નેપાળ : બાલેન્દ્ર શાહ, વચગાળાની સરકારના વડાપ્રધાન બનશે : તેઓ ઈજનેર અને સંગીતકાર છે

- ટાઇમે 2023ના 100 ટોચના નેતાઓમાં સ્થાન આપ્યું છે
- ટાઇમ : મેગેઝિન ઉપરાંત ન્યૂયોર્ક ટાઈમ્સે પણ બાલેન્દ્ર શાહની નેપાળ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને તેમણે કરેલા કાર્યોની પ્રશંસા કરી છે
નવી દિલ્હી : ૧૩થી ૨૮ વર્ષના યુવા ક્રાંતિકારીઓ જનરેશન-ઝેડે વડાપ્રધાન ઓલીની વિદાય અને તેમની કેબિનેટની પણ વિદાય કરાવી દેશનાં રાજકારણમાં એક નવો જ અધ્યાય શરૂ કર્યો છે. ઓલી તો દેશ છોડી નાસી ગયા છે. પરંતુ તેમની સામે વિરોધ કરનારાઓમાં ૧૯ના મૃત્યુ થયા છે. ૩૦૦થી વધુ ઈજાગ્રસ્ત થયા છે ત્યારે નેપાળના વડાપ્રધાન કોણ બનશે તે વિષે ચર્ચા થઈ રહી છે. જનરેશન-ઝેડે વડાપ્રધાન પદ માટે બાલેન્દ્ર શાહને પસંદ કર્યા છે.
બાલન તરીકે ખ્યાતનામ બની ગયેલા બાલેન્દ્ર શાહ કાઠમંડુના ૧૫મા મેયર છે. તેઓ સિવિલ એન્જિનિયરિંગની ડીગ્રી ધરાવે છે. ઉપરાંત તેઓ એક સારા સંગીતકાર પણ છે.
૨૦૨૨માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે કાઠમંડુ કોર્પોરેશનની ચૂંટણી જીત્યા. તેઓએ તેમનાં મેયરપદ દરમિયાન કાઠમંડુ શહેરને નવું રૂપ જ આપી દીધું છે તેમ પણ કહીએ તો તે યોગ્ય બનશે. તેઓએ રસ્તાઓ સ્વચ્છ કરાવ્યા, ફૂટપાથ સરસ બનાવી, મ્યુનિસીપાલિટી હસ્તકની શાળાઓનાં મકાનો સુધાર્યાં તેના શિક્ષણ સ્તરને પણ શ્રેષ્ઠ શિક્ષકો નીમી ઊંચુ લઈ ગયા. ખાનગી શાળાઓ ઉપર કડક નજર રાખી તેઓની સૌથી વધુ શક્તિ તો પોતાની જ સ્વચ્છ છબી અને ભ્રષ્ટાચાર પ્રત્યેની 'ઝીરો ટોલરન્સ'માં રહેલી છે.
૨૦૨૩માં ટાઇમ મેગેઝિને વર્ષના ઉભરતા ૧૦૦ ટોચના નેતાઓમાં સ્થાન આપ્યું છે. ઉપરાંત, ન્યૂયોર્ક ટાઇમ્સે પણ બાલેન્દ્ર શાહની નેપાળ પ્રત્યેની પ્રતિબદ્ધતા અને તેઓએ કરેલા કાર્યોની પ્રશંસા કરી છે.









