અંતે ઈઝરાયેલ-ઈરાનની યુદ્ધ વિરામની જાહેરાત
- નેતન્યાહુ, ખામનેઈ અને ટ્રમ્પે નમતું જોખતા મહાયુદ્ધ અટક્યું
- ટ્રમ્પે યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડતા સાતનાં મોત, ટ્રમ્પે આદેશ આપતા નેતન્યાહુએ ફાઈટર જેટ પાછા બોલાવવા પડયા
- યુદ્ધવિરામના પગલે ઈરાને એરસ્પેસ ખોલતા મધ્ય-પૂર્વમાં વિમાની કંપનીઓના ફ્લાઈટ ઓપરેશન ફરી શરૂ થયા
- ઈરાન પર હુમલા માટે ઈઝરાયેલે ફાઈટર જેટ રવાના કરતા ટ્રમ્પ નેતન્યાહુ પર ગુસ્સે ભરાયા
વોશિંગ્ટન/તેલ અવીવ/તેહરાન : મધ્ય-પૂર્વમાં કતાર ખાતે અમેરિકાના સૌથી મોટા એરબેઝ પર ઈરાનના મિસાઈલ હુમલા છતાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સવારે અચાનક જ ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. જોકે, ટ્રમ્પની આ જાહેરાતના કલાકોમાં જ ઈરાને ઉત્તરીય ઈઝરાયેલ પર મિસાઈલમારો કર્યો હતો, જેના જવાબમાં ઈઝરાયેલે પણ ઈરાન પર હુમલા માટે ફાઈટર જેટ રવાના કર્યા હતા. જોકે, આ ઘટનાથી ટ્રમ્પ ગુસ્સે ભરાયા હતા અને તેમણે ઈઝરાયેલને ઈરાન પર હુમલો નહીં કરવા ચેતવણી આપતા આખરે ૧૨ દિવસથી ચાલતા ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધનો અંત આવતા દુનિયાએ રાહતનો શ્વાસ લીધો હતો.
મધ્ય-પૂર્વમાં કતાર અને ઈરાક ખાતે જગત જમાદાર અમેરિકાના સૌથી મોટા એરબેઝ પર ઈરાનના મિસાઈલ હુમલાથી ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ મહાયુદ્ધમાં ફેરવાશે તેવી ભીતિ સેવાતી હતી. પરંતુ દુનિયાના આશ્ચર્ય વચ્ચે મંગળવારે સવારે અચાનક જ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધવિરામ માટે સંમત થયા હોવાની જાહેરાત કરી હતી.
ટ્રમ્પની આ જાહેરાતના કલાકોમાં જ ઈરાને ઉત્તરીય ઈઝરાયેલમાં મિસાઈલ હુમલો કરતા સાયરનોથી ગુંજી ઉઠી હતી. આ સાથે તેલ અવીવ અને યરુસલેમમાં બોમ્બ વિસ્ફોટના અવાજો સંભળાયા હતા. ઈરાનની મિસાઈલો બીરશેબામાં રહેણાંક ઈમારત પર પણ ત્રાટકી હતી. ઈરાનના આ હુમલામાં ૭ લોકોનાં મોત નીપજ્યાં હતા અને અનેક ઈઝરાયેલી નાગરિકો ઘાયલ થયા હતા. જોકે, ઈરાને આ હુમલો કર્યાનો ઈનકાર કર્યો હતો.
ઈરાનના હુમલાથી ઈઝરાયેલ ધૂંઆપૂંઆ થઈ ગયું હતું. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયલ કાટ્ઝે તેના સૈન્યને ઈરાનમાં સરકારી સ્થળો અને પરમાણુ એકમો પર વિનાશક હુમલો કરવા આદેશ આપ્યો હતો, જેને પગલે ઈઝરાયેલના ફાઈટર જેટ તેહરાન તરફ રવાના થયા હતા. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સીસે કહ્યું કે, ઈરાનના સમય મુજબ સવારે ૪.૦૦ કલાકે તેણે મિસાઈલ હુમલો કર્યો હતો. આ પહેલાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું હતું કે, ઈઝરાયેલ તેના હવાઈ હુમલા બંધ કરી દે તો ઈરાન પર યુદ્ધ અટકાવી દેશે. જોકે, ઈઝરાયેલે ઈરાન પર હુમલા માટે ફાઈટર જેટ રવાના કર્યા હોવાના સમાચારથી અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા હતા.
મંગળવારે યુદ્ધવિરામ અંગે પ્રારંભિક અનિશ્ચિતતા પછી નેટો સમિટ માટે રવાના થતા પહેલાં વ્હાઈટ હાઉસમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુદ્ધવિરામ માટે તૈયાર થઈ ગયા પછી બંને પક્ષોએ તેનો ભંગ કર્યો છે. ટ્રમ્પે આ માટે ઈઝરાયેલની આકરી ઝાટકણી કાઢી હતી જ્યારે ઈરાને ભૂલથી મિસાઈલો દાગી હશે તેમ કહ્યું હતું.
ટ્રમ્પે આકરા શબ્દોમાં કહ્યું હતું કે, ઈઝરાયેલ હવે ઈરાન પર હુમલો નહીં કરે. તેણે ઈરાન પર હુમલો કરવા મોકલેલા બધા જ પ્લેન પાછા બોલાવી લેશે. કોઈ દેશ બીજાને નુકસાન નહીં પહોંચાડે. યુદ્ધવિરામનો અમલ થઈ ગયો છે. હવે તેનો ભંગ થશે નહીં. બીજીબાજુ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની ઓફિસે જણાવ્યું હતું કે, ટ્રમ્પ સાથે વાત થયા પછી પીએમ નેતન્યાહુએ ઈરાન પર આકરો હુમલો કરવાનું ટાળ્યું છે. ઈરાનને પરમાણુ હથિયારો બનાવતા રોકવાનું અમારું લક્ષ્ય ૧૨ દિવસના આ યુદ્ધમાં પૂરું થઈ ગયું છે.
ઈરાનને પરમણુ હથિયારો બનાવતું રોકવા માટે ઈઝરાયેલે ૧૩ જૂનથી તેના પરમાણુ મથકો પર હુમલા શરૂ કર્યા હતા. બે સપ્તાહના સમયમાં ઈઝરાયેલે ઈરાનના ટોચના સૈન્ય અધિકારીઓ, પરમાણુ વૈજ્ઞાાનિકો અને ત્રણ મહત્વના પરમાણુ મથકો ફોર્ડો, નતાંઝ અને ઈસ્ફહાનનો ખાત્મો બોલાવી દીધો હતો.
જોકે, આ યુદ્ધમાં રવિવારે અમેરિકાએ એન્ટ્રી કરી અને ફોર્ડો પરમાણુ મથક પર બન્કર બસ્ટર બોમ્બનો મારો કરતા ઈઝરાયેલ અને ઈરાન યુદ્ધમાં અમેરિકાએ એન્ટ્રી કરી હતી. ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકાના હુમલાના જવાબમાં લગભગ ૨૪ કલાક પછી ઈરાને કતાર અને ઈરાકમાં અમેરિકાના એરબેઝ પર મિસાઈલ હુમલા કર્યા હતા. જોકે, સૂત્રો મુજબ યુદ્ધવિરામ માટે તૈયાર થઈ ગયેલા ઈરાને અમેરિકાને આ હુમલાઓની જાણ કરીને પ્રતિકાત્મક હુમલા કર્યા હતા. આ હુમલામાં કોઈ જાનહાની નહોતી થઈ કે અમેરિકાના બંને મથકો પર કોઈ વિશેષ નુકસાન પણ થયું નહોતું.
યુદ્ધ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે પાંચ વખત વાત કરી
ઈરાન પર હુમલા પછી પ્રમુખ ટ્રમ્પે કહ્યું - 'બીબી કો ફોન લગાઓ'
- ઈઝરાયેલે સીઝફાયર માટે ઈરાન ફરી હુમલા નહીં કરે તેવી શરત રાખી : ગુસ્સે ભરાયેલા ટ્રમ્પ ગાળ બોલ્યા
વોશિંગ્ટન : ઈઝરાયેલ અને ઈરાનના ૧૨ દિવસના યુદ્ધનો આખરે અંત આવ્યો છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશને યુદ્ધવિરામ માટે સમજાવી લીધા છે. રવિવારે વહેલી સવારે ઈરાનના પરમાણુ મથકો પર અમેરિકાના હુમલા પછી ટ્રમ્પે ઈરાન અને ઈઝરાયેલ બંને દેશો સાથે વાત કરી હતી અને યુદ્ધવિરામ પર મહોર લગાવી દીધી હતી.
વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું કે, ડોનાલ્ડ ટ્રમ્પે ઉપપ્રમુખ જેડી વેન્સ, વિદેશ મંત્રી માર્કો રૂબિયો સહિત આખી ટીમની હાજરીમાં જ ઈરાન અને ઈઝરાયેલ સાથે વાત કરી હતી. ઈઝરાયેલે યુદ્ધવિરામ માટે શરત રાખી હતી કે ઈરાન ફરી કોઈ હુમલો નહીં કરે તો જ ઈઝરાયેલ સીઝફાયર માટે તૈયાર થશે.
ઈરાને પણ હુમલા નહીં કરવાનું આશ્વાસન આપ્યું હતું. વ્હાઈટ હાઉસના અધિકારીએ કહ્યું કે, ઈરાન પર એર સ્ટ્રાઈક પછી ટ્રમ્પે શનિવારે રાતે તેમની ટીમને ઈરાન અને ઈઝરાયેલને ફોન લગાવવા કહ્યું હતું.
ટ્રમ્પે કહ્યું, ચાલો ઈરાનીઓને ફોન કરીએ. મેરી બીબી (બેન્જામિન નેતન્યાહુ) સાથે પણ વાત કરાવો. આપણે શાંતિ સમજૂતી કરાવીશું.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ શરૂ થયા પછી ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે ઈરાન સાથે પાંચ વખત વાત કરી હતી. જોકે, દેરક વખતે અમેરિકાએ ઈરાનને યુરેનિયમ એનરિચમેન્ટ બંધ કરવાની માગ કરી હતી, જેના કારણે વાત આગળ વધી શકી નહોતી. શનિવારે ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ અંગે વાત કર્યા પછી ઈરાને અમેરિકાને જાણ કરીને કતાર અને ઈરાક ખાતે અમેરિકાના એરબેઝ પર પ્રતિકાત્મક મિસાઈલ હુમલો કર્યો હતો.
દરમિયાન મંગળવારે વહેલી સવારે યુદ્ધવિરામની જાહેરાત છતાં ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ હુમલો કર્યો હતો. વળતા જવાબમાં ઈઝરાયેલે ઈરાન પર હુમલા માટે ફાઈટર જેટ મોકલ્યા હતા. આથી ગુસ્સે ભરાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'એ બંને દેશોને ખબર નથી કે તેઓ શું'ફ...' કરી રહ્યા છે.'