મુસ્લિમ દેશ મોરોક્કોમાં બકરી ઇદના 'કુરબાની' પર પ્રતિબંધ
- પર્યાવરણ, પશુઓની અછતને ધ્યાનમાં રાખી કિંગ મોહમ્મદ છઠ્ઠાનો નિર્ણય
- ઇસ્લામિક પ્રથા પર પ્રતિબંધથી લોકોમાં બે ફાટા પડયા રૂઢિવાદીઓએ વિરોધ કર્યો, અન્યોનું કિંગને સમર્થન
- મોરોક્કોમાં પશુઓની અછતને કારણે માંસના ભાવ આસમાને પહોંચ્યા, પ્રતિબંધનો દેશભરમાં અમલ શરૂ
રબાત : મુસ્લિમ દેશ મોરોક્કોમાં ઇદ-ઉલ-અજહા પહેલા સરકારના એક નિર્ણયને કારણે મોટો વિવાદ થયો છે. મોરોક્કોના કિંગ મોહમ્મદ છઠ્ઠાએ એવો હુકમ કર્યો છે કે આ વર્ષે બકરી ઇદને દિવસે કોઈએ કુરબાની આપવી નહીં. આ સાથે જ તેમણે દેશભરમાં બકરાઓને શોધવા માટે દરોડા પડાવ્યા છે. 'આર્થિક અને પર્યાવરણના કારણો' આગળ કરીને રાજાએ કુરબાનીની ઇસ્લામીક પરંપરા રદ કરવા હુકમ કર્યો છે. મોરક્કોની પોલીસ ઘણા શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે દરોડા પાડીને બકરાઓ કબજે કરી રહી છે. સુરક્ષા કર્મચારીઓ બકરાઓ લઈ જતા હોય એવા વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મોરક્કોમાં રૂઢિચૂસ્ત મુસ્લિમો સિવાય ખાસ કરીને રાજા મહોમદની યુવા પેઢી અને ફોરવર્ડ આઉટલુક ધરાવતા મુસ્લિમો રાજા મહોમદના નિર્ણયની સરાહના કરી રહ્યો છે.
મોરોક્કોમાં ૯૯ ટકા વસતી ઇસ્લામ ધર્મ પાળે છે, આ દેશના વડા કિંગ મોહમ્મદ છઠ્ઠાએ જાહેરાત કરી છે કે દેશમાં હવેથી બકરી ઇદના તહેવાર દરમિયાન કોઇ પણ પ્રકારના પશુની કુરબાની નહીં અપાય. તેમણે દેશના મુસ્લિમોને વિનંતી કરી છે કે તેઓ બકરી ઇદ પર કુરબાની આપવાના બદલે મીઠાઇ વહેંચે અથવા ઉપવાસ કરીને ઉજવણી કરે. મોરોક્કોમાં પાણીની ભારે અછત છે અને દુષ્કાળનો સામનો કરી રહ્યું છે. સાથે જ દેશમાં પશુઓની સંખ્યા પણ ઘટી રહી છે. પર્યાવરણ અને પશુઓની ઘટી રહેલી સંખ્યાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મોરોક્કોના ગૃહ મંત્રાલયે કિંગ મોહમ્મદના આદેશનું પાલન કરવા માટે મોટા પાયે અભિયાન શરૂ કર્યું છે. મંત્રાલયે જણાવ્યું છે કે હાલમાં મોરોક્કોમાં માંસના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે જેનું મુખ્ય કારણ પશુઓની ઘટી રહેલી સંખ્યા છે. ઉત્તર આફ્રિકન દેશ મોરોક્કોમાં કુરબાની પર પ્રતિબંધનો આ નિર્ણય બકરી ઇદના તહેવારની ઉજવણીના થોડા દિવસ પહેલા જ લાગુ કરાયો છે. શનિવારે ભારતમાં બકરી ઇદની ઉજવણી થવા જઇ રહી છે. મોરોક્કોમાં બકરી ઇદના દિવસે કુરબાની પર પ્રતિબંધની ચર્ચા હાલ વિશ્વભરમાં થઇ રહી છે.