ઈરાનના પર્વતોમાં પ્રચંડ વિસ્ફોટ પરમાણુ પરીક્ષણ કરાયાની આશંકા
- ઈરાનના ગુપ્ત મિસાઈલ ઉત્પાદન કેન્દ્રની તસવીરોમાં ઘટસ્ફોટ
- ગેસ લીકેજનો ઈરાનનો દાવો : બે દાયકા પહેલાં તહેરાનના આ અલબોર્જ પર્વતીય ક્ષેત્રમાં ન્યૂક્લિયર પરિક્ષણ કરાયા હતા
તહેરાન, તા. 27 જૂન, 2020, શનિવાર
ઈરાનની રાજધાની તહેરાનમાં શુક્રવારે પૂર્વીય પર્વતીય વિસ્તારોમાં થયેલા એક વિસ્ફોટથી સમગ્ર રાજધાની હચમચી ઊઠી હતી. વિસ્ફોટ સમયની સેટેલાઈટ તસવીરો સામે આવ્યા પછી વિશ્લેષકોનું માનવું છે કે ઈરાને અહીં પરમાણુ પરિક્ષણ કર્યું હોવાની સંભાવના છે.
વિશ્લેષકોનું માનવું છે કે અહીં ઈરાનનું ગુપ્ત મિસાઈલ ઉત્પાદન કેન્દ્ર છે. આ વિસ્ફોટ એક ટનલમાં થયો છે જ્યાં ઈરાન ગુપ્તરીતે મુસાઈલ તૈયાર કરે છે તેમ શનિવારે જાહેર થયેલી સેટેલાઈટ તસવીરો પરથી ઘટસ્ફોટ થયો છે.
વિસ્ફોટન ઘટના પછી ફરી એક વખત ઈરાનના ન્યૂક્લિયર પ્રોગ્રામ અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે. શુક્રવારે તહેરાન નજીક આકાશમાં વિસ્ફોટ પછી અગનગોળા શેના હતા તે હજી અસ્પષ્ટ છે. જોકે, આ ઘટના પછી ઈરાન સરકાર તરફથી અસાધારણ પ્રક્રિયા આવી છે, જેનાથી શંકા વધી રહી છે.
ઈરાન સરકારે વિસ્ફોટની સંવેદનશીલતાની અવગણના કરી છે ત્યારે આંતરરાષ્ટ્રીય ઈન્સ્પેક્ટર્સનું માનવું છે કે જે જગ્યાએ વિસ્ફોટ થયો છે તે વિસ્તાર ઈરાન માટે ખૂબ જ સંવેદનશીલ જગ્યાઓમાંથી એક છે. લગભગ બે દાયકા પહેલાં આ જ વિસ્તારમાં ઈસ્લામિક રિપબ્લિકે હાઈ એક્સપ્લોઝિવ ન્યૂક્લિયર વેપનનું પરિક્ષણ કર્યું હતું.
અલબોર્જ પર્વતીય ક્ષેત્રમાં શુક્રવારે વહેલી સવારે થયેલા વિસ્ફોટ પછી છેક રાજધાની તહેરાનમાં મકાનો હલી ગયા હતા, બારીઓ તૂટી ગઈ હતી અને આકાશમાં અજવાળુ થઈ ગયું હતું.
સ્ટેટ ટીવી મુજબ વિસ્ફોટ પછી આકાશમાં ખૂબ જ ઊંચાઈ સુધી ધૂમાડો ફેલાઈ ગયો હતો. પાછળથી સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા દાઉદ આબદીએ માત્ર એટલું જણાવ્યું કે ગેસ લિકેજના કારણે આ વિસ્ફોટ થયો હતો. તેમાં કોઈ જાનહાની થઈ નથી. તેમણે પર્વતીય ક્ષેત્રોને જાહેર જગ્યા ગણાવી છે.
તહેરાનની પૂર્વે 20 કિ.મી. દૂર આ વિસ્તારના સેટેલાઈટ ફોટામાં સેંકડો મીટર વિસ્તાર બળીને નાશ થઈ ગયો હોવાનું જોવા મળ્યું હતું. કેટલાક સપ્તાહ પહેલાં આ વિસ્તારની સેટેલાઈટ તસવીરો કંઈક અલગ જ ચિત્ર દર્શાવતી હતી. ગેસ સ્ટોરેજ વિસ્તારના સૃથળને વિશ્લેષકો ઈરાનના ખોજિર મિસાઈલ કેન્દ્ર તરીકે ઓળખાવે છે.