Get The App

ઈરાનના પરમાણુ સ્થળોનો નાશ થવાની તૈયારી, તહેરાનમાં રેડિયેશનનું જોખમ

Updated: Jun 18th, 2025

GS TEAM


Google News
Google News
ઈરાનના પરમાણુ સ્થળોનો નાશ થવાની તૈયારી, તહેરાનમાં રેડિયેશનનું જોખમ 1 - image


- મધ્ય-પૂર્વમાં કટોકટી વકરતા ટ્રમ્પ જી-7 સમિટ અધવચ્ચે છોડી પાછા ફર્યા

- ઈઝરાયેલની મિલિટ્રી ઈન્ટેલિજન્સ ઈમારત, મૌસાદના મુખ્યાલયને મિસાઈલ હુમલામાં ઉડાવ્યાનો ઈરાનનો દાવો

તેલઅવીવ/તહેરાન : ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા ઈઝરાયેલે શરૂ કરેલા યુદ્ધને પાંચ દિવસ થઈ ગયા છે અને આ સંઘર્ષ વધુ ગંભીર સ્વરૂપ લઈ રહ્યો છે. જોકે, ઈઝરાયેલ તેના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. ઈઝરાયેલે જણાવ્યું કે, ઈરાનના ૧૦ પરમાણુ સ્થળોનો નાશ થવાની તૈયારી છે. ઈઝરાયેલના હુમલામાં પરમાણુ મથકમાં ૧૫,૦૦૦ સેન્ટ્રીફ્યુઝને નુકસાન થતાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને મોટો ફટકો પહોંચ્યો છે જ્યારે તહેરાનમાં રેડિયેશનનું જોખમ વધી ગયું છે તેમ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા આયોગના પ્રમુખ ગોસીએ કહ્યું હતું. મધ્ય-પૂર્વમાં કટોકટી વકરતા અમેરિકન પ્રમુખ ટ્રમ્પ જી-૭ શિખર મંત્રણા અધવચ્ચે છોડીને અમેરિકા પાછા ફર્યા હતા.

ઈરાન અને ઈઝરાયેલ છેલ્લા પાંચ દિવસથી એકબીજા પર જોરદાર મિસાઈલ હુમલા કરી રહ્યા છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાટ્ઝે જણાવ્યું કે તેમની એરફોર્સ તહેરાનમાં અત્યંત ચોક્સાઈપૂર્વક પરમાણુ સ્થળો, મિસાઈલ સ્થળો અને વ્યૂહાત્મક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહી છે. ઈરાનના ૧૦ પરમાણુ મથકોનો નાશ થવાની તૈયારી છે. વધુમાં ઈઝરાયેલના ટાર્ગેટેડ હુમલામાં માત્ર ચાર જ દિવસમાં ઈરાનના નવા નિમાયેલા સૈન્ય વડા અલી શામદાનીનું મોત થઈ ગયું છે.

દુનિયાભરમાં પરમાણુ ઊર્જા એકમો પર નજર રાખતી સંસ્થા આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા આયોગના પ્રમુખ રાફેલ ગ્રોસીએ જણાવ્યું કે, ઈરાનના સૌથી મોટા નતાંઝ પરમાણુ મથક પર ઈઝરાયેલે ઘાતક હુમલો કર્યો હતો. આ હુમલામાં નતાંઝમાં હયાત ૧૫,૦૦૦ સેન્ટ્રીફ્યુઝનો નાશ થઈ ગયો છે. નતાંઝ પરમાણુ સાઈટ પર એક પ્લાન્ટનો સંપૂર્ણ નાશ થઈ ગયો છે. પરમાણુ હથિયારો બનાવવા માટે સેન્ટ્રીફ્યુઝ અત્યંત જરૂરી હોવાથી હવે ઈરાનના પરમાણુ હથિયારો બનાવવાના અભિયાનને મોટો ફટકો પહોંચ્યો છે. વધુમાં પરમાણુ મથકો પર હુમલાના કારણે તહેરાનમાં રેડિયેશનનું જોખમ વધી ગયું છે.

ઈઝરાયેલ પર વળતો હુમલો કરતા ઈરાને ઈઝરાયેલની રાજધાની તેલ અવિવ સહિત અનેક શહેરોમાં મિસાઈલ હુમલા કર્યા હતા. ઈરાનની સમાચાર સંસ્થા આઈઆરએનએ મુજબ ઈરાને ઈઝરાયેલનની જાસૂસી સંસ્થા મૌસાદ અને મિલિટ્રી ઈન્ટેલીજન્સ સંસ્થા અમાનના મુખ્યાલયોને નિશાન બનાવ્યા હોવાનો પણ દાવો કર્યો હતો. ઈરાને આખી રાત ઇઝરાયેલના શહેરો પર મિસાઈલ મારો કર્યો હતો. ઈરાને ઈઝરાયેલના હાઈફા બંદર સ્થિત એક વિશાળ પાવર પ્લાન્ટને પણ ઉડાવી દીધું હતું. ઈરાને તહેરાનમાં મોસાદની ડ્રોન બનાવતી ફેક્ટરી તોડી પાડયાનો પણ દાવો કર્યો હતો.ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા ઘર્ષણના પગલે મધ્ય-પૂર્વમાં કટોકટી વધુ ગંભીર બની ગઈ છે. પરિણામે જી-૭ શિખર મંત્રણા માટે કેનેડા પહોંચેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બેઠક અધવચ્ચે છોડીને અમેરિકા પાછા ફર્યા હતા. 

ટ્રમ્પે કહ્યું કે તેઓ અમેરિકન હિતોનું રક્ષણ કરશે. જોકે, આ યુદ્ધ મુદ્દે જી-૭ બેઠકમાં મતભેદો જોવા મળ્યા હતા. ઈઝરાયેલ અને ઈરાનને તણાવ ઘટાડવા માટે અપીલ કરવાના જી-૭ રાષ્ટ્રોના સંયુક્ત વક્તવ્યને સમર્થન આપવાનો ટ્રમ્પે ઈનકાર કરી દીધો હતો. ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધમાં ઈરાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત બહાર કાઢવા તહેરાન સ્થિત ભારતીય દૂતાવાસ સક્રિય થઈ ગયું છે. વિદેશ મંત્રાલયે મંગળવારે પુષ્ટી કરી કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહિત ભારતીયોએ ઈરાનની સરહદ પાર કરી આર્મેનિયામાં પ્રવેશ કર્યો છે.

ઘર પાસે જ મિસાઈલ ત્રાટકી, લાગ્યું આજે નહિ જ બચીએ

મુંબઈ : ઈરાનના મિસાઈલો  ઈઝરાયેલનાં શહેરો પર ત્રાટકી રહ્યાં છે. હાલ આ શહેરોમાં કર્ફ્યુ જેવું  વાતાવરણ છે. ઘર પાસે જ મિસાઈલો પડી રહી હોવાથી તેમને મોતનો ડર સતત સતાવી રહ્યો છે. ઇઝરાયલમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે. આ ગુજરાતીઓ યુદ્ધના વાતાવરણ વચ્ચે ભારે  માનસિક તણાવ અનુભવી  રહ્યા છે. શ્રી ઈન્ટરનેશનલ મહેર કાઉન્સીલના ઈઝરાયેલ ખાતેના પ્રતિનિધિ જીવાભાઈ મુળીયાસીયાએ 'ગુજરાત સમાચાર'ને જણાવ્યું હતું કે ગાઝા સાથે યુદ્ધ શરુ થયું ત્યારથી ઈઝરાયેલમાં નાગરિકો સામાન્ય જીવન  માણી શકતા નથી. ગાઝા  દ્વારા થયેલા હુમલાની તીવ્રતા ઓછી હતી પરંતુ ઈરાનના હુમલાની તીવ્રતા વધારે છે. અહીંની સ્કૂલો, કોલેજો, શોપિંગ મોલ, ઓફિસો બંધ કરવામાં આવી છે. અમે  તેલ અવીવના એક  ભાગમા  ભારે ડર વચ્ચે દિવસો પસાર કરીએ છીએ. અમારા ઘરની આસપાસ ફક્ત ૪૦૦ મીટરની દૂરી પર જ મિસાઈલ પડી હતી. મિસાઈલ પડી ત્યારે અમારી આખી બિલ્ડિંગ ધૂ્રજી ઉઠી હતી. અમને એમ થયું કે અમારા માથે જ મિસાઈલ ત્રાટકી છે અને અમે હવે  નહીં બચીએ. 

ખામનેઈના સદ્દામ જેવા હાલ કરીશું : ઈઝરાયેલ

ખામનેઈ ક્યાં છુપાયા છે અમને ખબર છે, સંપૂર્ણ આત્મસમર્પણ કરે : ટ્રમ્પ

- ઈરાનની પરમાણુ હથિયારો બનાવવાની કોઈ યોજના નહીં હોવાની ગબ્બાર્ડની જુબાની પ્રમુખ ટ્રમ્પે ફગાવી

વોશિંગ્ટન : ઈઝરાયેલે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતોલ્લાહ અલિ ખામનેઈના ઈરાકના પૂર્વ સરમુખત્યાર સદ્દામ હુસૈન જેવા હાલ કરવાની ધમકી આપી છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું કે, ખામનેઈ ક્યાં સંતાયા છે તે અમને ખબર છે. અમે માત્ર અત્યારે તેમને મારવા માગતા નથી. તેઓ બિનશરતી આત્મસમર્પણ કરે.

અમેરિકામાં ઈઝરાયેલના રાજદૂત યેશિલ લૈટેરે કહ્યું કે, ઈઝરાયેલે હજુ સુધી તેની પૂર્ણ ક્ષમતાથી ઈરાન પર આક્રમણ કર્યું નથી. અમે હજુ એવા આશ્ચર્યો આપવા સક્ષમ છીએ કે મોસાદનો હિઝબુલ્લાના આતંકીઓ પર પેજર હુમલો એકદમ સામાન્ય લાગશે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી ઈઝરાયેલ કાટ્ઝે ઈરાનના સર્વોચ્ચ નેતા અયાતુલ્લા અલી ખામનેઈને ધમકી આપતા કહ્યું કે, ખામનેઈના હાલ પણ સદ્દામ હુસૈન જેવા થઈ શકે છે. ઈરાનના લોકો જ ખામનેઈને ફાંસી પર લટકાવી દેશે. 

બીજીબાજુ જી-૭ શિખર મંત્રણા પડતી મૂકી અમેરિકા પાછા ફરેલા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહ્યું હતું કે, ઈઝરાયેલ ખામનેઈની હત્યા કરવાનું હતું, પરંતુ અમે તેમને રોક્યા છે. ખામનેઈ ક્યાં છુપાયા છે તે અમને ખબર છે, પરંતુ હાલ તેમને મારવાની અમારી કોઈ યોજના નથી. તેઓ કોઈપણ શરત વિના આત્મસમર્પણ કરી દે. હવે સીઝફાયર નહીં પરંતુ સંપૂર્ણ આત્મસમર્પણ એ જ ઈરાનના બચવાનો માર્ગ છે. ઈરાને તેનો પરમાણુ કાર્યક્રમ પડતો મુકવો જ પડશે. દરમિયાન અમેરિકન ઈન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગબ્બાર્ડે તેમની સંસદને કહ્યું કે, ઈરાનની પરમાણુ હથિયારો બનાવવાની કોઈ યોજના નથી અને ખામનેઈએ પણ આવા કોઈ કાર્યક્રમને માન્યતા આપી નથી. પરંતુ અમેરિકન પ્રમુખ ટ્રમ્પે અમેરિકન જાસૂસી સંસ્થાના મૂલ્યાંકનને નકારી કાઢ્યું હતું. 

Tags :