ઈરાને મચાવેલી તબાહી જોઈ નેતન્યાહૂ ગુસ્સે ભરાયા, કહ્યું - 'હવે ભારે કિંમત ચૂકવવી પડશે'
Israel Iran War: ઈઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ સતત તીવ્ર બની રહ્યું છે. રવિવારે બંને દ્વારા કેટલાય હુમલા કરવામાં આવ્યા હતા. આ યુદ્ધના કારણે બંને દેશોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ઈઝરાયલનો આરોપ લગાવ્યો છે કે, ઈરાન હવે તેના રહેણાંક વિસ્તારમાં મિસાઈલો છોડી રહ્યું છે. ઈઝરાયલ પ્રધાનમંત્રી નેતન્યાહુએ ઈરાનની મિસાઈલ હુમલામાં તબાહ થયેલા બટ યામ શહેરની મુલાકાત લીધી હતી અને ઈરાની મિસાઈલો દ્વારા નષ્ટ થયેલી ઈમારતોનું નિરિક્ષણ કરતાં ઈરાનને ચેતવણી આપી હતી કે, આ તબાહીની તમારે ભારે કિંમત ચૂકવવી પડશે. ઈઝરાયલનું બટ યામ શહેર તેલ અવીવની નજીક આવેલું છે.
નેતન્યાહુએ આપી ચેતવણી
બટ યામ શહેરનો વિનાશ જોઈને નેતન્યાહુએ કહ્યું કે, મહિલાઓ અને બાળકો સહિત નિર્દોષ નાગરિકોની હત્યા કરવા પર ઈરાને તેની ભારે કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહુએ કહ્યું કે, ઈરાન જાણી જોઈને ઈઝરાયલના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે. જેનો હવે અમે યોગ્ય જવાબ આપીશું. અમે અમારું લક્ષ્ય પ્રાપ્ત કરીશું અને હવે ઉગ્ર હુમલો કરીશું.
જો તેમની પાસે પરમાણુ બોમ્બ હોત તો...
નેતાન્યાહુએ કડક શબ્દોમાં કહ્યું કે, ઈઝરાયલ માટે આ યુદ્ધ અસ્તિત્વની લડાઈ સમાન છે, કારણ કે ઈરાનનો પરમાણુ અને મિસાઇલ કાર્યક્રમો ઇઝરાયલ માટે બમણું વિનાશકારી છે. તેમણે શહેર તરફ ઇશારો કરતા કહ્યું, કે, જુઓ, રહેણાંક વિસ્તારોને કેટલું નુકસાન થયું છે, જો તેમની પાસે પરમાણુ બોમ્બ હોત તો શું થાત. આ સ્થિતિમાં હવે અમારા પોતાના સંરક્ષણ માટે શક્ય તેટલા દરેક પગલાં લઈશું. ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગ અને રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઈતમાર બેન ગ્વીરે પણ બાટ યામ શહેરની મુલાકાત લીધી હતી.
આ પણ વાંચો: ટ્રમ્પને મારી નાખવાનો છે ઈરાનનો પ્લાન, ઇઝરાયલના વડાપ્રધાનનો યુદ્ધ વચ્ચે સનસનીખેજ દાવો
ઇઝરાયલ અને ઇરાન વચ્ચે 13 જૂનથી ચાલી રહ્યું છે યુદ્ધ
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલ અને ઇરાન વચ્ચે 13 જૂનથી યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે તે વધુ તીવ્ર બની રહ્યું છે. ઇઝરાયલે 13 જૂને ઇરાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. તેમનો દાવો છે કે રવિવારે 2,300 કિલોમીટર દૂર ઉત્તર-પૂર્વીય ઇરાનમાં મશાદ એરપોર્ટ પર હુમલો કર્યો હતો. તો, ઇરાનનો દાવો છે કે, તેમણે ત્રણ ઇઝરાયલી ફાઇટર વિમાનોને તોડી પાડ્યા છે અને બે પાઇલટને બંધક બનાવ્યા છે.