અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, બે બાળકોના મોત અને 20ને ઈજા, શૂટરે ખુદને પણ મારી ગોળી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Minneapolis School Shooting: અમેરિકાના મિનેસોટા રાજ્યના મિનેયાપોલિસ શહેરમાં આવેલી એનાનુંસિએશન કેથોલિક સ્કૂલમાં ફાયરિંગની એક દુ:ખદ ઘટના સામે આવી છે. આ ઘટના શાળાના સત્રની શરૂઆતમાં બની હતી, જ્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વર્ગખંડોમાં હાજર હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર, ફાયરિંગમાં ત્રણ લોકોના મોત થયા છે, જેમાં બે બાળકો પણ સામેલ છે. મૃતકોમાં ત્રીજુ નામ શૂટરનું છે, જેણે ખુદને ગોળી મારી લીધી હતી. ત્યારે, ઘટનામાં 20 લોકો ઘાયલ થયા છે. મૃતક બાળકોની ઉંમર 8 અને 10 વર્ષ હતી. ઇજાગ્રસ્ત બાળકોમાંથી 2 બાળકોની હાલત ગંભીર છે.
આ અંગે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથમાં લખ્યું કે, 'મિનેસોટાના મિનેયાપોલિસમાં થયેલા દુ:ખદ ફાયરિંગ વિશે મને સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. FBIએ ઝડપથી પ્રતિક્રિયા આપી અને તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. વ્હાઇટ હાઉસ આ ભયંકર પરિસ્થિતિ પર નજર રાખશે. કૃપા કરીને સામેલ દરેક વ્યક્તિ માટે પ્રાર્થનામાં મારી સાથે જોડાઓ!'
રાજ્યપાલે દુઃખ વ્યક્ત કર્યું
મિનેસોટાના ગવર્નર ટિમ વોલ્ઝે ફાયરિંગની માહિતી મળતાં જ ટ્વિટ કર્યું હતું કે, 'મને એનાનુંસિએશન કેથોલિક સ્કૂલમાં ફાયરિંગની જાણ કરવામાં આવી છે. જેમ જેમ અમને વધુ માહિતી મળશે તેમ તેમ હું અપડેટ્સ શેર કરતો રહીશ. હું તે બાળકો અને શિક્ષકો માટે પ્રાર્થના કરું છું જેમની શાળાનું પહેલું અઠવાડિયું આ ભયાનક હિંસાથી પ્રભાવિત થયું છે.' ગવર્નર વોલ્ઝે એ પણ પુષ્ટિ આપી હતી કે બ્યુરો ઓફ ક્રિમિનલ એપ્રેન્શન (BCA) અને સ્ટેટ પેટ્રોલ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને કેસની તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક તપાસ હાથ ધરાઈ
આ ઘટના ત્યારે બની જ્યારે શાળામાં નિયમિત વર્ગો ચાલી રહ્યા હતા. ફાયરિંગના અવાજો સંભળાતા જ શાળાને તાત્કાલિક તાળાબંધી કરી દેવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને વર્ગખંડોમાં સુરક્ષિત રાખવામાં આવ્યા હતા અને વહીવટીતંત્રે વાલીઓને જાણ કરી હતી. પોલીસે શાળા પરિસરને ઘેરી લીધું હતું અને શંકાસ્પદ વ્યક્તિને પકડવા માટે તપાસ અને શોધખોળ શરૂ કરી હતી.
ઘણા ઘાયલો, કેટલાકની હાલત ગંભીર
સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, ઘટનાસ્થળેથી ઘણા ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે હજુ સુધી કોઈના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.
શાળા વહીવટીતંત્ર અને સ્થાનિક સમુદાય આ ઘટના બાદ ઊંડા આઘાતમાં છે. શિક્ષકો અને વાલીઓ આ પ્રકારની હિંસાની સખત નિંદા કરે છે અને કહે છે કે શૈક્ષણિક સંસ્થાઓ ભય અને ભયાનકતાનું કેન્દ્ર નહીં, પણ સૌથી સુરક્ષિત સ્થાનો હોવી જોઈએ. કેથોલિક શાળા વહીવટીતંત્રે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે તેઓ પોલીસ અને તપાસ એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છે અને બાળકોની સલામતી તેમની ટોચની પ્રાથમિકતા છે.









