દિલ્હી બાદ હવે કાઠમંડુ એરપોર્ટ પર ટેક્નિકલ ખામી, તમામ વિમાનોની અવરજવર અટકી

Nepal Airport News: નેપાળના ત્રિભુવન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવતી-જતી તમામ ઉડાનો રોકી દેવાઇ છે. કહેવામાં આવી રહ્યું છે કે ટેક્નિકલ ખામીના કારણે એરપોર્ટ પર તમામ ફ્લાઈટ્સ પર રોક લગાવી દેવાઈ છે. એરપોર્ટ અધિકારીઓનું કહેવું છે કે, રનવેની લાઇટ્સમાં ટેક્નિકલ ખામી આવી ગઈ છે. તેનાથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સને અસર થઈ છે.
ત્રિભુવન ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રવક્તા રેનજી શેરપાએ જણાવ્યું કે, રનવેના એરફીલ્ડ લાઈટિંગ સિસ્ટમાં ખામી આવી છે. જોકે, ઓછામાં ઓછા પાંચ ફ્લાઈટ્સને હોલ્ડ પર રાખી દેવાઈ છે. એરપોર્ટ પર આવતી-જતી તમામ ફ્લાઈટ્સ મોડી પડી છે. આ મુશ્કેલીની જાણ સ્થાનિક સમય અનુસાર સાંજે 5:30 વાગ્યા આસપાસ થઈ.
આ અગાઉ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શુક્રવારે એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેક્નિકલ ખામી આવી હતી, જેના કાણે ફ્લાઈટ્સ ઓપરેશન ખરાબ રીતે અસરગ્રસ્ત રહ્યું હતું. આ દરમિયાન અલગ અલગ એરલાઈન્સની 800થી વધુ ઉડાનો મોડી કરવી પડી હતી, જેના કારણે મોટા પ્રમાણમાં મુસાફરોને મુશ્કેલી થઈ હતી.

