કેનેડામાં ખાલિસ્તાનીઓએ ભારતીય વાણિજ્ય દૂતાવાસ પર કબજો કરવાની ધમકી ઉચ્ચારી
Canada News : કેનેડામાં ભારત વિરુદ્ધ ખાલિસ્તાન સમર્થકોનો વિરોધ ફરી એકવાર ભડકી ઉઠ્યો છે. અહેવાલ છે કે SFJ એટલે કે શીખ્સ ફોર જસ્ટિસે વાનકુવરમાં ભારતીય કોન્સ્યુલેટ (વાણિજ્ય દૂતાવાસ) પર કબજો કરવાની ધમકી આપી છે. એટલું જ નહીં, ભારતીયોને તે વિસ્તારમાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે. જોકે, ભારત કે કેનેડિયન સરકાર દ્વારા આ અંગે સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી.
ખાલિસ્તાની જૂથની હરકત...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખાલિસ્તાની જૂથે ગુરુવારે કોન્સ્યુલેટની મુલાકાત લેવાનું આયોજન કરી રહેલા લોકોને અલગ તારીખ પસંદ કરવા કહ્યું છે. SFJ દ્વારા એક પોસ્ટર પણ બહાર પાડવામાં આવ્યું છે, જેમાં કેનેડામાં નવા ભારતીય હાઈ કમિશનર દિનેશ પટનાયકનો ફોટો છે. તેમના ચહેરા પર નિશાન બનાવવાના ચિહ્નો છે. આરોપો લગાવવામાં આવી રહ્યા છે કે ભારતીય કોન્સ્યુલેટ દ્વારા જાસૂસી નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે.
ખાલિસ્તાનીઓએ મૂક્યો આરોપ
ખાલિસ્તાની જૂથનો આરોપ છે કે કોન્સ્યુલેટ દ્વારા ખાલિસ્તાનીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે અને તેમની દેખરેખ રાખવામાં આવી રહી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'બે વર્ષ પહેલા 18 સપ્ટેમ્બર, 2023 ના રોજ, વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની ભૂમિકાની તપાસ ચાલી રહી છે.' તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, 'બે વર્ષ થઈ ગયા છે અને ભારતીય કોન્સ્યુલેટ ખાલિસ્તાની જનમતના પ્રચારકોને નિશાન બનાવીને જાસૂસી નેટવર્ક ચલાવી રહ્યું છે.'
કેનેડામાં ખાલિસ્તાનીઓને મદદ મળી રહી હોવાનો દાવો
ગયા અઠવાડિયે બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઓછામાં ઓછા બે ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોને કેનેડાની અંદરથી નાણાકીય સહાય મળી છે. '2025 એસેસમેન્ટ ઓફ મની લોન્ડરિંગ એન્ડ ટેરરિસ્ટ ફાઇનાન્સિંગ રિસ્ક ઇન કેનેડા' શીર્ષક હેઠળના અહેવાલમાં કેનેડાની અંદરથી નાણાકીય સહાય મેળવતા ખાલિસ્તાની ઉગ્રવાદી જૂથોને બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ અને ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશન તરીકે ઓળખવામાં આવ્યા છે.