- તેઓએ લખ્યું : ''હવે હમાસ ભયાવહ રહ્યું નથી તેથી આ યુદ્ધ બંધ કરવા ઇઝરાયેલ પર આપ દબાણ લાવો : નેતન્યાહૂને અંકુશિત રાખો
તેલઅવીવ : ઇઝરાયેલમાં કશું ગજબનું બનવાની આશંકા સેવાઈ રહી છે. ૨૨ મહિનાથી હમાસ સાથે લડી રહેલા વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂની ખુર્શીના પાયા ડગમગી ગયા છે. આ આશંકા એટલા માટે દર્શાવાઈ છે કે નેતન્યાહૂના ઘરમાં જ તેમનો વિરોધ થઈ રહ્યો છે. ઇઝરાયેલની જાસૂસી સંસ્થાના પૂર્વ પ્રમુખ સહિત નિવૃત્ત થયેલા ૬૦૦થી વધુ લશ્કરી અધિકારીઓએ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લો પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યું છે કે અમે માનીએ છીએ કે હમાસ તરફથી હવે કોઈ ભય રહ્યો નથી. તેથી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના નિર્ણયોને તમો અંકૂશિત કરો.
બીજી તરફ ગાઝાપટ્ટીમાં ભારે ભૂખમરો વ્યાપી રહ્યો છે. તે અંગેપ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે હું ઇચ્છતો નથી કે ગાઝામાં કોઈ ભૂખે મરે, કે કશું અતિ દુ:ખદ બને.
ધી ટાઈમ્સ ઓફ ઇઝરાયેલના રિપોર્ટ પ્રમાણે ટ્રમ્પે તેમ પણ કહ્યું હતું કે ગાઝામાં નરસંહાર થઈ રહ્યો છે, તેવું મને લાગતું નથી. હમાસનાં નેતૃત્વ નીચે જ કેટલીક ભયંકર બાબતો બની વાસ્તવમાં ૭ ઓક્ટોબર ૨૦૨૩ના દિને હમાસે કરેલા હુમલાને પરિણામે તો આ યુદ્ધ શરૂ થયું હતું.
આ તબક્કે પત્રકારોએ પૂછ્યું કે, તમોને લાગે છે કે ઇઝરાયેલે તે પછી કરેલી જવાબી કાર્યવાહી નર-સંહાર છે. ત્યારે ટ્રમ્પે કહ્યું કે મને લાગતું નથી કે ત્યાં નરસંહાર થઈ રહ્યો હોય.. તે એક યુદ્ધ છે. યુદ્ધમાં બંને સંડોવાયેલા છે.
ટૂંકમાં ટ્રમ્પ હજી પણ ગાઝામાં નર-સંહાર થતો હોવાનું સ્વીકારતા નથી. તો બીજી તરફ ઇઝરાયેલના જ વરિષ્ટ અધિકારીઓ આ યુદ્ધ બંધ કરવા ઇઝરાયેલ પર દબાણ લાવવા પ્રમુખ ટ્રમ્પને અનુરોધ કરે છે.


