Get The App

ઇરાન પરમાણુ સોદો નહીં કરે તો નકશામાંથી ભૂંસાઈ જશે : ટ્રમ્પ

Updated: Jun 14th, 2025

GS TEAM


Google News
Google News
ઇરાન પરમાણુ સોદો નહીં કરે તો નકશામાંથી ભૂંસાઈ જશે : ટ્રમ્પ 1 - image


- ઈઝરાયેલની મદદ માટે અમેરિકાએ જહાજો-સૈન્ય સંશાધનો મધ્ય-પૂર્વમાં ખસેડયા

- ઈઝરાયેલ પાસે અમેરિકન હથિયારોનો ભંડાર,  વધુ પ્રચંડ અને ક્રૂર હુમલા શરૂ થશે તો ઇરાન બચી નહીં શકે, કેટલાક કટ્ટરપંથીઓ બહાદુર બનતા હતા, પરંતુ હવે મરી ગયા : યુએસ પ્રમુખ

- ઈઝરાયેલના હુમલા અને ટ્રમ્પની ધમકી છતાં ઈરાને અમેરિકા સાથેની પરમાણુ વાટાઘાટો રદ કરી દીધી

વોશિંગ્ટન : ઈઝરાયેલે શુક્રવારે વહેલી સવારે ઈરાનના ૧૦ સ્થળો પર હુમલા કરીને ભારે વિનાશ વેર્યો હતો ત્યારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને તેની સાથે પરમાણુ સોદો કરી લેવા ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, ઈઝરાયેલ પાસે અમેરિકાના વિનાશક હથિયારોનો ભંડાર છે. તમે પરમાણુ સોદો નહીં કરો તો ઈઝરાયેલના વધુ હુમલા થશે અને ભારે વિનાશ વેરાશે. ટ્રમ્પની ધમકી છતાં ઈરાને પરમાણુ વાટાઘાટો રદ કરી દીધી.

ઈઝરાયેલની એરફોર્સે ઈરાન પર અત્યાર સુધીમાં પાંચ વખત હુમલા કર્યા છે. આવા સમયે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે ઈરાનને ફરી પરમાણુ સોદો કરવા જણાવ્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સ્પેશિયલ પર લખ્યું કે, હજુ પણ સમય છે. આ રક્તપાત રોકી શકાય છે. ઈઝરાયેલ આગામી હુમલાની યોજના પહેલાથી જ બનાવી ચૂક્યું છે અને આ હુમલા પહેલા કરતાં વધુ ક્રૂર હશે.

તેમણે ઉમેર્યું કે, મેં ઈરાનને સોદો કરવા માટે અનેક તક આપી હતી. મેં તેમને કહ્યું, આકરા શબ્દોમાં કહ્યું, બસ કરો, પરંતુ તેમણે ગમે તેટલા પ્રયત્નો કર્યા હોય, તેઓ વાટાઘાટોમાં ગમે તેટલા નજીક પહોંચી ગયા હોય, પરંતુ તેઓ પરમાણુ સોદો પૂરો કરી શક્યા નહીં. પહેલા જ અનેક મોત અને વિનાશ થઈ ચૂક્યો છે, પરંતુ આ નરસંહારને સમાપ્ત કરવા માટે હજુ પણ સમય છે.

ઈઝરાયેલ પહેલા કરતાં વધુ યોજનાબદ્ધ અને વધુ ક્રૂર રીતે હુમલા કરવા તૈયાર છે. ઈરાન પાસે કશું જ નહીં બચે. દુનિયામાં એક સમયે ઈરાની સામ્રાજ્ય તરીકે ઓળખાતા ઈરાનનું નામ દુનિયાના નકશામાંથી ભૂંસાઈ જાય તે પહેલાં તેમણે પરમાણુ સોદો કરી લેવો જોઈએ.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વધુમાં લખ્યું કે, અમેરિકા દુનિયામાં અત્યાર સુધીમાં સૌથી સારા અને સૌથી ઘાતક હથિયારો બનાવે છે. ઈઝરાયેલ પાસે અમેરિકાના હથિયારોનો ઘણો મોટો ભંડાર છે. આગામી સમયમાં વધુ ઘણું થશે અને ઈઝરાયેલ તેનો ઉપયોગ કરવાનું જાણે છે. પરમાણુ સોદા અંગે કેટલાક ઈરાની કટ્ટરવાદીઓએ બહાદુરીથી વાત કરી હતી, પરંતુ તેમને ખબર નહોતી કે શું થવાનું છે. તેઓ બધા જ આજે મરી ગયા છે અને આગામી સમયમાં ઈરાન સાથે વધુ ખરાબ થઈ શકે છે. 

જોકે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી છતાં ઈરાને પરમાણુ સોદા માટે અમેરિકા સાથેની પાંચમા તબક્કાની વાટાઘાટો રદ કરી દીધી છે. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, આ પ્રકારની આક્રમક અને ઉશ્કેરણીજનક કાર્યવાહી પછી વાટાઘાટોનો કોઈ આધાર નથી રહેતો.

દરમિયાન ઈઝરાયેલ પર ઈરાનના હુમલાના ભયથી અમેરિકાએ તેના જહાજો સહિત સૈન્ય સંશાધનોને મધ્ય-પૂર્વમાં ખસેડયા છે. અમેરિકન નેવીએ તેની ડિસ્ટ્રોયર યુએસએસ થોમસ હડનરને પૂર્વીય ભૂમધ્ય સમુદ્ર તરફ જવા અને અન્ય ડિસ્ટ્રોયરને પણ આગળ વધવા નિર્દેશ આપ્યા છે હોવાનું બે અમેરિકન અધિકારીઓએ નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું. મધ્ય-પૂર્વમાં અમેરિકાના ૩૦,૦૦૦ જવાનો સ્થાયી રીતે રહે છે. જોકે, મધ્ય-પૂર્વમાં ઘર્ષણ વધતા અમેરિકાએ ગયા ઑક્ટોબરમાં સૈનિકોની સંખ્યા વધારીને ૪૩,૦૦૦ કરી હતી. હવે અમેરિકાએ બેલિસ્ટિક મિસાઈલ્સથી રક્ષણ આપવા સક્ષમ ડિસ્ટ્રોયર હડનરને મધ્ય-પૂર્વ તરફ રવાના કરી છે.

Tags :