Qatar PM Big Statement: કતારના વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન અબ્દુલરહમાન બિન જસીમ અલ-થાનીએ ઈઝરાયલ દ્વારા દોહામાં હમાસના ઠેકાણાઓ પર કરાયેલા હુમલાઓની નિંદા કરી હતી. તેમણે સીએનએન સાથે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ દોહામાં હુમલો કરીને ગાઝામાં બચેલા બંધકો માટે કોઈપણ આશાને ખતમ કરી દીધી છે. આ હુમલો 'રાજ્ય આતંક'થી ઓછો ન હતો.
કતારના વડાપ્રધાને શું કહ્યું?
વડાપ્રધાન અલ-થાનીએ કહ્યું કે, 'અમે વિચારી રહ્યા હતા કે અમે સભ્ય લોકોની સાથે રજૂ થઈ રહ્યા છીએ. નેતન્યાહૂએ જે કાર્યવાહી કરી, હું તેને શબ્દોમાં વર્ણવી ન શકું, પરંતુ આ એક બર્બરતાભરી કાર્યવાહી છે. હુમલાની સવારે હું એક બંધકના પરિવારને મળી રહ્યો હતો. તેઓ મધ્યસ્થી પર ભરોસો કરી રહ્યા છે. મને લાગે છે કે નેતન્યાહૂએ કાલે જે કર્યું, તેનાથી તે બંધકો માટેની તમામ આશા ખતમ થઈ ગઈ.'
ગુસ્સો વ્યક્ત કરવા માટે શબ્દો નથી: વડાપ્રધાન અલ-થાની
વડાપ્રધાન અલ-થાનીએ કહ્યું કે, 'આ પ્રકારની કાર્યવાહીથી અમે કેટલા ગુસ્સામાં છીએ, એ જણાવવા માટે મારી પાસે શબ્દો નથી. આ સરકારી આતંક છે. અમારી સાથે વિશ્વાસઘાત થયો છે. હજુ સુધી કોઈ સત્તાવારા જાહેરાત થઈ નથી. જો કે, હુમલામાં 22 વર્ષના કતારના સુરક્ષા અધિકારીનું મોત થયું છે.' વાતચીત દરમિયાન તેમણે ખલીલ અલ-હય્યા અંગે માહિતી આપી નથી. .
ઈઝરાયલે બેઠક દરમિયાન કર્યો હતો હુમલો
ઈઝરાયલી સેનાએ મંગળવારે દોહામાં હમાસના વરિષ્ઠ નેતાઓની કતારના સુરક્ષા અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન હુમલો કર્યો હતો. હમાસે કહ્યું કે, 5 સભ્યો માર્યા ગયા, પરંતુ મુખ્ય વાતચીતની ટીમ બચી ગઈ. જો કે, એક કતારના સુરક્ષા અધિકારીનું મોત થયું.


