'ભારત વિરુદ્ધ ખાલિસ્તાની કેનેડાની ધરતીનો કરે છે ઉપયોગ..' પહેલીવાર કેનેડા CSISની કબૂલાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image: IANS |
Khalistani in Canada: કેનેડાએ પહેલીવાર સ્વીકાર કર્યો કે, ખાલિસ્તાની કટ્ટરવાદીઓ ભારતમાં હિંસા-આતંકવાદ ફેલાવવા માટે કેનેડાની જમીનનો ઉપયોગ કરી રહ્યા છે. કેનેડાની ગુપ્તચર એજન્સી CSISના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ખાલિસ્તાની કેનેડાનો ઉપયોગ ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપવા, નાણાં ભેગા કરવા અથવા પ્લાન બનાવવા માટે કરી રહ્યા છે.
CSISએ બુધવારે પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં કેનેડાની રાષ્ટ્રીય સુરક્ષા માટે અમુક પ્રમુખ ચિંતા અને જોખમની રૂપરેખા આપવામાં આવી છે. કેનેડાની ગુપ્ત એજન્સી CSISના રિપોર્ટમાં સ્પષ્ટરૂપે કહેવામાં આવ્યું છે કે, 'ખાલિસ્તાની કટ્ટરવાદી મુખ્ય રૂપે ભારતમાં હિંસાને પ્રોત્સાહન આપે છે, ધન ભેગું કરવા અથવા યોજના બનાવવા માટે કેનેડાને આધારના રૂપે ઉપયોગ કરી રહ્યા છે.'
આ પણ વાંચોઃ મોટા યુદ્ધના ભણકારા, ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં અમેરિકા ઝંપલાવશે, ટ્રમ્પે હુમલાની મંજૂરી આપી
'ભારત વિરોધીઓનો ગઢ બન્યું કેનેડા'
CSISના રિપોર્ટે પુષ્ટિ કરી કે, કેનેડા ભારત વિરોધી તત્ત્વો માટે એક સુરક્ષિત ઠેકાણું બની ગયું છે, જેના કારણે વર્ષોથી ભારત દ્વારા વ્યક્ત કરવામાં આવતી પોતાની ચિંતાઓની પુષ્ટિ થાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, 1980ના દાયકાના મધ્યથી કેનેડામાં PMVEનું જોખમ મુખ્ય રૂપે CBKEના માધ્યમથી સામે આવ્યું છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, 'અમુક વ્યક્તિઓના નાના જૂથને ખાલિસ્તાની કટ્ટરપંથી માનવામાં આવે છે. કારણ કે, તે કેનેડાને મુખ્ય રૂપે ભારતમાં હિંસાનું આયોજન કરવા, ભંડોળ પૂરું પાડવા અથવા પ્રોત્સાહન આપવા માટે કેનેડાનો ઉપયોગ કરે છે. ખાસ કરીને, કેનેડામાંથી ઉદ્ભવતા વાસ્તવિક અને કથિત ખાલિસ્તાની ઉગ્રવાદ કેનેડામાં ભારતીય વિદેશી હસ્તક્ષેપ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું ચાલુ રાખે છે.'
આ પણ વાંચોઃ 2120 કરોડની લોટરી જીત્યો આ વ્યક્તિ, રાતોરાત પોપસ્ટાર દુઆ લિપા કરતા વધુ ધનિક બની ગયો
પહેલીવાર ઉગ્રવાદ શબ્દનો ઉપયોગ
વળી, આ રિપોર્ટની સૌથી મહત્ત્વની વાત એ છે કે, કેનેડાએ પહેલીવાર સત્તાવાર રીતે ખાલિસ્તાની જૂથો માટે 'ઉગ્રવાદ' શબ્દનો ઉપયોગ કર્યો છે. આ એક મોટો ફેરફાર છે, કારણ કે પહેલા કેનેડિયન સરકાર અને એજન્સીઓ આ મુદ્દાને હળવાશથી લેતી હતી અથવા તેને ફક્ત 'સમુદાયિક પ્રવૃત્તિઓ'નો એક ભાગ માનતી હતી. પરંતુ હવે CSISના આ સ્પષ્ટ સ્વીકાર સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ખાલિસ્તાની ઉગ્રવાદીઓ માત્ર ભારત માટે ખતરો નથી, પરંતુ કેનેડાની પોતાની સુરક્ષા માટે પણ ચિંતાનો વિષય બની શકે છે.
સંબંધોમાં વધ્યો તણાવ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં કેનેડાના તત્કાલીન વડાપ્રધાન ટ્રુડોએ દાવો કર્યો હતો કે, તેમની સરકાર પાસે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના પુરાવા છે. ભારતે આ આરોપોને નકારી કાઢ્યા અને તેમને "વાહિયાત" તેમજ "પ્રેરિત" ગણાવ્યા હતા. આ સિવાય કેનેડા પર ઉગ્રવાદી અને ભારત વિરોધી તત્ત્વોને જગ્યા આપવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ભારતે કેનેડાથી છ રાજદ્વારીને પાછા બોલાવ્યા હતા. બાદમાં 18 જૂન, 2023ના રોજ બ્રિટિશ કોલંબિયાના સરેમાં એક ગુરુદ્વારાની બહાર નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
વડાપ્રધાન કાર્નીના નિર્ણયનો વિરોધ
વળી, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીને જી-7 શિખર સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રિત કરવા માટે ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. અમુક ખાસ શીખ સમર્થકો અને તેમના પોતાના સાંસદોએ અસંમતિ વ્યક્ત કરી. જોકે, કાર્નીએ વૈશ્વિક મામલે ભારતના મહત્ત્વને ટાંકીને પોતાના નિર્ણયનો બચાવ કર્યો. કાર્નીએ વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા અને સૌથી વધુ વસ્તી ધરાવતા દેશના રૂપે ભારતની સ્થિતિ પર ભાર મૂક્યો, જે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે એક મહત્ત્વપૂર્ણ પાસું બને છે.









