Get The App

ઈઝરાયલ નહીં સુધરે! સીઝફાયર કર્યાના કલાકોમાં જ દક્ષિણ લેબેનૉનમાં મોટો હુમલો, 5ના મોત

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
ઈઝરાયલ નહીં સુધરે! સીઝફાયર કર્યાના કલાકોમાં જ દક્ષિણ લેબેનૉનમાં મોટો હુમલો, 5ના મોત 1 - image

Israel Lebanon Ceasefire Violated: ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે સરહદ પાર ચાલી રહેલી ભીષણ લડાઈને રોકવા માટે થયેલી સીઝફાયર સમજૂતીને હજુ થોડા જ કલાકો વીત્યા હતા ત્યાં જ શાંતિના પ્રયાસોને મોટો ઝટકો લાગ્યો છે. દક્ષિણ લેબેનૉનમાં ઈઝરાયલી સેનાએ શુક્રવાર રાતથી ફરી એકવાર જોરદાર હવાઈ અને ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે. આ તાજા હુમલાઓમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયાના અહેવાલ છે, જેના કારણે બંને પક્ષો વચ્ચે થયેલી ઐતિહાસિક શાંતિ સમજૂતી હવે જોખમમાં મૂકાઈ ગઈ છે.

નબાતીયેહ વિસ્તારમાં રાતભર આક્રમણ, રહેણાંક ઇમારતો તબાહ

લેબેનૉનની નેશનલ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, ઈઝરાયલી યુદ્ધજહાજો, વિમાનો અને ડ્રોન્સે દક્ષિણ લેબેનૉનના નબાતીયેહ(Nabatieh) ક્ષેત્રમાં રાતભર ભીષણ હુમલા કર્યા હતા. આ હવાઈ હુમલાઓમાં અનેક રહેણાંક ઇમારતો અને સામાન્ય નાગરિકોના ઘરો સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. એટલું જ નહીં, વહેલી સવારે સૂર્યોદય પહેલા નબાતીયેહ અને તેની આસપાસના વિસ્તારોને નિશાન બનાવીને ભારે તોપખાના(આર્ટિલરી)થી પણ ગોળાબારૂદ ફેંકવામાં આવ્યો હતો.

અમેરિકા અને કતારની મહેનત પર ફરી વળ્યું પાણી?

તાજેતરના દિવસોમાં ઈઝરાયલ અને ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ જૂથ વચ્ચેના હુમલા ખૂબ વધી ગયા હતા, જેનાથી પ્રદેશમાં એક મોટા સર્વગ્રાહી યુદ્ધનો ખતરો પેદા થયો હતો. આ ખતરાને ટાળવા માટે અમેરિકા અને કતારે મુખ્ય ભૂમિકા ભજવીને આ શાંતિ સમજૂતી કરાવી હતી, જેને ઈરાનનું પણ સમર્થન પ્રાપ્ત હતું. એક વરિષ્ઠ અમેરિકન અધિકારીના જણાવ્યા અનુસાર, આ સીઝફાયર સ્થાનિક સમય મુજબ શુક્રવારે સાંજે આશરે 4:00 વાગ્યે લાગુ કરવામાં આવ્યું હતું. ઈઝરાયલી અધિકારીઓ અને હિઝબુલ્લાહના સૂત્રોએ પણ આ સમજૂતીની પુષ્ટિ કરી હતી. જોકે, શરૂઆતથી જ આ સીઝફાયર અત્યંત નબળું સાબિત થઈ રહ્યું છે.

હુમલા પાછળ બંને પક્ષોના પોતપોતાના દાવા

આ શાંતિ સમજૂતી બંને પક્ષો વચ્ચે અત્યાર સુધીના સૌથી ઘાતક સંઘર્ષ બાદ થઈ હતી, જેમાં તાજેતરમાં લેબેનૉનમાં આશરે 40 લોકો માર્યા ગયા હતા, જ્યારે હિઝબુલ્લાહના હુમલામાં ચાર ઈઝરાયલી સૈનિકોના મોત થયા હતા. સમજૂતી લાગુ થયા બાદ પણ ઈઝરાયલી હુમલા ચાલુ રહેવા અંગે સેનાના પ્રવક્તા બ્રિગેડિયર જનરલ એફી ડેફ્રિને જણાવ્યું હતું કે, તેમની સેના કોઈપણ પ્રકારના જોખમો અને આતંકી ગતિવિધિઓનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે બ્યુફોર્ટ કેસલ અને અલી તાહેર રિજ જેવા વિસ્તારોમાં ઈઝરાયલી ઓપરેશન ચાલુ રાખવું પડ્યું કારણ કે હિઝબુલ્લાહ સંઘર્ષ વિરામના નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાના સૈન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બચાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. બીજી તરફ લેબેનૉનના સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે સમજૂતીના પ્રારંભિક કલાકોથી જ ઈઝરાયલે વગર કારણે ઉશ્કેરણીજનક હુમલા ચાલુ રાખ્યા છે.