Bangladesh News: બાંગ્લાદેશ અત્યારે હિંસા, અરાજકતા અને અસ્થિરતાના અગ્નિમાં સળગી રહ્યું છે. નોબેલ વિજેતા મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાની સરકારના અંકુશમાંથી સ્થિતિ બહાર જતી દેખાઈ રહી છે. ક્યારેક હિન્દુઓની ભીડ દ્વારા હત્યા, તો ક્યારેક પત્રકારો અને ભારતીય હાઇ કમિશ્નરના નિવાસસ્થાન પર હુમલા—બાંગ્લાદેશમાં શાંતિ ક્યારે સ્થપાશે તેની કોઈ ઝલક દેખાતી નથી. આ ગંભીર સંકટ વચ્ચે, મોહમ્મદ યુનુસે અમેરિકાના શરણમાં જઈને ફેબ્રુઆરીમાં ચૂંટણી કરાવવાની ખાતરી આપી છે.
અમેરિકા સામે યુનુસનું સરેન્ડર: 12 ફેબ્રુઆરીએ ચૂંટણી
સોમવારે મોહમ્મદ યુનુસે અમેરિકાના દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતોના વિશેષ દૂત સર્જિયો ગોર સાથે ફોન પર અડધો કલાક લાંબી વાતચીત કરી હતી. યુનુસે ખાતરી આપી છે કે, 'બાંગ્લાદેશમાં 12 ફેબ્રુઆરીએ જ સામાન્ય ચૂંટણીઓ યોજાશે. તેમજ વચગાળાની સરકાર મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. તાનાશાહી શાસને લોકો પાસેથી જે મતાધિકાર છીનવી લીધો હતો, તે લોકશાહી પ્રક્રિયા દ્વારા પાછો અપાશે.'
ભારત અને શેખ હસીના પર ગંભીર આરોપો
બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે અમેરિકાના વિશેષ દૂત સાથેની વાતચીત દરમિયાન ભારત અને શેખ હસીના વિરુદ્ધ આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ગંભીર આરોપ લગાવતાં જણાવ્યું કે, ભારતમાં શરણ લઈ રહેલા શેખ હસીના ત્યાં બેસીને જ બાંગ્લાદેશમાં હિંસા અને અસ્થિરતા ભડકાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચી રહ્યા છે. યુનુસના મતે, અગાઉના શાસનના સમર્થકો આગામી ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા માટે પુષ્કળ નાણાનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે વચગાળાની સરકાર આ ચૂંટણીને એક 'આદર્શ' અને 'મિસાલ' તરીકે સ્થાપિત કરવા માંગે છે, પરંતુ ભારત સ્થિત રાજકીય નેતાઓ જાણી જોઈને હસ્તક્ષેપ કરીને આ લોકશાહી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
યુનુસ શા માટે અમેરિકાની 'જી-હજૂરી' કરી રહ્યા છે?
નિષ્ણાતોનું માનવું છે કે શેખ હસીનાના તખ્તાપલટ પાછળ અમેરિકાની પરોક્ષ ભૂમિકા રહી છે અને વર્તમાન યુનુસ સરકાર સંપૂર્ણપણે અમેરિકાના સમર્થન પર ટકેલી છે. આ રાજકીય સમીકરણોને કારણે બાંગ્લાદેશને મોટો આર્થિક ફાયદો પણ થઈ રહ્યો છે, કારણ કે અમેરિકાએ બાંગ્લાદેશી ઉત્પાદનો પરનો ટેરિફ ઘટાડીને 20 ટકા કરી દીધો છે, જે ભારત જેવા દેશોની તુલનામાં ઘણો ઓછો છે. પોતાની સત્તા ટકાવી રાખવા માટે મોહમ્મદ યુનુસ અત્યારે અમેરિકાની જી-હજૂરી કરી રહ્યા હોય તેવું જણાય છે. તેઓ સારી રીતે જાણે છે કે ટ્રમ્પ પ્રશાસનની મહેરબાની વગર બાંગ્લાદેશમાં તેમનું શાસન લાંબુ ટકી શકશે નહીં, આથી જ તેઓ દેશની દરેક નાની-મોટી હિલચાલ અને ભવિષ્યના આયોજનોની જાણ નિયમિતપણે અમેરિકાને કરી રહ્યા છે.
આ પણ વાંચો: ભારત સાથે વહેલી તકે સમાધાન કરી લો તો સારું: બાંગ્લાદેશને રશિયા સલાહ
અમેરિકાનો બાંગ્લાદેશમાં 'સ્વાર્થ' શું છે?
દક્ષિણ એશિયામાં ભારત અને ચીનના વધતા પ્રભાવને રોકવા માટે અમેરિકા બાંગ્લાદેશને પોતાનું 'પ્યાદું' બનાવવા માંગે છે.
ભૌગોલિક મહત્ત્વ: બંગાળની ખાડીમાં ચીનની નૌસેનાની હાજરીને કાઉન્ટર કરવા માટે અમેરિકાને બાંગ્લાદેશમાં સ્થિર પણ પોતાની કઠપૂતળી જેવી સરકાર જોઈએ છે.
પાકિસ્તાન જેવી નીતિ: જે રીતે અમેરિકાએ લાંબા સમય સુધી પાકિસ્તાનનો ઉપયોગ કર્યો, તેવી જ રીતે હવે તે બાંગ્લાદેશમાં લોકશાહીના બહાને પોતાના હિત સાધવા માંગે છે.
બાંગ્લાદેશની અસ્થિરતાથી મુખ્ય જોખમો
કટ્ટરપંથનો ઉદય: જમાત-એ-ઇસ્લામી જેવા સંગઠનોનું વધતું વર્ચસ્વ પ્રાદેશિક સુરક્ષા માટે જોખમી છે.
ચીનનું આક્રમણ: જો અમેરિકા સહાય ઘટાડે, તો બાંગ્લાદેશ ચીનના BRI પ્રોજેક્ટ્સ તરફ વધુ નમી શકે છે.
ભારતની સુરક્ષા: બાંગ્લાદેશમાં અસ્થિરતા અને ભારત વિરોધી સેન્ટિમેન્ટ સીધી રીતે ભારતની સુરક્ષા અને ઇન્ડો-પેસિફિક રણનીતિને નબળી પાડે છે.


