Get The App

ભારતના કેટલા વિમાનો તૂટયા એ નહીં કેમ તૂટયા એ મહત્ત્વનું

Updated: Jun 1st, 2025

GS TEAM


Google News
Google News
ભારતના કેટલા વિમાનો તૂટયા એ નહીં કેમ તૂટયા એ મહત્ત્વનું 1 - image


- સિંગાપોરમાં શાંગ્રી-લા ડાયલોગમાં ઓપરેશન સિંદૂર અંગે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણના નિવેદનથી વિવાદ

- કોઈપણ યુદ્ધ નુકસાન વિના લડી શકાય નહીં, ઓપરેશન સિંદૂરમાં ભારતે ભૂલોમાંથી બોધપાઠ લીધો : ચૌહાણ

- સીડીએસ ચૌહાણની કબૂલાત પછી તો હવે કેન્દ્ર સરકાર કેટલા વિમાન ગુમાવ્યા તે દેશને જણાવે : કોંગ્રેસ

સિંગાપોર : પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાના જવાબમાં ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહી વખતે ભારતે રણનીતિક ભૂલો સુધારી અને પાકિસ્તાનની અંદર ઊંડે સુધી પ્રહાર કર્યો હતો તેમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે શનિવારે કહ્યું હતું. તેમણે ભારતના છ રફાલ ફાઈટર જેટ તોડી પાડવાના ઈસ્લામાબાદના દાવને તદ્ન ખોટો ગણાવ્યો હતો. જનરલ ચૌહાણે મીડિયા સાથેની મુલાકાતમાં કહ્યું કે, ભારતે પ્રારંભિક નુકસાનનું આકલન કર્યા પછી પાકિસ્તાન પર ચોક્કસાઈપૂર્વક હુમલો કરીને તેને ઘૂંટણીયે લાવતા યુદ્ધવિરામ માટે મજબૂરી કરી દીધું હતું. જોકે, તેમણે ભારતે કેટલા ફાઈટર જેટ ગુમાવ્યા તેનો ખુલાસો કર્યો નહોતો. પાકિસ્તાન સાથે ચાર દિવસના ઘર્ષણમાં પહેલી વખત ભારતીય આર્મીએ નુકસાન થયાની કબૂલાત કરી છે.

પહલગામમાં આતંકી હુમલામાં હિન્દુઓની હત્યાના જવાબમાં ભારતે ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહી કરી પાકિસ્તાનના નવ આતંકી સ્થળોનો નાશ કર્યો હતો. પાકિસ્તાન સાથે ચાર દિવસના ઘર્ષણ પછી પહેલી વખત સિંગાપોરમાં આયોજિત ૨૨મા શાંગ્રી-લા ડાયલોગમાં ભાગ લેતા ભારતના ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) અનિલ ચૌહાણે મીડિયા સાથેની એક મુલાકાતમાં જણાવ્યું કે, વિમાન તૂટી પડયા કરતાં વિમાન શા માટે તૂટી પડયા તે જાણવું વધુ મહત્વપૂર્ણ છે, જેથી ટેકટિક્સમાં સુધારો કરીને ભારતીય સૈન્ય ફરી પ્રહાર કરી શકે. 

સીડીએસ ચૌહાણને ભારત સાથે ચાર દિવસના ઘર્ષણમાં પાકિસ્તાને રફાલ વિમાન તોડી પાડયાના દાવા અંગે સવાલ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, મારું માનવું છે કે ફાઈટર જેટ તૂટી પડયા કરતાં વધુ મહત્વનું એ છે કે શા માટે તે તૂટી પડયા તે જાણવું જોઈએ. અમારા માટે સારી વાત એ છે કે અમે કરેલી ટેક્ટીકલ ભૂલો તરત સમજી લીધી, તેને સુધારી અને બે દિવસ પછી ફરી પ્રહાર કર્યો. અમારા બધા જ વિમાનોએ લાંબા અંતર પરથી નિશાન સાધ્યું.

જનરલ ચૌહાણને સ્પષ્ટરૂપે સવાલ કરવામાં આવ્યો કે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના છ રાફેલ જેટ તોડી પાડયાનો પાકિસ્તાન દાવો કરી રહ્યું છે ત્યારે તેમણે પાકિસ્તાનના દાવાને તદ્ન ખોટો ગણાવ્યો હતો. 

અગાઉ હવાઈ ઓપરેશન્સના એરફોર્સના ડિરેક્ટર જનરલ એર માર્શલ એકે ભારતીએ જણાવ્યું હતું કે, નુકસાન યુદ્ધનો ભાગ છે અને અમારા બધા જ પાલટ્સ એકદમ સલામત રીતે ઘરે પાછા ફર્યા છે. ઓપરેશન સિંદૂર વખતે ભારતે વિમાન ગુમાવ્યા હોવા અંગે પૂછવામાં આવતા મે ૧૧ના રોજ એર માર્શલ ભારતીએ આ ટીપ્પણી કરી હતી. સિંગાપોરમાં સીડીએસ અનિલ ચૌહાણે કબૂલ્યું કે, શરૂઆતમાં ભારતે હવાઈ નુકસાન સહન કરવું પડયું હતું. જોકે, તેમણે કેટલા વિમાન તૂટી પડયા તેની સંખ્યા ગણાવી નહોતી. ઓપરેશન સિંદૂરમાં ભારને થયેલા નુકસાન અંગે સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, નુકસાન વિના કોઈપણ યુદ્ધ લડી શકાય નહીં. જોકે, ભારતે પાકિસ્તાનને જે રીતે જવાબ આપ્યો છે વધુ મહત્વપૂર્ણ છે.

દરમિયાન જનરલ ચૌહાણના નિવેદન પછી ફરી એક વખત કોંગ્રેસે શનિવારે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો હતો. કોંગ્રેસ કહ્યું કે, સરકારે પાકિસ્તાન સાથે ચાર દિવસના ઘર્ષણમાં દેશે કેટલા વિમાનો ગુમાવ્યા છે તે અંગેનું સત્ય કબૂલવું જોઈએ. તેલંગણા સરકારમાં મંત્રી અને ભારતીય એરફોર્સના પૂર્વ પાયલટ ઉત્તમ રેડ્ડીએ કહ્યું કે, પાકિસ્તાને આપણા રાફેલ તોડી પાડયાની સીડીએસ ચૌહાણે કબૂલાત કરી લીધી છે. હવે સરકારે પણ તેનો ઈનકાર બંધ કરી દેવો જોઈએ. સીડીએસે જે કહ્યું તે જ વાત રાહુલ ગાંધીએ કરી હતી.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે, જુલાઈ ૨૯, ૧૯૯૯માં વાજપેયી સરકારે કારગીલ પુનઃ સમીક્ષા સમિતિ બનાવી હતી અને સરકારે ફેબુ્રઆરી ૨૩, ૨૦૦૦ના રોજ સંસદના બંને ગૃહમાં આ રિપોર્ટ રજૂ કર્યોે હતો. ચીફ ઓફ ડિફેન્સસ્ટાફ અનિલ ચૌહાણની સિંગાપોરમાં રાફેલ તૂટી પડયા અંગેની કબૂલાત પછી મોદી સરકાર પણ આવું જ કોઈ પગલું ભરશે? ભારત-પાકિસ્તાનના ચાર દિવસના ઘર્ષણમાં દેશને કેટલું નુકસાન થયું તેનો રિપોર્ટ રજૂ કરશે?

નકલી સમાચારોનો જવાબ આપવામાં 15 ટકા સમય બરબાદ થયો : જન. ચૌહાણ

સિંગાપોર : ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે કહ્યું કે, ઓપરેશન સિંદૂર સમયે લગભગ ૧૫ ટકા સમય ખોટા અને બનાવટી સમાચારોનો જવાબ આપવામાં જ બરબાદ થઈ ગયો. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે ભારતે ઈન્ફર્મેશન વોરફેર માટે અલગ અને વિશેષ શાખાની જરૂર છે. 

તેમણે ઉમેર્યું કે, ભારતની રણનીતિ હકીકત આધારિત કમ્યુનિકેશન પર ટકી રહી હતી. ભલે તેનો જવાબ આપવામાં થોડું મોડું થાય. શરૂઆતમાં બે મહિલા અધિકારીઓએ મીડિયા સાથે વાતચીત કરી હતી, કારણ કે તે સમયે વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ ઓપરેશનમાં વ્યસ્ત હતા. ઓપરેશન સિંદૂરમાં ભારતે પોતાની દેશી અને વિદેશી રડાર સિસ્ટમોને જોડીને મજબૂત એકીકૃત સંરક્ષણ માળખુ તૈયાર કર્યું હતું, જેમાં મારક અને બિન-મારક બંને પ્રકારના હથિયારોનો ઉપયોગ કરાયો હતો. ઓપરેશન સિંદૂર ભવિષ્યના યુદ્ધ માટે ઉદાહરણ બનશે.

Tags :