World

કાબુલ હોસ્પિટલ પરનો હુમલો 'નરસંહાર' : ભારતે પાકિસ્તાન દ્વારા કરાયેલા આ હુમલાની ઉગ્ર ટીકા કરી

By GS TEAM
17 Mar 20261 min read
કાબુલ હોસ્પિટલ પરનો હુમલો 'નરસંહાર' : ભારતે પાકિસ્તાન દ્વારા કરાયેલા આ હુમલાની ઉગ્ર ટીકા કરી

- પાકિસ્તાને ગઈકાલે એક હોસ્પિટલને નિશાન બનાવી બોંબ વર્ષા કરી હતી, તેમાં 400થી વધુનાં મૃત્યુ થયા : અફઘાનિસ્તાને તેનો બદલો લેવા શપથ લીધા

નવી દિલ્હી : મધ્ય પૂર્વની સાથે અફઘાનિસ્તાન, પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ બગડતી જાય છે. ગઇકાલે પાકિસ્તાને કાબુલ ઉપર પ્રચંડ બોંબ વર્ષા કરી હતી. જેમાં એક હોસ્પિટલને પણ નિશાન બનાવવામાં આવી હતી. તેમાં આશરે ૪૦૦થી વધુના મૃત્યુ થયા હતાં. અફઘાનિસ્તાને આ હુમલાનો બદલો વાળવા કસમ ખાધા છે. ભારતે આ હુમલાની ઉગ્ર ટીકા કરી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કાબુલ હોસ્પિટલ પરના હુમલાને કાયરતા સમાન ગણાવ્યો હતો, સાથે અપરાધીઓને સખત નશ્યત કરવા માગણી કરી હતી.

ગઇકાલે ૧૬મી માર્ચ, મધરાત પછી પાકિસ્તાને કાબુલ હોસ્પિટલ પર બર્બરતા ભર્યો હૂમલો કર્યો હતો. તેની નિંદા કરતાં ભારતે કહ્યું હતું કે, આ બર્બરતા ભર્યો હુમલો વાસ્તવમાં પાકિસ્તાનની કાયરતા દર્શાવે છે. તે નિર્દોષોનો કરાયેલો નરસંહાર છે. તેમાં સૈન્યને તો લક્ષ્ય બનાવવાની કાર્યવાહી અમાનવીય તો છે જ, પરંતુ તે અફઘાનિસ્તાનનાં સાર્વભૌમત્વ ઉપરનો હુમલો છે. તેથીએ વધુ માનવતા ઉપરનો હુમલો છે. પ્રાદેશિક શાંતિ માટે ખતરારૂપ છે.

ભારતે કહ્યું : રમઝાનના પવિત્ર માસમાં હોસ્પિટલ પરનો હુમલો આસ્થા, કાનૂન અને નૈતિકતાના વિરૂધ્ધનો છે.