World

જાપાનમાં મુસ્લિમ કબ્રસ્તાન ઉપર પ્રતિબંધ અસ્થિને મૂળ દેશમાં મોકલવાનો હુકમ જારી

By GS TEAM
15 Feb 20262 mins read
જાપાનમાં મુસ્લિમ કબ્રસ્તાન ઉપર પ્રતિબંધ અસ્થિને મૂળ દેશમાં મોકલવાનો હુકમ જારી

જાપાનમાં મુસ્લિમોની કબ્રસ્તાનની લાંબા સમયની માગણી સ્વીકારાઈ નહીં ઓસાકા શહેરમાં એક માત્ર કબ્રસ્તાન છે જે પણ બંધ કરાવવામાં આવશે

ટોક્યો: જાપાનમાં મુસ્લીમ કબ્રસ્તાનો પર પ્રતિબંધ મુકાયો છે. જગ્યાના અભાવને લીધે સરકારે જ આ જાહેરાત કરી છે. અધિકારીઓ કહે છે જાપાનમાં શબને અગ્નિ સમર્પિત કરવાની ભારતની જેવી જ પદ્ધતિ અમલી છે. ઉલ્લેખનીય છે કે જાપાન બૌદ્ધધર્મી દેશ છે. જાપાન સરકારે કહ્યું છે કે, મૃતદેહોનાં અસ્થિ તેમના મૂળ દેશમાં મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે.

જાપાનમાં મધ્ય એશિયા અને ઈન્ડોનેશિયામાંથી મજૂરો આવીને વસ્યા છે, તેઓની સંખ્યા આશરે બે લાખ જેટલી છે. તે બંને દેશોમાંથી જ સૌથી વધુ મજૂરો આવીને જાપાનમાં વસ્યા છે.

સહજ છે કે જાપાનમાં વસેલા મુસ્લીમોએ તેનો વિરોધ કર્યો હતો. પરંતુ ૨૦૨૫માં રચવામાં આવેલા આ નવા કાનૂન વિષે સરકારે કહ્યું હતું કે, વિદેશી ધાર્મિક પ્રથાઓને પણ દેશના નિયમોને આધીન રહેવું પડે.

અત્યારે જાપાનનાં ઓસાકા શહેરમાં જ એક માત્ર મુસ્લીમ કબ્રસ્તાન છે. નવા આદેશ પ્રમાણે તે પણ બંધ કરવામાં આવશે. કારણ કે કબ્રસ્તાન માટે જગ્યા જ નથી. આ ઉપરાંત જાપાનમાં મસ્જીદ બનાવવા ઉપર પણ પ્રતિબંધ છે. તેમજ નમાઝ માટે લાઉડ સ્પીકર ઉપર આહવાન આપવા પર બંધી છે, તેટલું જ નહીં પરંતુ નમાઝનો સમય થતાં રસ્તા ઉપર પણ પાથરણું પાથરીને નમાઝ પઢવામાં આવે છે, તેની ઉપર તો પહેલેથી જ પ્રતિબંધ છે.

જાપાનમાં કબ્રસ્તાન માટે ઘણા સમયથી માગણી થઈ રહી છે, પરંતુ સાંસદ ઉમેપુરાએ કહ્યું હતું કે જાપાનમાં અગ્નિદાહની પરંપરા છે. મુસ્લીમો માટે સારો માર્ગ તે છે કે શબને પોતાના દેશમાં મોકલી આપે અને દફનાવે.

જાપાનમાં પહેલી જ વાર તાકાઈચી વડાપ્રધાન બન્યાં છે. તેઓએ કહ્યું હતું કે વિદેશી કામદારોનું સ્વાગત છે પરંતુ તેઓએ જાપાનના નિયમ-કાનૂન અને પરંપરાઓનું પાલન કરવું જોઈશે.