નેપાળ હિંસામાં 30થી વધુ પોલીસ ચોકી અને સ્ટેશન ફૂંકી મરાયા, સ્વયંસેવકોએ સફાઈ શરૂ કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Nepal Violence: નેપાળના પૂર્વ ચીફ જસ્ટિસ સુશીલા કાર્કી વચગાળાના વડાપ્રધાન બન્યા પછી, નેપાળના રસ્તાઓ પર શાંતિ છે અને હિંસા બંધ થઈ ગઈ છે. પરિસ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે. પરંતુ જે હિંસા ફાટી નીકળી હતી, તેમાં કાઠમંડુ ઘાટીમાં 30થી વધુ પોલીસ ચોકી અને પોલીસ સ્ટેશન ફૂંકી મરાયા હતા.
સ્વયંસેવકોએ સફાઈ શરૂ કરી
પ્રાપ્ત માહિતી પ્રમાણે સ્વયંસેવકો અને યુવાનોએ કાઠમંડુના હિંસાગ્રસ્ત રસ્તાઓ અને કાટમાળની સફાઈ કરી રહ્યા છે. કાટમાળ વચ્ચે પોલીસ સ્ટેશનમાં એક કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યો છે. મદદ માટે સતત કોલ પણ આવી રહ્યા છે.
પશુપતિનાથ મંદિર ખોલવામાં આવ્યું
આજથી પશુપતિનાથ મંદિર તમામ ભક્તો માટે ખુલ્લું મુકાયું છે. નેપાળમાં આજે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની શક્યતા છે. રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી દીધી હોવાથી નેપાળના રાજકારણમાં આગળ શું થશે તેના પર બધાની નજર છે.
નેપાળમાં આગામી વર્ષે થશે ચૂંટણી
સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારની ભલામણ પર સંસદ ભંગ કર્યા પછી, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે એ પણ જાહેરાત કરી હતી કે આગામી 5 માર્ચ 2026ના રોજ નવી ચૂંટણીઓ યોજાશે. તમને જણાવી દઈએ કે નેપાળમાં એક અઠવાડિયા સુધી હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા, ત્યારબાદ તત્કાલીન પીએમ કેપી શર્મા ઓલીને તેમના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું અને સુશીલા કાર્કીના નેતૃત્વ હેઠળ વચગાળાની સરકારની રચના કરવામાં આવી હતી.
હિંસક પ્રદર્શનોમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા
નેપાળમાં થયેલા હિંસક પ્રદર્શનોમાં 50થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. વચગાળાની સરકારની રચના પછી રાષ્ટ્રપતિએ સંસદ ભંગ કરી દીધી, જેનો નેપાળી કોંગ્રેસ, નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (યુનિફાઇડ માર્ક્સિસ્ટ લેનિનિસ્ટ) અને નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી સેન્ટર) સહિત લગભગ તમામ મુખ્ય રાજકીય પક્ષો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા જારી કરાયેલ નોટિફિકેશન પ્રમાણે 12 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11:00 વાગ્યાથી સંસદ ભંગ કરવામાં આવી હતી. કાઠમંડુ સહિત નેપાળમાં દરેક જગ્યાએ પરિસ્થિતિ ધીમે-ધીમે સામાન્ય થઈ રહી છે.









