કુવૈતમાં રાતોરાત હજારો લોકોની નાગરિકતા રદ, જેમાં મોટાભાગે મહિલાઓ, બેન્ક ખાતા પણ બંધ
kuwait citizenship news : કુવૈત સરકારે રાતોરાત હજારો લોકોની નાગરિકતા રદ કરી દીધી. જેમાં પીડિતોમાં મોટાભાગે તો મહિલાઓ છે. જ્યારે લોકો સવારે ઉઠ્યા ત્યારે કેટલાક લોકોના બેંક ખાતા બંધ હતા અને કેટલાક લોકોની અન્ય સરકારી સુવિધાઓ બંધ થઈ ગઈ હતી. જ્યારે તેમણે પૂછપરછ કરી ત્યારે તેમને ખબર પડી કે તેમની નાગરિકતા રદ કરવામાં આવી છે.
મહિલાઓ કેમ સૌથી વધુ પીડિત?
મે 2024 માં જ કુવૈતના અમીરે લોકશાહીને ખતરો ગણાવ્યો હતો અને બંધારણમાં સુધારાની જાહેરાત કરી હતી. સરકાર મોટે ભાગે એવા લોકોની નાગરિકતા રદ કરી રહી છે જેમને લગ્ન પછી અહીંની નાગરિકતા મળી છે. આ યાદીમાં મોટાભાગે એવી મહિલાઓનો સમાવેશ થાય છે જેમણે કુવૈતી પુરુષો સાથે લગ્ન કરીને નાગરિકતા મેળવી છે.
લોહીના સંબંધ હશે એ જે કુવૈતનો અસલ નાગરિક ગણાશે
જ્યારે લામાએ કુવૈત શહેરમાં ક્રેડિટ કાર્ડ દ્વારા ચુકવણી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ખબર પડી કે તેનું ખાતું ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે. તપાસ કરતા જાણ થઇ કે તેની નાગરિકતા છીનવી લેવામાં આવી છે. લામા મૂળ જોર્ડનની છે. અમીર શેખ મેશાલ અલ અહેમદ અલ સબાહ ડિસેમ્બર 2023 માં કુવૈતના અમીર બન્યા હતા. ત્યારપછી તેમણે સંસદનું વિસર્જન કર્યું અને બંધારણના કેટલાક ભાગોને પણ સસ્પેન્ડ કરી દીધા. હવે અમીર કહે છે કે ફક્ત તે લોકોને જ કુવૈતના નાગરિક ગણવામાં આવશે જેમના અહીંના લોકો સાથે લોહીના સંબંધો હશે.
37000થી વધુ લોકોએ નાગરિકતા ગુમાવી
અમીરે એક ભાષણમાં કહ્યું કે કુવૈતમાં રહેતા આશરે 50 લાખ લોકોમાંથી માત્ર એક તૃતીયાંશ લોકો જ સાચા કુવૈતી છે. અમીરે કહ્યું કે હવે કુવૈતમાં ફક્ત મૂળ લોકો જ રહેશે. ઓગસ્ટથી અત્યાર સુધીમાં નાગરિકતા ગુમાવનારા 37000 લોકોમાં લામાનો પણ સમાવેશ થાય છે. જેમાંથી લગભગ 26 હજાર મહિલાઓ છે. આ કુવૈત સરકારનો ડેટા છે. મીડિયા કહે છે કે વાસ્તવિક સંખ્યાઓ તેનાથી પણ વધુ હોઈ શકે છે.
સરકારી લાભો નહીં મળે
કુવૈતમાં પહેલાથી જ એવા ઘણા લોકો રહે છે જેમની પાસે ત્યાંની નાગરિકતા નથી. 1961માં બ્રિટિશ રક્ષણથી સ્વતંત્રતા મળ્યા પછી લગભગ 1 લાખ લોકોને નાગરિકતા મળી શકી ન હતી. જોકે હવે જેમની પાસે કુવૈતી નાગરિકતા નથી તેઓ બેંકિંગ, શિક્ષણ, સરકારી નોકરીઓ અને અન્ય સુવિધાઓનો લાભ લઈ શકશે નહીં.
આ લોકોની પણ નાગરિકતા છીનવાઈ રહી છે
કુવૈતમાં,સરકાર 1987 થી લગ્નના આધારે નાગરિકતા મેળવનારાઓ સામે કાર્યવાહી કરી રહી છે. ડેટા કહે છે કે 1992 થી 2020 સુધીમાં 38505 મહિલાઓને લગ્નના આધારે નાગરિકતા આપવામાં આવી હતી. આ ઉપરાંત, બેવડી નાગરિકતા ધરાવતા લોકોની નાગરિકતા પણ છીનવાઈ રહી છે. આ ઉપરાંત, જેમને સિદ્ધિઓના આધારે નાગરિકતા આપવામાં આવી હતી તેમની નાગરિકતા પણ રદ કરવામાં આવી રહી છે. આ યાદીમાં પોપ ગાયક નવલ અને અભિનેતા દાઉદ હુસૈનનો પણ સમાવેશ થાય છે.