ બાજી શરૂ થઇ ગઈ છે. કેનેડાના વડાપ્રધાનને ફરી નરસંહાર શબ્દ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ કહ્યું કે મેં નરસંહાર શબ્દ વાપર્યો હોવાનું મને યાદ નથી. પરંતુ તે પહેલા તો તે શબ્દ પ્રયોગ સાથેનો વિડીયો વાયરલ થઇ ગયો હતો.
કાર્ની સ્પષ્ટતા કરે તે પહેલાં તો વિડીયો ઇઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂએ જોઈ લીધો હતો. તેઓ ધૂંધવાઈ ઉઠયા. કાર્નીને આડા હાથે લેતાં પોતાનાં સોશ્યલ મીડીયા હેન્ડલ પર લખ્યું ઃ 'કેનેડાએ હંમેશાં સભ્યતાનો જ પક્ષ લીધો છે. મને લાગે છે કે વડાપ્રધાન કાર્નીએ પણ તેમજ કરવું જોઇએ. પરંતુ તેમણે એક લોકશાહી દેશ ઇઝરાયલનું સમર્થન કરવાને બદલે હમાસ સાથે ઉભા રહ્યા કે જે ખુલ્લેઆમ એકમાત્ર યહૂદી રાજ્ય ઉપર સતત હૂમલા કરે છે. વડાપ્રધાન કાર્નીએ તેમનાં બે જવાબદાર વિધાનો પાછાં ખેંચવાં જોઇએ.'
ઉલ્લેખનીય છે કે ઇઝારયલી સેના ઉપર ગાઝામાં નરસંહાર કરવાના આક્ષેપો કર્યા છે. ગત મહીને સંયુક્ત રાષ્ટ્રોએ પણ કરેલી તપાસ પછી ઇઝારયલી સૈન્યની કાર્યવાહીની નિંદા કરી હતી અને કહ્યું હતું કે અમોને ઘણા પુરાવા પણ મળ્યા છે.
ઇઝરાયલે તે સમિતિના રીપોર્ટની ટીકા કરતાં કહ્યું હતું કે આ તો ઇઝરાયલ અને યહૂદીઓ વિરૂદ્ધનું સૌથી મોટું સર્કસ છે. બીજાં વિશ્વયુદ્ધ પછી હમાસના આતંકીઓએ સૌથી મોટો નરસંહાર કર્યો છે. તેની ઉપર ધ્યાન આપવાને બદલે સંયુક્ત રાષ્ટ્રે ફરી એકવાર ઇઝરાયલ ઉપર ખોટા આરોપો મુકે છે અને કહે છે ? અમે પ્રસુતીગૃહો અને હોસ્પિટલોનો નાશ કર્યો છે જે આક્ષેપો તદ્દન ખોટા છે.


