Get The App

હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો દાવ! હવે દરેક જહાજ માટે ઇન્શ્યોરન્સ અને પરમિટ ફરજિયાત!

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો દાવ! હવે દરેક જહાજ માટે ઇન્શ્યોરન્સ અને પરમિટ ફરજિયાત! 1 - image

Strait Of Hormuz New Rule: વૈશ્વિક ઊર્જા સપ્લાયની લાઇફલાઇન ગણાતી હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાને એક અત્યંત મોટો અને કડક નિર્ણય લીધો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે તાજેતરમાં થયેલા કરાર બાદ આ વ્યૂહાત્મક દરિયાઈ માર્ગને વેપાર માટે ફરીથી તો ખોલી દેવામાં આવ્યો છે, પરંતુ હવે ઈરાને અહીંથી પસાર થતાં તમામ વ્યાપારી જહાજો માટે કડક નિયમો અને શરતો લાગુ કરી દીધી છે. ઈરાનના આ પગલા બાદ હવે કોઈપણ દેશનું જહાજ ઍડવાન્સ રજિસ્ટ્રેશન, સરકારી પરમિટ અને મજબૂત ઇન્સ્યોરન્સ વિના આ રસ્તો પાર કરી શકશે નહીં.

દુનિયાના સૌથી સંવેદનશીલ દરિયાઈ માર્ગોમાંથી એક એવા હોર્મુઝ સ્ટ્રેટમાંથી વૈશ્વિક તેલ અને લિક્વિફાઇડ નેચરલ ગેસ(LNG)નો લગભગ 20% હિસ્સો પસાર થાય છે. આવી સ્થિતિમાં ઈરાનનો આ નવો આદેશ આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ અને વૈશ્વિક વેપાર માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ નવા નિયમોનો હેતુ 3 મહિનાથી વધુ સમય સુધી ચાલેલા સંઘર્ષ બાદ આ રૂટ પર કોમર્શિયલ જહાજોની સુરક્ષાને વધુ મજબૂત કરવાનો છે.

કડક નિયમો લાગુ કરવા 'પર્શિયન ગલ્ફ સ્ટ્રેટ ઑથોરિટી'ની રચના

આ સમગ્ર સિસ્ટમને સંભાળવા અને નવા નિયમોને જમીન પર ઉતારવા માટે ઈરાને એક નવી સંસ્થાની રચના કરી છે, જેને 'પર્શિયન GULF સ્ટ્રેટ ઑથોરિટી' (PGSA) નામ આપવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ઑથોરિટીનું નિર્માણ વોશિંગ્ટન અને તેહરાન વચ્ચે થયેલા એ જ કરાર હેઠળ કરવામાં આવ્યું છે, જેના પછી 3 મહિનાથી બંધ પડેલા આ રસ્તાને ફરીથી શરૂ કરવા પર સહમતિ બની હતી.

ઑથોરિટીએ સત્તાવાર રીતે સ્પષ્ટ કર્યું છે કે 'ઇસ્લામાબાદ મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ' પર હસ્તાક્ષર થયા બાદ અને સંબંધિત વિભાગો તરફથી સૂચનાઓ મળ્યા પછી આ નિયમોને તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવી રહ્યા છે. હવે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા ઇચ્છતા તમામ અરજદારો અને જહાજોએ નિર્ધારિત સમય મર્યાદામાં નિયમોનું પાલન કરવું પડશે. આ માટે એક સત્તાવાર વેબસાઇટ પણ રજૂ કરવામાં આવી છે, જ્યાં જહાજોએ પોતાની એન્ટ્રી નોંધાવવાની રહેશે.

એન્ટ્રીના 48 કલાક પહેલા આપવી પડશે સૂચના

સુધારેલા નિયમો અને પ્રક્રિયાઓ મુજબ, હવે કોઈપણ જહાજના માલિક કે ઓપરેટર માટે પોતાની મરજીથી આ માર્ગમાં પ્રવેશવું શક્ય બનશે નહીં. જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટની સરહદમાં પહોંચવાના ઓછામાં ઓછા 48 કલાક પહેલા ટ્રાન્ઝિટ રિક્વેસ્ટ એટલે કે પસાર થવા માટેની અરજી સબમિટ કરવી પડશે.

ઑથોરિટીએ કડક ચેતવણી આપતાં જણાવ્યું છે કે પ્રવેશ અને નિકાસ પોઇન્ટ પર કોઈપણ પ્રકારના વિલંબ અથવા અવરોધથી બચવા માટે કંપનીઓએ પોતાની તમામ જરૂરી માહિતી ઍડવાન્સમાં જ સબમિટ કરવી પડશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જારી કરાયેલા એક નિવેદનમાં ઑથોરિટીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી જહાજો પાસે માન્ય પરમિટ અને જરૂરી ઇન્સ્યોરન્સ નહીં હોય, ત્યાં સુધી તેમને દરિયાઈ માર્ગમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આ પણ વાંચો: પાકિસ્તાનમાં સગા સંબંધીઓમાં લગ્નના કારણે 34,000 લોકો બન્યા 'હ્યુમન નોકઆઉટ', જાણો વિજ્ઞાન જગત કેમ આશ્ચર્યચકિત છે?

નક્કી કરેલા કોરિડોર પરથી જ પસાર થવું પડશે

સુરક્ષાનો હવાલો આપીને ઈરાને જહાજોના રૂટ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. છેલ્લા 3 મહિનાના સંઘર્ષ અને સૈન્ય તણાવને કારણે આ દરિયાઈ વિસ્તારમાં દરિયાઈ માઇન્સ અથવા અન્ય ઘાતક જોખમોની આશંકા સેવાઈ રહી છે. આ બાબતને ધ્યાનમાં રાખીને ઈરાને વિશેષ શિપિંગ કોરિડોર નક્કી કર્યા છે. તમામ જહાજોએ ફરજિયાતપણે માત્ર આ જ સુરક્ષિત રસ્તાઓ પરથી પસાર થવું પડશે જેથી તેઓ કોઈ સંભવિત અકસ્માતનો ભોગ ન બને.

ઑથોરિટીએ અંતિમ ચેતવણી આપતાં કહ્યું છે કે જો કોઈ પણ જહાજ આ નિયમો, શરતો અથવા નક્કી કરેલા રૂટનું ઉલ્લંઘન કરશે, તો ત્યારપછી ઊભી થનારી કોઈપણ અપ્રિય સ્થિતિ અથવા નુકસાનની સંપૂર્ણ જવાબદારી માત્ર અને માત્ર જહાજના માલિકો અને ઓપરેટરોની રહેશે.