કોરોના વાયરસની શોધ કરનાર આ મહિલા વૈજ્ઞાનિકને એક તબક્કે સ્કૂલ છોડવી પડી હતી
લંડન, તા.16 એપ્રિલ 2020, ગુરૂવાર
કોરોના વાયરસે દુનિયાભરમાં કહેર મચાવ્યો છે. મોટાભાગના લોકોએ આ વાયરસનુ નામ તાજેતરમાં સાંભળ્યુ છે પણ વાયરસના ક્ષેત્રમાં કામ કરનારા સંશોધકો માટે આ નામ નવુ નથી.
આમ તો કોરોના વાયરસના પરિવારમાં 40 થી 50 વાયરસ છે પણ સૌથી ઘાતક કોવિડ-19 છે જે અત્યારે લોકોના જીવ લઈ રહ્યો છે. દુનિયામાં કોરોનાના કોહરામ વચ્ચે રસપ્રદ વાત એ છે કે, કોરોના વાયરસની સૌથી પહેલી શોધ એક મહિલા ડોક્ટરે કરી હતી.
જન અલમેડા નામના આ મહિલા ડોક્ટરના પિતા ડ્રાઈવર હતા. તેઓ મૂળે સ્કોટલેન્ડના રહેવાસી હતા.16 વર્ષની વયે તેમણે સ્કૂલ છોડીને વાયરસ પર રિસર્ચ કરવાનુ શરુ કરી દીધુ હતુ. લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં તે્મણે સૌથી પહેલા કોરોના વાયરસની શોધ કરી હતી.
અલમેડાએ વાયરસ પર જ રિસર્ચ કર્યુ હતુ. પરિવારની આર્થિક સ્થિતિ પણ અધવચ્ચે ભણવાનુ છોડવા માટે જવાબદાર બની હતી. એ પછી તેમણે સ્કોટલેન્ડના ગ્લાસ્ગો શહેરની એક લેબમાં ટેકનિશિયન તરીકે નોકરી કરવા માંડી હતી.
થોડા સમય બાદ તેઓ લંડન જતા રહ્યા હતા. ત્યાં તેમણે વેનેઝુએલાના એક કલાકાર સાથે પ્રમે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેઓ 1956માં કેનેડા જતા રહ્યા હતા. કેનેડામાં રહીને તેમણે પીએચડી કર્યુ હતુ. કેનેડાના ઓન્ટારિયો શહેરના કેન્સર ઈ્નસ્ટિટ્યુટમાં તેમણે વાયરસ પર રિસર્ચ શરુ કર્યુ હતુ. તેમણે એક એવુ સંશોધન કર્યુ હતુ કે, જેનાથી વાયરસને સમજવાનુ કામ વધારે આસાન બન્યુ હતુ.
1964માં અલમેડાને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં કામ કરવાનો પ્રસ્તાવ મળ્યો હતો. ત્યાં તેઓ શરદી અને ખાંસી માટે જવાબદાર વાયરસ પર શોધ કરી રહ્યા હતા. દરમિયાન તેમના સહયોગી ડોક્ટર ટાયરેલને એક એવો નમૂનો જોવા મળ્યો હતો જે તેમણે ઈલેક્ટ્રોન માઈસ્ક્રોસ્કોપથી તપાસ કરવા માટે અલમેડાને સોંપ્યો હતો.
અલમેડાએ તેની તપાસ બાદ તારણ કાઢ્યુ હતુ કે, આ વાયરસ ઈન્ફ્લુએન્ઝાના વાયરસને તો મળતો આવે છે પણ તેના કરતા અલગ છે. એ પછી તેની ઓળખ કોરોના વાયરસ તરીકે કરવામાં આવી હતી.
આ રિસર્ચને જ્યારે તેમણે રજુ કર્યુ તો કેટલાક નિષ્ણાતોએ તેને ફગાવી દીધુ હતુ.તેમને લાગ્યુ હતુ કે, ઈન્ફ્લુએન્ઝાના વાયરસની જ તસવીર સાથે ચેડા કરીને તેને નવા વાયરસ તરીકે રજુ કરવામાં આવી રહી છે. જોકે બાદમાં વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યુ હતુ કે અલમેડા કહે છે તે સાચુ છે.
એ પછી વાયરસ રિસર્ચમાં તેમણે સંખ્યાબંધ પેટન્ટ પોતાના નામે કરી હતી. નિવૃત્ત થયા બાદ તેઓ યોગા ટીચર બની ગયા હતા. હવે જ્યારે કોરોના વાયરસના નવા સ્વરુપે કોહરામ મચાવ્યો છે ત્યારે અલમેડાનુનામ ફરી ચર્ચામાં છે. 77 વર્ષની વયે તેમનુ નિધન થયુ હતુ.