જેફરી એપસ્ટિને આત્મહત્યા નહોતી કરી પણ તેની હત્યા થઇ, ડૉક્ટરનો ચોંકાવનારો દાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jeffrey Epstein Death : જેફરી એપસ્ટિનનો કેસ અમેરિકાના ઈતિહાસના સૌથી વિવાદાસ્પદ પ્રકરણોમાંનો એક રહ્યો છે. હાઈ-પ્રોફાઈલ સેક્સ ટ્રાફિકિંગના આરોપોમાં ઘેરાયેલા એપસ્ટિનના મોત પાછળનું રહસ્ય આજે પણ ઉકેલાયું નથી. ન્યૂયોર્કની અત્યંત સુરક્ષિત જેલમાં વર્ષ 2019માં તેનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. જેને સત્તાવાર રીતે 'આત્મહત્યા' જાહેર કરવામાં આવી હતી. જોકે, જાણીતા ફોરેન્સિક પેથોલોજિસ્ટ ડૉ. મિશેલ બાડેનના દાવાએ આ સમગ્ર ઘટનાક્રમ પર સવાલો ઊભા કર્યા છે.
હત્યા કે આત્મહત્યા? ડૉ. બાડેનનો મોટો દાવો
ડૉ. મિશેલ બાડેને 'ધ ટેલિગ્રાફ'ને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે એપસ્ટિનનું મોત ગળેફાંસો ખાવાથી નહીં, પરંતુ ગળું દબાવવાથી થયું હોઈ શકે છે. તેમના મતે, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જોવા મળેલા પુરાવાઓ આત્મહત્યા તરફ નહીં, પણ 'હત્યા' તરફ ઈશારો કરે છે.
ડૉ. બાડેને નોંધ્યું હતું કે, એપસ્ટિનના ગળાના હાડકામાં ફ્રેક્ચર જોવા મળ્યું હતું. આ પ્રકારનું ફ્રેક્ચર ગળેફાંસો ખાવાના કિસ્સામાં ખૂબ જ ભાગ્યે જ જોવા મળે છે, જ્યારે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોય ત્યારે તે વધુ સામાન્ય છે. એપસ્ટિન જેવા હાઈ-પ્રોફાઈલ કેદી પર ચોવીસ કલાક નજર રાખવામાં આવતી હોવા છતાં તેનું મોત થવું એ મોટી સુરક્ષા ખામી અથવા ષડયંત્ર હોઈ શકે છે.
મેડિકલ એક્ઝામિનર સાથેનો મતભેદ
જ્યારે સત્તાવાર મેડિકલ એક્ઝામિનરે આ ઘટનાને આત્મહત્યા ગણાવીને કેસ બંધ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે ડૉ. બાડેન, જેઓ ઓટોપ્સી વખતે નિરીક્ષક તરીકે હાજર હતા, તેઓ આ નિષ્કર્ષ સાથે સહમત નથી. તેમણે દાવો કર્યો હતો કે ઓટોપ્સી કરનારા નિષ્ણાતો પણ શરૂઆતમાં એ વાત પર સંમત હતા કે મોતના ચોક્કસ કારણ સુધી પહોંચવા માટે હજુ વધુ ઊંડી તપાસની જરૂર છે.
ષડયંત્રની શંકાઓ કેમ?
એપસ્ટિન પાસે દુનિયાના શક્તિશાળી રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને રોયલ ફેમિલીના સભ્યોના રહસ્યો હતા. તેની ધરપકડ બાદ અનેક મોટા માથાઓના નામ સામે આવવાનો ભય હતો. આવા સંજોગોમાં તેનું અચાનક જેલમાં મૃત મળી આવવું અનેક સવાલો ઉભા કરે છે. ડૉ. બાડેનના મતે, જ્યાં સુધી આ મામલે નવેસરથી અને તટસ્થ તપાસ કરવામાં નહીં આવે, ત્યાં સુધી સત્ય બહાર આવશે નહીં. અત્યારે તો એપસ્ટિનનું મોત અમેરિકન ન્યાયતંત્ર અને સુરક્ષા વ્યવસ્થા સામે એક મોટો પ્રશ્નાર્થ ચિન્હ બનીને રહી ગયું છે.









