Get The App

લુફથાન્સા એરલાઇનની ૨૦,૦૦૦ ફલાઇટ રદ કરવાની જાહેરાત

આ ફલાઇટ રદ થવાને કારણે ૪૦,૦૦૦ ટન જેટ ઇંધણની બચત થશે ઃ કુલ ઉપલબ્ધ સીટોમાં એક ટકાનો ઘટાડો થશે

જેટ ફ્યુઅલનાં ભાવમાં થયેલા વધારા પછી નિર્ણય લેવાયો

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
લુફથાન્સા એરલાઇનની ૨૦,૦૦૦ ફલાઇટ રદ કરવાની જાહેરાત 1 - image

નવી દિલ્હી, તા. ૨૨

યુરોપની મોટી એરલાઇન કંપની લુફથાંસા એજીએ પોતાના સમર શિડયુલમાંથી  ઓછા અંતરની ૨૦,૦૦૦ ફલાઇટ રદ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આ નિર્ણય જેટ ફ્યુઅલનાં ભાવમાં તીવ્ર વધારો થયા પછી લીધો છે.

ઇરાન યુદ્ધને કારણે વિમાનમાં વપરાતા ઇંધણનાં ભાવ ખૂબ જ વધી ગયા છે. કંપનીનાં જણાવ્યા અનુસાર આ ફલાઇટ રદ કરવાને કારણે કુલ ઉપલબ્ધ સીટોમાં ૧ ટકાનો ઘટાડો થશે.

આ ફલાઇટ રદ કરવાને કારણે ૪૦,૦૦૦ ટન જેટ ઇંધણની બચત થશે. આ અગાઉ લુફથાન્સાએ પોેતાના રિજિયોનલ યુનિટ સિટીલાઇનને બંધ કરવા અને ૨૭ જૂના વિમાનો અને વધુ ઇંધણ માંગતા વિમાનોનો ઉપયોગ ન કરવાની જાહેરાત કરી હતી.

મંગળવારે ૧૨૦ ફલાઇટ રદ કરવામાં આવી હતી જે મેનાં અંત સુધી અમલમાં રહેશે. આ ઉપરાંત ગરમીની સમગ્ર સિઝન માટે વધુ ફલાઇટ રદ કરવાની જાહેરાત એપ્રિલનાં અંતમાં અથવા મેનાં પ્રથમ સપ્તાહમાં કરવામાં આવશે.

વૈશ્વિક સ્તરે પણ એરલાઇન્સ ઉદ્યોગને અસર થઇ છે. મે મહિનામાં કુલ ઉડ્ડયન ક્ષમતામાં ૩ ટકાનો ઘટાડો થયો છે વિશ્વની મોટા ભાગની મોટી એરલાઇન્સે પોતાની ફલાઇટની સંખ્યામાં ઘટાડો કર્યો છે.

અગાઉ ચાલુ વર્ષે ૪ થી ૬ ટકાની વૃદ્ધિનો અંદાજ હતો. જે કે હવે ૩ ટકા સુધીનાં ઘટાડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

લુફથાન્સા એરલાઇન્સ પોતાનો નફો વધારવા ખર્ચ ઘટાડવા પર  ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપની ૨૦૩૦ સુધી ૪૦૦૦ વહીવટી નોકરીઓ ઘટાડવા માંગે છે.