- અમેરિકી વિદેશ મંત્રી માર્કો રૂબિયોની સ્પષ્ટ વાત
- જ્યાં સુધી ઇરાનના પ્યાદાઓ ઇરાકમાંથી ડ્રોન હુમલા કરતા રહેશે તથા મિસાઇલ છોડતા રહેશે ત્યાં સુધી તે વિસ્તારમાં શાંતિ નહીં રહે
અબુ ધાબી (યુ.એ.ઇ.) : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ મંગળવારે (સ્થાનિક સમય પ્રમાણે) જણાવ્યું હતું કે, જ્યાં સુધી ઇરાકનું સમર્થન મેળવનારા તેના પ્યાદાઓ હુમલાઓ કરતા રહેશે અને યુદ્ધખોર પ્રવૃત્તિઓ કરતા રહેશે ત્યાં સુધી પશ્ચિમ એશિયામાં શાંતિ સ્થપાશે નહીં. આ સાથે તેઓએ સ્પષ્ટતા કરી હતી કે, લેબેનોનનો યુદ્ધવિરામ ઇરાન સાથે અત્યારે થઈ રહેલી મંત્રણાઓથી તદ્દન અલગ બાબત છે.
ઇરાની અખાતના દેશોની ૨૩મીથી ૨૫મી સુધીની મુલાકાતે આવેલા અમેરિકી વિદેશમંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ઇરાનનાં પ્યાદાઓ, ઇરાકમાંથી ડ્રોન હુમલાઓ કરી રહ્યા છે ઉપરાંત મિસાઇલ્સ હુમલા પણ કરી રહ્યા છે અને તે રીતે પ્રાદેશિક શાંતિ જોખમાવી રહ્યા છે તેઓ ત્રાસવાદી પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા છે.
અહીં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં થયેલી પ્રશ્નોત્તરીમાં એક પ્રશ્નના ઉત્તરમાં માર્કો રૂબીયોએ જણાવ્યું હતું કે, 'લેબેનોનમાં યુદ્ધ વિરામ અંગેની મંત્રણા, તે ઇરાન સાથે યોજાયેલી મંત્રણાથી તદ્દન અલગ રહેશે. તે પ્રક્રિયા જ તદ્દન જુદી છે તે અલગ એટલા માટે છે કે લેબેનોન એક સ્વતંત્ર અને સાર્વભૌમ દેશ છે તેને પોતાની સરકાર છે. લેબેનોનમાં જે ચાલી રહ્યું છે તે અંગે અમે સીધી લેબેનોન સાથે જ વાત કરવાના છીએ.'
માર્કો રૂબિયોએ વધુમાં જણાવ્યું હતું કે, મેં થોડા સમય પહેલા જ લેબેનોનના પ્રમુખ જોસેફ મૌસોન સાથે વાતચીત કરી હતી તે સમયે ઉપપ્રમુખ જે.ડી. વાન તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત હતા અત્યારે પણ લેબેનોનની સાથે મંત્રણા ચાલી રહી છે.


