'ચૂંટણી ખોરવવા જ મારા ભાઈને મારી નાખ્યો' ઑસ્માન હાદીના ભાઈના યુનુસ સરકાર પર પ્રહારો

- 12મી ડીસે. ગોળીબાર થયો હજી સુધી હત્યારાનો કોઈ સુરાગ નથી
- યુનુસના વડપણ નીચેની વચગાળાની સરકારને ન્યાયાલય સમક્ષ હાજર કરવી જ પડે : શરીફ ઑમર બિન હાદીનો આક્રોશ
ઢાકા : બાંગ્લાદેશના યુવા નેતા શરીફ ઓસ્માન બિન હાદીના મૃત્યુએ દેશમાં ચક્રવાત જગાવી દીધા છે. તા. ૧૨ ડિસેમ્બરે તેનું મૃત્યુ થયા પછી તેની ઉપર ગોળીબાર કરનાર કોઈ હિન્દુ હશે તેમ માની દેશભરમાં હિન્દુઓ ઉપર જુલ્મની ઝડીઓ ટોળાઓ વરસાવી રહ્યા છે તેમાં એક તદ્દન નિર્દોષ હિન્દુને બેસુમાર માર મારી અધમુઓ કરી જીવતો સળગાવી દેવાના બનાવના તો દુનિયાભરમાં પડઘા પડયા છે. છેક સંયુક્ત રાષ્ટ્રો સુધી વાત પહોંચી ગઈ છે તેવામાં ઓસ્માન હાદીના ભાઈ ઑમર હાદીએ ધડાકો કર્યો છે કે, મોહમ્મદ યુનુસની પાકી ગણતરી હતી કે, આ ઘટનાથી દેશભરમાં તોફાનો ફાટી નીકળશે અને તે તોફાનો અને અશાંતિ તથા અસ્થિરતાના આંચળા નીચે ચૂંટણી પાછી ઠેલવી પોતે બાંગ્લાદેશના સર્વેસર્વા તરીકે ચાલુ રહેશે. પરંતુ જનઆક્રોશ અચાનક હિન્દુઓ સહિતની તમામ લઘુમતીઓ તરફ વળ્યો તેમાં હિન્દુઓને તો સવિશેષ નિશાન બનાવ્યા અને એક નિર્દોષ હિન્દુ યુવાનને મારી મારી અધમુવો કરી જીવતો સળગાવી દેવાના બનાવને લીધે દુનિયાભરમાંથી છેક સંયુક્ત રાષ્ટ્રો તરફથી પણ યુનુસ સરકાર પર ટીકાઓની ઝડી વરસી રહેતા યુનુસ પોતે જ મુક થઈ ગયા છે. તેમની સરકાર 'બેકફૂટ' પર આવી ગઈ છે. તેવામાં ઓસ્માન હાદીના ભાઈ ઑમર હાદીએ આ ધડાકો કરતા યુનુસ સરકાર ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે. ઑમર હાદીએ સીધો જ આક્ષેપ કર્યો હતો કે મારો ભાઈ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતો ત્યારે જ તેની ઉપર થયેલા ગોળીબાર અંગે યુનુસ સરકાર ઉપર ઉગ્ર પ્રહારો કરતા ઑમરે કહ્યું : 'તમે ઓસ્માનને મારી નાખ્યો છે હવે તમે તેની આડમાં ચૂંટણી સેબોટેજ કરવા માંગો છો.'
૩૨ વર્ષનો આ યુવા નેતા ઓસ્માન ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત હતો ત્યારે તેના માથામાં ૧૨મી ડિસેમ્બરે ઢાકાના બિજોર નગરમાં ગોળી મારવામાં આવી ૧૫મી ડિસેમ્બરે સિંગાપુર હોસ્પિટલમાં તેનો શ્વાસ છોડયા ત્યારથી બાંગ્લાદેશ ભડકે બળે છે. હિન્દુઓ ઉપરના અત્યાચારોએ અવધી કરી છે. પ્રશ્ન તે છે કે ૧૨મી ડિસેમ્બરથી હજી સુધી (૨૪મી સુધી) હત્યારો પકડાયો નથી. તેના સુરાગ પણ મળ્યા નથી. આનાથી યુનુસ સરકાર સામે શંકા જાય તે સહજ બની રહી છે.








